________________
પુરોવચન રાજનગરની જૈન પરંપરા ભવ્ય છે. તેનો ઇતિહાસ ગૌરવવંતો છે. જૈન શાસન ઉપર જ્યારે જ્યારે આપત્તિઓ આવી ત્યારે ત્યારે મહાજનોએ અને શ્રેષ્ઠીઓએ કુનેહપૂર્વક આપત્તિઓને હલ કરી છે. એટલું જ નહીં પરંતુ, સામાન્ય માનવીની સુરક્ષા અને ઉન્નતિ માટે માનવતાભર્યું વલણ દાખવીને અનેક મંગલ કાર્યો કર્યા છે. તેઓએ શાંતિના સમયમાં જૈન પરંપરા અનુસાર શિલ્પ-સ્થાપત્ય અને દેવ વિમાન તુલ્ય જિનાલયોનું નિર્માણ કરી જૈન શાસનની પતાકા ફરકાવી છે અને જૈન ધર્મની કીર્તિ ચોતરફ લાવી છે. આથી જ, અમદાવાદ નગર છેલ્લા પાંચ સૈકાઓથી જૈનોની રાજધાનીનું સ્થાન ભોગવી રહ્યું છે.
જૈન પરંપરાની મહત્ત્વપૂર્ણ ઘટનાઓનું આલેખન થાય તો ઇતિહાસ જળવાઈ રહે અને ભાવિ પેઢીને અનુમોદનાનું પુણ્યકર્મ કરવાનો અવસર મળે તેવી ભાવનાથી પ્રેરાઈને એક ગ્રંથનું આયોજન કરવામાં આવ્યું. ખૂબ જ વિકટ અને કષ્ટસાધ્ય કાર્ય હોવા છતાંય આ કાર્યને શ્રી જિતેન્દ્ર શાહ અને શ્રી ચંદ્રકાન્ત કડિયાએ ઉપાડ્યું. આજે આ કાર્ય પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે હું આનંદ અનુભવું છું. આ ગ્રંથમાં રાજનગરનાં જિનાલયોનો ઇતિહાસ (અમદાવાદ), શ્રેષ્ઠીઓની ધાર્મિક ભાવના, તેમણે કરેલા કાર્યની નોંધ, અમદાવાદનાં તમામ જૈન દેરાસર, સંઘ, જ્ઞાનભંડારો, ઉપાશ્રયો, આયંબિલશાળાઓ આદિની વિગતવાર નોંધ આપેલી છે. આ ગ્રંથ અમદાવાદના જૈન સંઘો માટે દીવાદાંડી રૂપ બની રહેશે અને દરેક જૈનોને ઉપયોગી થશે તેવી મને આશા છે. અમારી એવી પણ ભાવના છે કે ભવિષ્યમાં સમગ્ર ભારતનાં તમામ શહેરો અને ગામોનાં જિનાલયોની આવી નોંધ તૈયાર થાય અને ગ્રંથસ્વરૂપે પ્રકાશિત થાય.
આ ગ્રંથ આણંદજી કલ્યાણજીની પેઢીના જ્ઞાનખાતાની રકમમાંથી પ્રકાશિત થઈ રહ્યો છે તે બદલ હું પેઢીનો આભાર માનું છું
- તા. ૫-૮-'૯૭.
શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ
પ્રમુખશ્રી શેઠ. આ. ક. પેઢી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org