SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગરનાં જિનાલયો સોમદેવસૂરિના ઉપદેશથી તેણે મોટો ગ્રંથભંડાર બનાવ્યો. સં. ૧૫૩૯-૪૦માં જ્યારે ગુજરાત અને માળવામાં મોટો દુકાળ પડ્યો હતો ત્યારે અમદાવાદના શ્રીમાલ મંત્રીઓ-સુંદર તથા ગદરાજે અનેક સ્થળોએ પાણીની પરબો અને દાનશાળાઓ બેસાડીને પ્રજાને મોટી મદદ કરી હતી. મંત્રી ગદરાજે તે સમયે ભટ્ટારક લક્ષ્મીસાગરસૂરિની નિશ્રામાં એક જિનાલયની પ્રતિષ્ઠા કરાવી હતી. દેવધર શ્રીમાલી અને તેના વંશજોએ પણ જૈનશાસનની પ્રભાવના વધારવા અનેક પુણ્ય કાર્યો કર્યા. સં. ૧૫૬૮માં તેના વંશમાં થયેલા સાધુ ચોથાએ અમદાવાદમાં ગ્રંથભંડાર સ્થાપ્યો અને ૪૫ આગામો લખાવ્યા. એ જ વંશના સોનપાલે જૈન ગ્રંથ ભંડાર સ્થાપિત કર્યો, જેમાં સુવર્ણાક્ષરી પ્રતિઓ પણ લખાવી હતી. સોનપાલે અમદાવાદમાં રંગમંડપવાળું મોટું દેરાસર બનાવી પ્રતિષ્ઠા કરાવી હતી. ઉપરાંત, શત્રુંજય, ગીરનાર તીર્થના છ'રી પાળતા સંઘો પણ કાઢ્યા હતા. - આચાર્ય જિનચંદ્રના ઉપદેશથી અમદાવાદમાં શિવા અને સોમજી નામના બે ભાઈઓએ પણ ધર્મકાર્યો માટે ખૂબ જ ધન વાપરી દાનની સરિતા વહેવડાવી. તેઓએ ઘણાં જૈનમંદિરો બંધાવ્યાં, અનેક જૈન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી અને ઘણા ગ્રંથો તૈયાર કરાવડાવ્યા. અમદાવાદના આજે પણ વિદ્યમાન ધનાસુથારની પોળનું શાંતિનાથનું દેરાસર, મનસુખભાઈ શેઠની પોળનું નમિનાથનું દેરાસર તથા શામળાની પોળનું શામળા પાર્શ્વનાથનું દેરાસર-આ બે ભાઈઓએ બંધાવ્યાં હતાં. શત્રુંજય તીર્થ પર આદિનાથ ચૌમુખજીનું મંદિર “શ્રી શિવા-સોમજીની ટૂક'ના નામથી આજે પણ પ્રસિદ્ધ છે. આદિનાથ ચૌમુખીજીના એ મંદિરની પ્રતિષ્ઠા સં૧૬૭૫માં ભારે ધામધૂમથી સોમજીના પુત્ર રૂપજીએ શ્રીમદ્ જિનરાજસૂરિના શુભ હસ્તે કરાવી હતી. એ સમય દરમ્યાન અન્ય કેટલાક જૈનશ્રેષ્ઠીઓએ પણ રાજનગરમાં જૈન શાસનનો પ્રભાવ વધે તે માટે પોતાનું યોગદાન કર્યું હતું. તે પૈકી મુખ્યત્વે લટકણ શાહ, મૂલા શેઠ અને વીપા પારેખનું યોગદાન નોંધપાત્ર છે. મૂલાશેઠ અને વીપા પારેખે અમદાવાદમાં મોટો ઉત્સવ કર્યો હતો, જેમાં શ્રી વિજયસેનસૂરિને આચાર્ય પદવી આપવામાં આવી હતી. નગરશેઠ શાંતિદાસ ઝવેરીએ સં. ૧૬૮૨માં સરસપુરમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું ભવ્ય બાવન જિનાલય બનાવડાવ્યું હતું, તે અગાઉ રાજનગરમાં અને તેની આસપાસનાં પરાંઓમાં અનેક જૈન દેરાસરોનું નિર્માણ થયેલું હતું. આશાપલ્લી રાજ્યનો સમય, કર્ણાવતી રાજ્યનો સમય, અમદાવાદ શહેર વસાવવામાં આવ્યું ત્યારબાદનો બાદશાહી અમલનો સમય અને મુગલ રાજ્યનો અકબર અને જહાંગીરના રાજ્ય અમલ દરમ્યાનનો સમય એ જૈન શાસનના પ્રભાવને વધારવા માટે સાનુકૂળ સમય હતો. જો કે અમદાવાદ શહેરની સ્થાપના થયા બાદ જૂની આશાપલ્લી નગરી અને કર્ણાવતી નગરીનાં ઘણાં જૈનમંદિરોનો નાશ પણ કરવામાં આવ્યો હતો. અને એ જૈન મંદિરોના પથ્થરોનો ઉપયોગ બાદશાહી અમલના આરંભમાં બંધાયેલી મસ્જિદો તથા અન્ય સ્થાપત્યોમાં કરવામાં આવ્યો હતો તેવા સંખ્યાબંધ ઉલ્લેખો ઇતિહાસના ગ્રંથોમાં મળી આવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy