________________
વધારાને અવકાશ છે.
ઇતિહાસની ક્ષિતિજો, આપણે અભિજ્ઞ છીએ તેમ, સદાય અને સતત વિસ્તરતી રહે છે અને પરિવર્તિત થતી રહે છે. એની ગતિવિધિઓ સમય અને સ્થળ પરત્વે વ્યાપક બનતી રહે છે. મુખ્યત્વે તો સમયે સમયે સંપ્રાપ્ત થતાં રહેતાં સાધનોથી ઇતિહાસના પુનર્લેખન સમયાંતરે થતાં રહેવાં જોઈએ. ઇતિહાસવિદ્યામાં જેમ જેમ ખેડાણ સૂક્ષ્મ થતું જાય તેમ તેમ તેના ગ્રંથમાં તેનાં પ્રતિબિંબ પથરાતાં રહેતાં હોવાં જોઈએ. આ પરિપ્રેક્ષ્યમાં મારા આ ગ્રંથને અવલોકવા નમ્ર અરજ છે.
આ ગ્રંથમાં કુલ પાંચ વિભાગ છે અને કુલ બાવીસ પ્રકરણ તેમ બાર પરિશિષ્ટ આમેજ છે. શક પ્રજાનાં ભારતમાં આગમનની પ્રક્રિયા અને આપણા દેશમાં એમની પ્રારંભિક રાજકીય કારકીર્દિ પ્રથમ વખત અહીં વિગતે પ્રસ્તુત કર્યા છે. કણિષ્કનો સમય આમ તો બીજાંકુર ન્યાયની જેમ પૃથકૃત થતો રહ્યો છે. પશ્ચિમી ક્ષત્રપોના સાથે એનો સમયનિર્ણય નિર્ણિત કરવો જરૂરી હોઈ એની ચર્ચા અહીં પ્રથમવાર રજૂ કરી છે. દક્ષિણના સાતવાહન શાસકો સાથે પશ્ચિમી ક્ષત્રપોને રાજકીય દુશ્મનાવટ અને સામાજિક સમન્વિત સંબંધો પરત્વેના યક્ષપ્રશ્ન ચર્ચય રહ્યા છે. અહીં તે વિશે પહેલપ્રથમ વખત સાધકબાધક નિરૂપણ સોદાહરણ અભિવ્યક્ત થયું છે. ક્ષત્રપોના સંદર્ભે થયેલાં પુરાતત્ત્વીય ઉત્પનનોનો સમાવેશ પણ અભિનવ રજૂઆત પામ્યો છે. ક્ષત્રપોના મહત્ત્વના શિલાલેખોની જરૂરી ચર્ચા અહીં ખાસ રજૂઆત પામી છે અને તેમાંના ઘણાના મૂળ પાઠ પહેલી વખત પ્રસ્તુત કર્યા છે. રાજકીય અને સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં ગુજરાતના ક્ષત્રપોના પ્રદાનને વિગતે વ્યક્ત કર્યો છે. સોમનાથનું મંદિર પહેલપ્રથમ ક્ષત્રપોના સમયે નિર્માણ પામ્યું હોવાની સસંદર્ભ ચર્ચા પ્રસ્તુત કરી છે. કેટલાંક પ્રકીર્ણ સ્થાપત્યકીય અવશેષો અહીં પ્રથમવાર રજૂઆત પામ્યા છે. હુન્નરકલાનાં પરિણામોને પરિશિષ્ટરૂપે ખાસ અભિવ્યક્ત કર્યા છે. સિક્કાઓ ક્ષત્રપકાલીન ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિને આલેખવાનાં બુનિયાદી સાધન હોઈ કાલાનુક્રમે ક્ષત્રપ સિક્કાઓની સૂચિનો સમાવેશ પહેલીવાર થયો છે. તેમ જ તે સિક્કાઓ ઉપરનાં લખાણ સંસ્કૃત અને બ્રાહ્મી લિપિમાં અહીં પહેલપ્રથમ રજૂ થયાં છે.
હમણાં પ્રસ્તુત કરેલાં મુખ્ય મુખ્ય યોગદાનની માહિતીથી, કહો કે અભિગમી અભિપ્રાયોથી એવું અભિપ્રેત સંભવતઃ થઈ શકે કે પ્રસ્તુત ગ્રંથ અગાઉના આ વિશેના મારા પૂર્વાચાર્યોના અને મારાય ધ્રુવપદીય પ્રદાનથી અભિનવ ચીલો ચાતરે છે એવું અનુભવાય. પરંતુ મારે સ્પષ્ટ કરવું રહ્યું કે આથી મારે કોઈ નવો સિદ્ધાંત પ્રસ્થાપવાની અપેક્ષા નથી. હકીકતમાં વર્તમાને હાથવગાં થયેલાં નવ્ય સાધનો અને અગાઉની વિદ્યમાન સામગ્રીનું અભિનવ મૂલ્યાંકન અહીં પ્રસ્તુત છે તો સાથોસાથ ઉપલબ્ધ પુરાવાઓ પરત્વે નવાં અર્થઘટન અને પુનઃઅર્થઘટન હેતુમૂલક પરિપ્રેક્ષ્યમાં પ્રસ્તુત કર્યા હોઈ આવું અનુભવવાનો સંભવ નકારી શકાય નહીં. આશા રાખીએ છીએ કે જિજ્ઞાસુઓને અને પૂર્વગ્રહાતીત સુજ્ઞ વાચકોને આ ગ્રંથમાં ઘણા અભિનવ સંવાદ-વિવાદ હાથવગા થશે અને પ્રસ્તુત થયેલી ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઇમારત રસપ્રદ અને વાચનક્ષમ નીવડશે તો પુરુષાર્થ ફળશે એવી ઉમીદ છે. ધવંતરિ ત્રયોદશી ૨૦૧૧
રસેશ જમીનદાર બી/૧૦, વસુ એપાર્ટમેન્ટ્સ, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org