________________
૫૧૫
ઉપસંપદા સામાચારી / ગાથા : ૧૦૦ કયા લક્ષ્યને સામે રાખીને યત્ન કરવાનો છે, તે રૂપ ઉપનિષભૂત ઉપદેશને બતાવે છે –
દશે પ્રકારની સામાચારીમાં સાધુએ તે રીતે યત્ન કરવાનો છે કે જે રીતે ચાર કષાયરૂપ રાગ અને દ્વેષનો વિલય થાય.
તેમાં યુક્તિ આપે છે કે, બાહ્ય આચારમાં કોઈ એકાંત નથી, પરંતુ અનેકાંત છે; જ્યારે રાગદ્વેષનો ક્ષય કરવા માટે પ્રયત્ન કરવાના વિષયમાં એકાંત છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે બાહ્ય સામાચારી રાગદ્વેષના ક્ષયનું કારણ બનતી હોય ત્યારે તે કર્તવ્ય બને છે, અને જ્યારે તે સામાચારી રાગદ્વેષના ક્ષયનું કારણ ન બનતી હોય અને કષાયવૃદ્ધિનું કારણ બનતી હોય તો તે અકર્તવ્ય છે. જેમ કે શક્તિનું ઉલ્લંઘન કરીને વૈયાવચ્ચ કરવામાં આવે તો વૈયાવચ્ચથી રાગદ્વેષનો ક્ષય ન થાય, પરંતુ અન્ય ઉચિત યોગોનો નાશ થાય; અને જે ઉચિત યોગો રાગદ્વેષના ક્ષયના કારણ બનવાના હતા, તે રાગદ્વેષનો ક્ષય ન કરી શકે. માટે કર્તવ્યરૂપે થતી વૈયાવચ્ચ પણ તેવા સ્થાનમાં અકર્તવ્ય બને છે. તેથી સામાચારીના પાલનરૂપ બાહ્ય આચરણામાં એકાંત નથી, પરંતુ રાગદ્વેષના ક્ષયનું કારણ બને ત્યારે તે સામાચારી કરવાની ભગવાનની અનુજ્ઞા છે, અને જ્યારે તે સામાચારી રાગદ્વેષના ક્ષયનું કારણ ન બને ત્યારે તે સામાચારીના સેવનનો ભગવાને નિષેધ કરેલો છે. આથી વસ્તુતઃ સર્વવિરતિ સંપૂર્ણ નિરવદ્ય આચારરૂપ હોવા છતાં જે જીવોને સર્વવિરતિની ભૂમિકા પ્રાપ્ત ન થઈ હોય તેવા જીવોને ભગવાને સર્વવિરતિ ગ્રહણ કરવાનો નિષેધ કરેલ છે, અને તે કથન અધ્યાત્મસારના ૧૫મા અધિકારમાં ગાથા૨૬માં બતાવેલ છે. તે આ પ્રમાણે –
'अत एव हि सुश्राद्धाचरणस्पर्शनोत्तरम् । दुष्पालश्रमणाचारग्रहणं विहितं जिनैः ।।'
તેનો અર્થ આ પ્રમાણે છે – “આ કારણથી જ સુશ્રાદ્ધની આચરણાના સ્પર્શના ઉત્તરમાં દુષ્પાલ દુઃખે કરીને પાળી શકાય તેવા, શ્રમણાચારનું ગ્રહણ ભગવાન વડે કહેવાયું છે.”
ઉપદેશમાલાના સાક્ષીપાઠનો ભાવ આ પ્રમાણે છે –
“બાહ્ય આચરણા-વિષયક પ્રવચનમાં સર્વથા અનુજ્ઞા કે સર્વથા નિષેધ નથી, પરંતુ ધનના લાભના અર્થી વણિકની જેમ સાધુ આય-વ્યયની તુલના કરે, અર્થાત્ કઈ પ્રવૃત્તિ કરવાથી રાગદ્વેષના અધિક નાશરૂપ લાભ થાય છે ? અને કઈ પ્રવૃત્તિ કરવાથી રાગદ્વેષની વૃદ્ધિરૂપ વ્યય થાય છે ? તેની તુલના કરે.
તેથી એ પ્રાપ્ત થાય છે, જેમ લાભનો અર્થી વણિક લાભને સામે રાખીને બાહ્ય પ્રવૃત્તિમાં પરિવર્તન કરે છે, તેમ રાગદ્વેષના ક્ષયના અર્થી સાધુ, જે વખતે જે પ્રવૃત્તિથી અધિક રાગદ્વેષ નાશ થાય તે પ્રવૃત્તિ કરે છે, અન્ય નહીં.
આથી દશે પ્રકારની સામાચારીમાં જ્યારે જે જે સ્થાનમાં રાગદ્વેષનો નાશ ન દેખાતો હોય તે તે સ્થાનમાં તે તે પ્રવૃત્તિનો નિષેધ કરીને અપવાદથી તેની વિપરીત પ્રવૃત્તિ પણ ઈષ્ટ બને છે. તેથી દશે પ્રકારની સામાચારીના તે તે સ્થાનોમાં અનેક પ્રકારનો ઉત્સર્ગ-અપવાદ પ્રાપ્ત થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org