SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ રાજનગરનાં જિનાલયો વ્યાવહારિક કેળવણી અંગે, જૈન ધર્મના ક્રમબદ્ધ અભ્યાસક્રમને લગતી પુસ્તિકાઓની જરૂરિયાત અંગે, Central collegeની જરૂરિયાત અંગે, નવી બૉર્ડિગો શરૂ કરવા અંગે, જૈન-શિલ્પસ્થાપત્યના અભ્યાસ અંગે, સ્ત્રી કેળવણી અંગેનું પ્રાચીન મંદિરોના જીર્ણોદ્ધાર તથા પ્રાચીન શિલાલેખોની જાળવણી-સાચવણી તથા તે અંગેના સંશોધનના મહત્ત્વ અંગે, જીવદયા અંગે બાળલગ્ન, કન્યાવિક્રય, વૃદ્ધ લગ્ન આદિ વિષયક સામાજિક સુધારાઓ અંગે ખૂબ જ પરિણામલક્ષી ચિંતન અને મનન કરવામાં આવ્યું, તે અંગેના ઠરાવો કરવામાં આવ્યા અને ઠરાવોના અમલ માટેની સતર્કતા, જાગૃતિ અને સક્રિયતા દાખવવામાં આવી. આમ, સં. ૧૯૬૩માં યોજેલી પાંચમી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સે રાજનગરના જૈન સંઘમાં એક બાજુ ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસનું વાતાવરણ સર્જ્યો તો બીજી બાજુ આવી રહેલા આવી ગયેલા નવજાગૃતિના યુગનાં એંધાણ પારખીને તે મુજબ સમાજજીવનના પ્રવાહને યોગ્ય ઘાટ અને વળાંક આપવાના કેટલાક માર્ગસૂચક સ્તંભોનું નિર્માણ પણ કર્યું. તદુપરાંત સંઘની એકતામાંથી પ્રગટ થયેલી સંઘશક્તિનાં સૌને દર્શન થયાં અને સંઘ પ્રત્યેની નિષ્ઠા સૌની અંદર વધુ દઢ બની તથા સંઘની એકેએક વ્યક્તિનું સંઘ પ્રત્યેનું પોતાનું ઉત્તરદાયિત્વ શું તેની પ્રતીતિ પણ સહુને થઈ. આવા ભવ્ય પ્રસંગોએ જે દૂરગામી અસરો ઊપજે છે તેમાંથી જૈન શાસનનો પ્રભાવ વધે તેવા અનેક નવા પ્રસંગો સર્જાતા હોય છે. આ એક એવો સમય હતો કે રાજનગરનાં ઘરોમાં વીજળીના દીવાઓ આવ્યા ન હતા. વીજળીના દીવાઓ આકાશના દીવાને ઝાંખા નહોતા પાડતા ત્યારે તે સમયના રાજનગરનાં જૈન દેરાસરોના સમૂહ સંધ્યાકાળે આરતી અને મંગલદીવાના જે પ્રકાશમય સૂરો પ્રસરાવતા હશે તે મંગલમય, પ્રકાશમય, તેજોમય, ભક્તિમય વાતાવરણ જૈન કુટુંબોનાં બાળકોમાં સંસ્કારનું કેવું નક્કર અને ફળદાયી સિંચન કરતા હશે તેની તો આજની વર્તમાન પેઢીએ માત્ર કલ્પના કરવાની રહી. શેઠ શ્રી મનસુખભાઈ ભગુભાઈ જૈન સમાજમાં મિલ-ઉદ્યોગ શરૂ કરનાર સૌ પ્રથમ શ્રાવક હતા. સં. ૧૯૩૨માં પાંચ લાખની થાપણથી તેમણે મિલ ઊભી કરી હતી, જે મિલ સં. ૧૯૩૪માં ચાલુ થઈ હતી. અનેક વિરોધો વચ્ચે અનેક મુશ્કેલીઓ પાર કરતા મનસુખભાઈ દઢતાથી પોતાના એ ધંધાને વળગી રહ્યા હતા અને તેમાં તેમણે સારી સફળતા મેળવી હતી. સં. ૧૯૩૭માં તેમણે એક બીજી મિલ પણ ઊભી કરી. મિલ-ઉદ્યોગ દ્વારા લક્ષ્મીનું ઉપાર્જન કરવાની સાથે સાથે તેમણે જૈન શાસનનાં, પરોપકારનાં અને જ્ઞાતિ હિતનાં પણ ઘણાં કાર્યો કર્યા હતાં. ભાવનગરમાં ઈ. સ. ૧૯૦૮માં (સં. ૧૯૬૪માં) મળેલી જૈન કૉન્ફરન્સના તેઓ પ્રમુખ ચૂંટાયા હતા. જમાલપુરમાં પોતાના પિતાશ્રી ભગુભાઈના નામથી એક વિશાળ વાડી બંધાવી હતી, જે “ભગુભાઈનો વંડો’ એ નામથી ઓળખાતી હતી. વિશાળ ચોગાનમાં વાડીનું મકાન હતું. વાડીમાં એક સાથે દસ હજાર માણસો એકત્રિત થઈ શકતા હતા. જૈન સમાજના અનેક પ્રસંગો આ વંડામાં ઊજવાયા હતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy