________________
પ્રકાશકીય રાજનગરનાં જિનાલયો' ગ્રંથ પ્રકાશિત કરતાં અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. વર્ષો પૂર્વે પેઢી તરફથી “જૈન તીર્થ સર્વસંગ્રહ' ભા. ૧-૨-૩ પ્રકાશિત થયા હતા. તેમાં સમગ્ર ભારતનાં જિનમંદિરોની માહિતી તથા જૈન તીર્થનો ઇતિહાસ પ્રકાશિત થયો હતો. પણ હાલ આ ગ્રંથો અનુપલબ્ધ છે. તેના પુનઃ પ્રકાશન વેળાએ ગ્રંથનું સંમાર્જન અને સંપાદન આવશ્યક જણાતાં અમદાવાદનાં જિનમંદિરોથી કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો. આ ગ્રંથમાં શરૂઆતમાં રાજનગરનાં જિનમંદિરોનો ઇતિહાસ, શ્રેષ્ઠીઓનો ઇતિહાસ અને રાજનગરની વર્તમાન સ્થિતિ આદિની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. આ માહિતી ઇતિહાસ-રસિકોને તથા જિનશાસન પ્રેમી શ્રાવકોને ઉપયોગી થશે તેમ જ સંશોધન-કર્તાઓને સંદર્ભગ્રંથની ગરજ સારશે.
પ્રસ્તુત ગ્રંથ તૈયાર કરવા માટેનું સમગ્ર આયોજન શ્રી ચંદ્રકાન્ત કડિયાએ કર્યું છે તથા સંપાદન શ્રી જિતેન્દ્ર શાહ તથા શ્રી ચંદ્રકાન્ત કડિયાએ કર્યું છે. આ બંને સંપાદકોનો પેઢી તરફથી હું આભાર વ્યક્ત કરું છું. આ યોજના માટેનો આર્થિક સહયોગ સંબોધિ સંસ્થાન, અમદાવાદ તરફથી મળ્યો છે તે માટે તેમનો પણ આભાર માનું છું. માહિતી એકઠી કરવામાં સહયોગ આપનાર અમદાવાદના તમામ જૈન સંઘોનો તથા સંચાલકોનો પણ આભાર માનું છું. આ ગ્રંથ માત્ર અમદાવાદના જ નહીં પણ સમગ્ર જૈનશાસનના ચતુર્વિધ સંઘને વિશેષ ઉપયોગી થશે તેવી આશા છે.
શેઠ આણંદજી કલ્યાણજી ઝવેરીવાડ, અમદાવાદ - ૧. તા. ૫-૮-'૯૭.
કામદાર નવીનચંદ્ર મણિલાલ
જનરલ મેનેજર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org