________________
પાટણનાં જિનાલયો
૧૦૫ ત્રિશેરીયું, સાલવીવાડો
શાંતિનાથ (સં. ૧૭૨૯ પૂર્વે) સાળવીવાડામાં તરસેરિયા કે ત્રિશેરીયા તરીકે ઓળખાતી પોળમાં શ્રી શાંતિનાથનું આરસનું ધાબાબંધી જિનાલય આવેલું છે. પચીસ વર્ષ પહેલાં જ તેનો જીર્ણોદ્ધાર થયો છે.
જિનાલયની બહાર, પ્રવેશદ્વારની જમણી બાજુએ એક ગોખ છે. તેમાં ઘંટાકર્ણ મહાવીરનો ફોટો છે. જિનાલયને કાષ્ઠનો કોતરણીયુક્ત પ્રવેશદ્વાર છે. રંગમંડપ નાનો અને સાદો છે. રંગ થયેલો છે. ભીંતમાં જડેલા કબાટો અહીં છે. વળી અહીં ભગવાનના નાના મોટા ઘણા ફોટાઓ ટિંગાડેલા છે. થાંભલા કોતરણીયુક્ત છે. છતમાં ફૂલ-વેલની રંગીન કોતરણી શોભે છે. રંગમંડપની મધ્યે વેન્ટિલેશન માટે જાળિયું છે.
ત્રણ ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક તરીકે શ્રી શાંતિનાથની ૨૭” ઊંચાઈવાળી પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ છ આરસપ્રતિમા છે જે પૈકી એક કાઉસ્સગ્ગિયા છે. કુલ ચાર ધાતુપ્રતિમા છે. અહીં આદેશ્વરના આરસના એક પગલાંની જોડ છે. તેના પર સં. ૧૯૨૪ લખેલ છે. સં. ૧૯૬૩ની જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં એક પગલાંની જોડનો તથા પાંચ આરસ તથા ચાર ધાતુપ્રતિમાનો ઉલ્લેખ સાંપડે છે. આજે પણ આ પ્રમાણે જ છે.
ઐતિહાસિક સંદર્ભ શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ સૌ પ્રથમ સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મળે છે. ત્યારબાદ સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં, સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં, સં૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં તથા સં. ૨૦૧૦માં સાતત્યપૂર્વક આ જિનાલયનો ઉલ્લેખ મળે છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં તરશેળીયાની શેરીમાં આ જિનાલયને શિખર વિનાનું દર્શાવ્યું છે. પાંચ આરસપ્રતિમા અને ચાર ધાતુપ્રતિમા બિરાજમાન હોવા ઉપરાંત પગલાંની એક જોડનો ઉલ્લેખ થયેલો છે. જિનાલયની સ્થિતિ સારી દર્શાવી છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં તરશેરિયામાં આવેલા શાંતિનાથના આ જિનાલયને ધાબાબંધી દર્શાવ્યું છે. જિનાલયમાં છ આરસપ્રતિમા અને ચાર ધાતુપ્રતિમા બિરાજમાન હતી. વહીવટ સાંકળચંદ મંગળદાસ હસ્તક હતો. જિનાલયનો સમય સં. ૧૭૫૦ લગભગનો દર્શાવ્યો છે. જિનાલયની સ્થિતિ સારી દર્શાવી હતી.
આજે જિનાલયનો વહીવટ મુંબઈનિવાસી શ્રી અરવિંદભાઈ ધીરજલાલ શાહ તથા સાલવીવાડામાં રહેતા શ્રી બીપીનભાઈ એ. સાલવી હસ્તક છે.
ટૂંકમાં આ જિનાલય સં૧૭૨૯ પૂર્વેનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org