________________
પ્રકરણ પંદર
૨૬૫
ગ્રહ-નક્ષત્ર-તારા-જન્મકુંડળી આધારિત ફલાદેશ આપવાનો આ ગ્રંથનો કોઈ હેતુ નથી. પણ એનું નામ સૂચવે છે તેમ મનુષ્યની સાહજિક પ્રવૃત્તિઓનાં નિરીક્ષણ માત્રથી તેમ જ તેનાં અંગોના વિવિધ પ્રકારના ભાવો ઉપરથી ફલાદેશનાં નિરૂપણ કરવાનો છે. આથી, મનુષ્ય ઉપરાંત એની સાથે સંબંધિત વિષયોનું વિપુલ વર્ણન અને તદ્વિષયક વૈવિધ્યપૂર્ણ માહિતી આ ગ્રંથમાં છે. તેથી આ ગ્રંથના સંપાદક એને ભારતીય વાડ્મયનો અપૂર્વ ગ્રંથ ગણાવે છે તથા વિશ્વવાડ્મયમાં આટલો વિષદ ગ્રંથ બીજો નથી એમ પણ સૂચવે છે. ફલાદેશનો આ મહાન ગ્રંથ હોવા છતાંય સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં એનું મહત્ત્વ અજોડ છે અને આ કારણે તે ફક્ત ફલાદેશનો ગ્રંથ ના રહેતાં સમકાલીન સંસ્કૃતિને અભિવ્યક્ત કરતો આકરગ્રંથ બની રહે છે.
હસવું, રડવું, બેસવું, ઊભા રહેવું, પ્રશ્ન ક૨વો, નમસ્કાર કરવા, આલિંગન લેવું, ચુંબન કરવું જેવી મનુષ્યની વિવિધ ચેષ્ટાઓને સંખ્યાતીત ભેદપ્રકારમાં વિભાજીને વર્ણવી છે. વળી, મનુષ્યની સાથે સંલગ્નિત ઘણા પદાર્થોનો વિપુલ સંગ્રહ આ ગ્રંથમા આમેજ છે. દા.ત. ચાર વર્ણ, વિવિધ જાતિઓ, ઘણીબધી અટક, ગોત્ર, સગપણ-સંબંધ, કર્મ-ધંધા-વ્યાપાર, પૂર્વસમયના સિક્કાનાં નામ, અધિકાર અને આધિપત્યની બાબત, યાન-વાહન, પશુ-પંખી, નગર-ધર-સ્થાન-પ્રદેશ, વાસણો, આભૂષણો, ભોજનની વિવિધ વાનગીઓ, વિવિધ પ્રકારનાં પીણાં, આયુધો, વસ્ત્રો, વિવિધ પ્રકારનાં તેલ, ખનીજો, નદી-પર્વત, ઉત્સવ, રોગ, દેવ-દેવીઓ, નક્ષત્રો, વ્યાકરણ વગેરે વગેરેજ.
આમ, આ ગ્રંથ એક સાથે માનવશાસ્ત્રી, પ્રાણીશાસ્ત્રી, સમાજશાસ્ત્રી, વનસ્પતિવિદ, આયુર્વેદજ્ઞ, માનસશાસ્ત્રી, ઇતિહાસકાર એમ અનેક વિદ્યાશાખાઓના અન્વેષકને આકર્ષવા સક્ષમ છે. આ સહુને આ ગ્રંથમાંથી વિપુલ સામગ્રી હાથવગી થઈ શકે છે. આ કારણે એનાં અન્વેષણ ખસૂસ રસપ્રદ નીવડે તેમ છે. એટલું જ નહીં, આ ગ્રંથનું પૃથક્કરણાત્મક વિશ્લેષણ કરવાનું કાર્ય સંખ્યાબંધ અધ્યેતાઓના સંયુક્ત શોધકાર્યનાં પરિણામ ઉપર અવલંબે છે. આ રીતે, તત્કાલીન ભારતીય સંસ્કૃતિની સુંદર તસવીર આ ગ્રંથમાં જોવી પ્રાપ્ત થાય છે. આથી તો આને આપણા દેશની તત્કાલીન સંસ્કૃતિનાં નિરૂપણ માટેના જ્ઞાનકોશ તરીકે ઓળખાવીએ એ જ એનું યોગ્ય મૂલ્યાંકન ગણી શકાશે.
ગ્રંથનો સમય અને રચના પ્રદેશ
આ બંને બાબતે અંતિમ નિર્ણય અભિવ્યક્ત કરવો અસંભવ નહીં તો મુશ્કેલ તો છે જ. ગ્રંથમાં ઉલ્લિખિત કેટલીક બાબતોના સંદર્ભે સાધકબાધક ચર્ચા દ્વારા કેટલાક સંભવ બંને મુદ્દા અંગે પ્રસ્તુત કરવાનો એક પ્રયાસ અહીં છેલ્પ.
આ ગ્રંથના બંને પ્રસ્તાવનાકાર આ બાબતે ખાસ કોઈ વિવરણ આપણે સંપડાવી આપતા નથી. મોતીચંદ્ર, આ ગ્રંથમાં ઉલ્લિખિત સિક્કાઓ, રાચરચીલું અને વસ્ત્રાલંકારોના આધારે, તેનો રચનાકાળ ચોથી સદીનો સૂચવે છે. તો વાસુદેવશરણ અગ્રવાલના મતે આ ગ્રંથ કુષાણોના સત્તાકાળના અંતભાગમાં અને ગુપ્તકાળના આરંભે લખાયો હોય.
આ ગ્રંથ મહારાષ્ટ્રી પ્રાકૃતમાં લખાયો છે. આ ભાષાનો વિનિયોગ પહેલપ્રથમ પશ્ચિમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org