________________
આજે પણ જૈન ધર્મક્ષેત્રોની આ મૂળભૂત વ્યવસ્થા પ્રવર્તમાન હોવાથી જૈન ધર્મની કોઈપણ ધર્મપ્રવૃત્તિ કે ધર્માદા (ચેરિટેબલ) પ્રવૃત્તિ કરવા-કરાવવા માટે કોઈ સરકારી કાયદા હેઠળ નોંધણી આદિ કરાવવાની આવશ્યકતા નથી. આમ છતાં ભારતના કેટલાક રાજ્યોમાં (દા.ત. મહારાષ્ટ્ર, ગુજરાત) સરકારે ‘પબ્લીક ટ્રસ્ટ એકટ’ લાગુ કરીને આવા કાર્યો કરનાર સમૂહો-સંઘો માટે ફરજિયાત નોંધણી કરાવવી જરૂરી કરેલ છે. જ્યારે આ કાયદો બન્યો તે સમયે જૈનાચાર્યો અને મોવડીઓએ એનો અનેક મુદ્દે વિરોધ પણ કરેલ હતો. પણ તે બધાની અવગણના કરીને આ કાયદો કરવામાં આવ્યો અને સકલ જૈન સમૂહોસંઘો ઉપર ફરજિયાતપણે લાગુ કરવામાં આવ્યો. તેથી ન છૂટકે જ ધર્મ સંસ્થાઓને પણ એમાં નોંધણી કરાવવાની ફરજ ઊભી થઈ છે.
પરંતુ સદર જૈન સંસ્થાઓ જૈન ધર્મની ઉપર વર્ણવેલી મૂળભૂત વ્યવસ્થાસંચાલન-વહીવટ પદ્ધતિને જ માને છે, એની ઉપર શ્રદ્ધા ધરાવે છે અને જ્યારે પણ ટ્રસ્ટના અસ્તિત્વ અને વ્યવસ્થા અંગેના પ્રશ્નો ઊભા થાય ત્યારે એ મૂળભૂત વ્યવસ્થા-વહીવટ-સંચાલન પદ્ધતિને જ પૂર્ણ નિષ્ઠાથી અનુસરવા કટિબદ્ધ રહેશે. એ વાત સ્પષ્ટ રહેવી જોઈએ.
આજે વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે ધાર્મિક અને ધર્માદા સંસ્થાના કાયદા અને નિયમોને અનુલક્ષીને સંઘની સ્થાવર અને જંગમ મિલકતની સુરક્ષા, વ્યય આદિ માટે ટ્રસ્ટ વ્યવસ્થા ઉભી કરવી જરૂરી છે. સંઘના સભ્યોનો વિશ્વાસ સંપાદન કરવાની દૃષ્ટિએ પણ આ વ્યવસ્થા જરૂરી જણાય છે.
ટ્રસ્ટની સ્થાપના નોંધણી કરવાથી કાયદાકીય રીતે જે સવલતો મળે છે તે નીચે મુજબ છે.
૧. સંઘની સ્થાવર અને જંગલ મિલકતોને કાયદેસર દરજજો (ભૂમિકા) પ્રાપ્ત થાય છે. તે મિલકતો અંગે સંસ્થાના માલિકી હકો સુરક્ષિત થાય છે.
૨. જૈન ધર્મના અને સંઘના અધિકારો માટે કોર્ટ-કચેરી કાર્યોમાં કાયદેસર દરજજો પ્રાપ્ત થાય છે.
૩. જૈન ધર્મનાં તીર્થો કે સ્થાનિક સંઘોની મિલકત અંગે કોઈ વ્યક્તિ ગેરકાયદેસર હક-દાવો કરે તો તેની સામે કાયદેસર પગલાં ભરી શકાય તેવો દરજ્જો પ્રાપ્ત થાય છે. ૧૫ર ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો?