SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. શતાવધાની કવિ અનુપમ, તત્ત્વપૂર્ણ ‘મોક્ષમાળા’ના રચનાકાળ પૂર્વે થોડા મહિના અગાઉ વિ. સં. ૧૯૪૦માં શ્રીમદૂના અવધાન-પ્રયોગોનો પ્રારંભ થયો. સોળ વર્ષના શ્રીમદ્ મોરબી આવ્યા હતા અને તે સમયે એક ઉપાશ્રયમાં શ્રી શંકરલાલ માહેશ્વર શાસ્ત્રીના અષ્ટાવધાનનો પ્રયોગ યોજાયો હતો. શ્રીમને પણ અષ્ટાવધાનના પ્રયોગો જોવા નિમંત્રણ મળ્યું હતું. આ અષ્ટાવધાનનો પ્રયોગ જેવો જોયો, તેવો જ એમણે એમની અસાધારણ શક્તિથી શીઘ્ર ગ્રહણ કરી લીધો. બીજા જ દિવસે મોરબીના વસંતબાગમાં અંગત મિત્રમંડળ સમક્ષ નવા નવા વિષયો લઈને શ્રી શંકરલાલ શાસ્ત્રીના પ્રયોગોને ઝાંખા પાડી દે તેવા અષ્ટાવધાનના પ્રયોગો કર્યા. સહુ આશ્ચર્યચકિત થઈ ગયા. એમના મિત્રો તો એટલા બધા આનંદથી છલકાઈ ગયા કે આખા મોરબી ગામમાં આની ખબર પહોંચાડી દીધી. બીજા દિવસે એ જ ઉપાશ્રયની ભૂમિમાં ૨૦૦૦ પ્રેક્ષકોની સમક્ષ બાર અવધાનોનો અદ્વિતીય પ્રયોગ કરી બતાવ્યો. આશ્ચર્યકારી અને ચમત્કારિક સ્મરણશક્તિને કારણે શ્રીમદ્દ્ની કીર્તિ ચોતરફ ફેલાવા લાગી. અત્યાર સુધી શ્રીમદ્ કવિ અને વિદ્વાન તરીકે પ્રસિદ્ધ હતા. હવે એમની ખ્યાતિ અદ્ભુત સ્મરણશક્તિને કારણે ખૂબ ઝડપથી ફેલાવા લાગી. જામનગરમાં વિદ્વાનોની સમક્ષ બાર અને સોળ અવધાન કરી બતાવ્યા. આ જોઈ પ્રેક્ષકોમાં અપાર આનંદ અને આશ્ચર્ય વ્યાપી વળ્યાં. અહીં ઉપસ્થિત બે વિદ્વાનો આઠ-દસ વર્ષ સુધી મહેનત કરવા છતાં અવધાન કરી શક્યા નહોતા. એમણે કિશોર શ્રીમદૂની શક્તિઓને અતિ પ્રસન્નતા સાથે વધાવી લીધી. એમને ‘હિંદના હીરા’નું બિરુદ અર્પણ કરવામાં આવ્યું. એ પછી વઢવાણમાં એમણે કર્નલ એચ. એલ. નટ નામના અંગ્રેજ અધિકારી, અન્ય રાજ-રજવાડા અને મંત્રીમંડળની સમક્ષ આશરે ૨૦૦૦ પ્રેક્ષકોની જંગી મેદની આગળ સોળ અવધાન કરી બતાવ્યા. અસાધારણ શક્તિ જે દિશામાં વહે છે, તે દિશામાં એક પછી એક ઉત્તુંગ શિખર સર કરે છે. વઢવાણના પ્રયોગોને કારણે ગુજરાતી, અંગ્રેજી અનેક સામયિકોમાં શ્રીમના અવધાન પ્રયોગનાં વર્ણન વિગતવાર પ્રગટ થયાં. એ પછી બોટાદમાં કશીય પૂર્વતૈયારી વિના એક લક્ષાધિપતિ મિત્ર હરિલાલ શિવલાલ સમક્ષ બાવન અવધાન કરી બતાવ્યા. ક્યાં સોળ અવધાન ને ક્યાં બાવન અવધાન ! આ બાવન અવધાનમાં ત્રણ જણ સાથે ચોપાટ રમવી, ગંજીપો રમવું, મનમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરવાં – નવી કાવ્ય-સમસ્યાઓ પૂર્ણ કરવી અને નવા વિષયો માગેલા કાવ્યવૃત્તમાં રચવા. ગ્રીક અરબી, લૅટિન, અંગ્રેજી, સંસ્કૃત, ઉર્દૂ, બંગાળી, મરાઠી, મરુ, જાડેજી વગેરે સોળ ભાષાના અનુક્રમ વગરના ચારસો શબ્દને કર્તા-કર્મસહિત, અનુક્રમ સહિત કરી આપવા, વચ્ચે બીજાં કામો પણ કર્યે જવાં – આવી બાબતોનો સમાવેશ થતો હતો. એક વિદ્વાને તો તેમની શક્તિ જોઈને એવી ગણતરી કરી કે એક કલાકમાં તેઓ પાંચસો શ્લોક સ્મરણમાં રાખી શકે છે. વિ. સં. ૧૯૪૩માં મુંબઈમાં શ્રીમદે શતાવધાન (એકસો અવધાન) કરવાની શક્તિનો પરિચય આપ્યો. ફરામજી કાવસજી ઇન્સ્ટિટ્યૂટ તેમજ અન્ય સ્થળોએ એકસો અવધાન કરવાની શક્તિથી એમણે સહુ કોઈને મુગ્ધ કર્યા. એમનાં આવાં કાવ્યોમાં શ્રીમદ્દની નૈસર્ગિક પ્રતિભા સાથે કવિ-પ્રતિભા ઝળકી ઊઠે છે. મુંબઈમાં શતાવધાન કરનાર ઓગણીસ વર્ષના શ્રીમદ્જીની અદ્ભુત શક્તિથી ડૉ. પિટરસન અને મુંબઈની હાઇકૉર્ટના ન્યાયમૂર્તિ સર ચાર્લ્સ સારજન્ટ નવાઈ પામ્યા અને આવી શક્તિનું રહસ્ય પૂછતાં શ્રીમદે કહ્યું, “અંતઃકરણની શુદ્ધિ સિવાય આ થઈ શકે નહીં. શિખવાડ્યું આવડે તેમ નથી.” આ રીતે શ્રીમદ્ શતાવધાની કવિ તરીકે મુલ્કમશહૂર બન્યા. Jain Education tornational For Personal & Private Use Only
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy