________________
ખંભાતનાં જિનાલયો
૧૯૩
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં જીરાળાપાડામાં મનમોહન પાર્શ્વનાથજીનું જિનાલય ધાબાબંધી દર્શાવ્યું છે. તે સમયે જિનાલયમાં પાષાણના ત્રણ પ્રતિમાજીઓ બિરાજમાન હતા. જિનાલયના મકાનની સ્થિતિ સાધારણ હતી, અને વહીવટ છોટાલાલ કાળીદાસ હસ્તક હતો. આજે છોટાલાલ કાળીદાસ વિલ ટ્રસ્ટ અંતર્ગત શ્રી બાબુભાઈ વાડીલાલ કાપડિયા તથા પ્રતાપભાઈ ચીમનલાલ ચોક્સી વહીવટ કરે છે.
જિનાલય તદ્દન સામાન્ય બાંધણીનું છે. નાનું હોવા છતાં ઘણું સુંદર છે. જિનાલયના બહારના ભાગમાં રંગકામ કરેલ છે. જયારે રંગમંડપમાં ભગવાનના પાંચ કલ્યાણકના પ્રસંગોનું ચિત્રકામ તથા ભીંત પર રાજગૃહી તીર્થ તથા કદંબગિરિ તીર્થનું ચિત્રકામ છે.
ગર્ભદ્વારની બહાર રંગમંડપમાં બે ગોખ છે. જમણી બાજુના ગોખમાં આચાર્ય શ્રી નેમિસૂરિશ્વર મ. સા.ની ગુરુમૂર્તિ બિરાજમાન છે જેમાં સં. ૨૦૩૦ - ફાગણ વદ ત્રીજનો ઉલ્લેખ છે. ડાબી બાજુના ગોખમાં સરસ્વતીદેવીની પાષાણની મૂર્તિ છે. તેમના પર “સં. ૧૩૩૯... જેઠ વદ છઠ... ગુણસેનસૂરિ ... સરસ્વતીદેવી ..” એવું લખાણ વંચાય છે. - એક પ્રવેશદ્વાર અને એક ગર્ભદ્વાર ધરાવતા આ જિનાલયનો ગભારો ચોરસ કદનો છે. મૂળનાયક ભગવાનની પ્રતિમાજી ખૂબ જ મનોહર છે. પ્રતિમાજીને લીલા રંગની ફણા અને સોનેરી રંગનું છત્ર ચિત્રાંકન કરેલું છે. પાષાણની ત્રણ પ્રતિમાજીઓ બિરાજમાન છે. ડાબી બાજુના પ્રતિમાજી પરિકરયુક્ત છે. અશોકવૃક્ષ નીચે પદ્માસનસ્થવાળી રચના છે. ઉપરાંત ગભારામાં પગલાંની એક જોડ છે.
મૂળનાયકની જમણી બાજુની પ્રતિમાજી પર લેખમાં “સં. ૧૬૬૭ ... તપા) શ્રી હેમસોમસૂરિ.. આચાર્ય શ્રી વિમલસોમસૂરિ' મુજબનું લખાણ વંચાય છે. લેખનો કેટલોક ભાગ પાછળની બાજુએ જતો હોવાથી બરાબર વંચાતો નથી. તેમ છતાં નીચે મુજબનું લખાણ અસ્પષ્ટ રીતે વંચાય છે.
“તપા // હેમ સોમસૂરીભિઃ શ્રી આચાર્ય શ્રી વિમલસોમસૂરિ સંવત ૧૬૬૭ વર્ષે ...”
મૂળનાયકની ડાબી બાજુની પ્રતિમાજી પર લેખમાં “સં. ૧૬૬૦- હિમસોમસૂરિ-કરમાશાતેની ભાર્યા કોડમતીએ પ્રતિષ્ઠા કર્યાના અર્થવાળું લખાણ છે.
ટૂંકમાં જીરાળાપાડામાં આવેલું મનમોહન પાર્શ્વનાથનું જિનાલય સં. ૧૯૯૩ના સમયનું છે, જો કે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org