________________
૬
હતું. આ યોજના અંતર્ગત ગુજરાતનાં તીર્થો અને સમગ્ર જિનાલયોની માહિતી આપવાનું આયોજન કરવામાં આવ્યું અને આખીય યોજનાને દસ ભાગમાં વહેંચવામાં આવી છે.
રાજનગર પછી સ્તંભતીર્થ(ખંભાત)નો ઇતિહાસ આલેખવાનું વિચાર્યું. કેમકે જૈન ધર્મના પ્રમુખ પ્રાચીન નગરોમાં પાટણ, ખંભાત, સુરત, પાલિતાણા, ગિરનાર વગેરેનો ક્રમ આવે છે. તેમાં ખંભાતનું નામ લેતાં જ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, અભયદેવસૂરિ અને હીરસૂરિ જેવા અનેક શાસન પ્રભાવક આચાર્યોનાં નામો સ્મૃતિપટ ઉપર તરી આવે છે. મંત્રીશ્વર ઉદયન મહેતા અને કવીશ્વર ઋષભદાસ જેવા શ્રેષ્ઠ શ્રાવકોનાં ધર્મકાર્યોની વાત તાજી થઈ આવે છે. તેમજ દિવ્ય, મનોહર, જિનપ્રતિમાઓ, સુંદર શિલ્પયુક્ત જિનાલયો, જ્ઞાનભંડાર આદિના દર્શન ભાવવિભોર બનાવી દે છે. પૂર્વ મહર્ષિઓએ આ નગરની યાત્રા કરી ચૈત્યપરિપાટીઓ લખી છે. તેમાં નગરનાં જિનાલયોનાં મુક્ત કંઠે વખાણ કર્યાં છે. શ્રાવકોની ઉદાત્ત ધર્મભાવનાની અનુમોદના કરી છે. અનેક ગ્રંથોમાં આ નગરના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. તે બધાને આધારે અહીં ઇતિહાસ આલેખવામાં આવ્યો છે. તેમજ જિનમંદિરોની સંપૂર્ણ માહિતી પણ આપવામાં આવી છે. પરિશિષ્ટોમાં ચૈત્યપરિપાટીઓ, શિલાલેખો અને તવારીખ આપી ગ્રંથને વધુ ઉપાદેય બનાવ્યો છે. આ ગ્રંથ માત્ર ઇતિહાસસ્વરૂપ જ નથી પરંતુ શ્રાવકોને જાણકારી મળે તેવી, વ્યવસ્થાપકોને ઉપયોગી થાય તેવી, અને ચૈત્યપરિપાટી કરવા ઇચ્છતા ભાવિકોને માટે પણ ઉપયોગી થાય તેવી અનેક માહિતીઓથી સભર છે.
આ સમગ્ર યોજના અંગે શ્રેષ્ઠીશ્રી શ્રેણિકભાઈ સાથે ઘણી વાર ચર્ચા થઈ હતી. તેમની ઉદાત્ત ભાવના અને અત્યંત ઉત્સાહે મને આ યોજના તૈયાર કરવા માટે પ્રેર્યો. આ વાત મારા મિત્ર શ્રી ચંદ્રકાન્ત કડિયાને જણાવી. તેઓએ આ કાર્ય કરવા ઉત્સાહ દર્શાવ્યો. એટલું જ નહીં પણ યોજનાને સુવ્યવસ્થિત રીતે પાર પાડવાની તૈયારી દર્શાવી. લેખન આદિ કાર્ય પણ સંભાળી લેવાની વાત કરી. તેથી જ મહાભારત જેવા આ વિશાળ કાર્યનું આયોજન કરવાની હિંમત કરી. ઉપરાંત નિશ્ચિત સમયાવિધિમાં આ પ્રથમ ગ્રંથ તેમણે તૈયાર કરી આપ્યો છે તે આનંદની ઘટના છે. તે બદલ તેઓ અભિનંદનને પાત્ર છે.
આ યોજના પાર પાડવા માટે વિભિન્ન ટ્રસ્ટોએ જુદા જુદા સ્વરૂપે સહયોગ કર્યો છે. સહુ પ્રથમ તો શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન બોર્ડિંગે (અમદાવાદ) માહિતી એકઠી કરવા માટે આવશ્યક આર્થિક સહયોગ કર્યો છે અને ગ્રંથમાં પ્રકાશિત કરવામાં આવેલ photographsની તથા પ્રકાશનની જવાબદારી શ્રી સંબોધિ સંસ્થાન-અમદાવાદે ઉપાડી. ગ્રંથપ્રકાશનના કાર્યમાં શારદાબહેન ચિમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર-અમદાવાદના કાર્યકર્તા શ્રી અખિલેશ મિશ્ર, વિક્રમ મકવાણા, પ્રણવ શેઠ તથા ચિરાગ શાહનો સહયોગ મળ્યો છે તથા પ્રૂફ સંશોધન કરી આપવા બદલ શ્રી નારણભાઈ પટેલનો ખૂબ જ આભાર માનું છું.
આ ગ્રંથ જિજ્ઞાસુઓને ઉપયોગી થશે તેવી આશા છે. તેમજ સુજ્ઞ વાચકોને ખાસ વિનંતી છે કે પ્રસ્તુત યોજના તથા પ્રકાશિત થઈ રહેલ આ ગ્રંથમાં કોઈપણ ક્ષતિ રહી હોય તો જણાવી આભારી કરશો.
જિતેન્દ્ર બી. શાહ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org