________________
ધર્મતીર્થની વ્યાખ્યા જેણે ભગવાન મહાવીરસ્વામીને પ્રતિમારૂપે પણ જોયા નથી, તેમને કદી પગે પણ લાગતો નથી, બહારથી કદાચ તે શંકર કે વિષ્ણુનો ભક્ત હોય, છતાં જો તે જિનાજ્ઞા મુજબ દયા પાળતો હોય, તો અમે કહીએ કે તે ધર્મ તેના આત્મા માટે કલ્યાણ કરનાર છે; જ્યારે જૈન હોય પરંતુ જિનાજ્ઞાવિરુદ્ધ દયા પાળતો હોય તો અમે કહીએ કે તે ધર્મ તેના આત્મા માટે નકામો છે અર્થાત્ કોઈ પણ ધર્મને આત્મકલ્યાણકારી બનાવવા તેમાં જિનાજ્ઞાનુસારિતા અનિવાર્ય છે.
માર્ગાનુસારી જૈનેતરમાં જિનાજ્ઞાનુસારી દયા-દાનાદિનો સંભવ :
સભા અન્ય ધર્મમાં જૈનધર્મ જેવી જયણા ક્યાં છે ?
સાહેબજી : અન્ય ધર્મમાં પણ મોક્ષમાર્ગમાં પ્રવેશેલા અપુનબંધકાદિ જીવોમાં જે કાંઈ પણ અલ્પ દયા, પરોપકાર, ભક્તિ, ત્યાગ આદિનું અનુષ્ઠાન હોય તો તેને જિનાજ્ઞાનુસારી જ કહ્યું છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજ સાહેબે લખ્યું કે,
અન્યમાં પણ દયાદિક ગુણો, જેહ જિનવચન અનુસાર રે,
સર્વ તે ચિત્ત અનુમોદીએ, સમકિત બીજ નિરધાર રે. ચેતન, આ વિધાનથી અન્ય ધર્મમાં પણ જિનાજ્ઞા મુજબ દયા-પરોપકાર-તપ-ત્યાગ હોઈ શકે છે, જેની અહીં બેઠાં મારે પણ અનુમોદના કરવાની છે. પારકા છે એટલે અમને વાંધો નથી. ‘પારકાનું બધું ખરાબ અને આપણું બધું સારું' તેવી ભગવાનની વાત નથી. હા, અન્ય ધર્મમાં જૈનશાસન જેવાં સૂક્ષ્મ જયણાયુક્ત અનુષ્ઠાનો ન હોય, પરંતુ દયા કે અહિંસાનું જરા પણ આચરણ જ નથી તેવું તો ન કહી શકાય. અન્ય ધર્મમાં જે એવા મુમુક્ષુ હોય કે “પાપરૂપ હિંસા ન કરાય” તેથી દયા પાળતા હોય; વળી પાળતી વખતે મનમાં એક જ ભાવ છે કે “દુનિયામાં જીવમાત્ર દુઃખ નથી ઇચ્છતો અને સુખને જ ઇચ્છે છે; કોઈને દુઃખ દેવાનો મને અધિકાર નથી. તેથી આ અસાર સંસારમાં મારા ભૌતિક સુખ માટે કોઈ જીવને હું શું કામ દુઃખી કરું?” હૃદયથી માને છે કે “આ સંસાર અસાર છે, ભોગસુખો તુચ્છ છે, અવશ્ય છોડવા જેવાં છે, તેના માટે હું બીજાને ત્રાસ આપું તે યોગ્ય નથી.” જે વ્યક્તિ આવી ભાવનાથી નિઃસ્વાર્થભાવે વૈરાગ્યપૂર્વક બીજા જીવના દુઃખની ચિંતાથી દયા પાળે, પછી તે (અન્ય ધર્મમાં) ગૃહસ્થ હોય કે સંન્યાસી હોય, કદાચ રામ-શંકર-મહાદેવનો ભક્ત હોય, તો પણ અમે તેની દયાની અનુમોદના કરીએ છીએ; કારણ કે તે જીવ જિનાજ્ઞામાં છે.
સભાઃ આપણા જેવો વૈરાગ્ય તેમને કેવી રીતે આવે ?
સાહેબજી તેઓનાં શાસ્ત્રોમાં પણ સંસારને સંપૂર્ણ દુઃખમય અને અસાર જ કહ્યો છે. સર્વ આર્યદર્શનો કહે છે કે ચોર્યાશી લાખ યોનિરૂપ સંસાર અસાર છે, મોક્ષ જ સાર છે. આત્મા અને આત્માના સુખ સિવાય બીજું કાંઈ જ મેળવવા જેવું નથી, ન્યાયદર્શન, વૈશેષિકદર્શનનાં શાસ્ત્રો વાંચો. અરે ! સાંખ્યદર્શનના પાતંજલયોગદર્શન નામના ગ્રંથના રચયિતા પતંજલિ ઋષિએ લખ્યું કે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org