SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. ગયો દેહથી નેહ વહાલના વિશાળ વડલા જેવા દાદાના વાત્સલ્યની હુંફાળી છાયામાં શ્રીમદ્દનું બાળપણ આનંદભેર વ્યતીત થયું. ભારતીય સંસ્કૃતિની કુટુંબપ્રથાની એ વિશેષતા છે કે બાળકના જીવનની સૌથી મોટી પ્રાથમિક નિશાળ દાદાદાદી છે. શ્રીમદ્દને દાદા પાસેથી સૌથી વધુ હૂંફ, વાત્સલ્ય અને સંસ્કાર સાંપડ્યાં, દાદા પૌત્ર કે પૌત્રીના બાળપણને સ્નેહ અને વાત્સલ્યથી ઘાટ આપે છે. દાદા પંચાણભાઈને કારણે જ બાળ શ્રીમદ્દને કૃષ્ણભક્તિના સંસ્કારો મળ્યા. આવા દાદા પંચાણભાઈનો જન્મ સં. ૧૮૩૬માં થયો હતો. પંચાણભાઈના પિતા દામજી પીતામ્બર મોરબીથી સાત ગાઉ દૂર આવેલા માણેકવાડા ગામમાં રહેતા હતા. દામજીભાઈનો કુળધર્મ સ્થાનકવાસી જૈન સંપ્રદાયનો હતો અને તેઓ જ્ઞાતિએ દશા શ્રીમાળી વણિક હતા. એમની પાસે ઘણી સંપત્તિ હોવાથી પુત્રોના ભાગ ગણતરી કરીને નહીં, પણ તાંસળીથી (મોટા વાટકાથી) પાડ્યા હતા. એમના પાંચ પુત્રોમાં વચલા પુત્ર પંચાણભાઈને વહેંચણીમાં ઓછો ભાગ મળતાં ખોટું લાગ્યું. તેઓ સં. ૧૮૯૨માં વવાણિયા આવીને વ્યાજ-વટાવ અને વહાણવટાનો વ્યવસાય કરવા લાગ્યા. કૃષ્ણભક્તિમાં તરબોળ ડૂબેલા રહેતા પંચાણભાઈનું સં. ૧૯૩૪માં ૯૮ વર્ષની વયે અવસાન થયું. આ સમયે બાળ શ્રીમની ઉંમર માત્ર દસ વર્ષની હતી. પંચાણભાઈની સ્મશાનયાત્રા નીકળી ત્યારે નનામીની આગળ ચાલતા બાળ શ્રીમદ્ છાણી ઉપાડી હતી. હાથમાં છાણી લઈને ચાલતા બાળ શ્રીમદ્ ઊંડા વિચારમાં ડૂબી ગયા. જેમની પાસેથી હુંફાળા વાત્સલ્યના ઘૂંટડે ઘૂંટડા પીધા હતા એવા દાદાના મૃત્યુએ એમના હૃદયને તત્ત્વવિચારમાં ડુબાડી દીધું. બાળ શ્રીમદ્રના ચિત્તમાં અને જાગ્યા. કેટલાય પ્રશ્નો ઊઠયા. જીવન અને મૃત્યુને પાર લઈ જનારા અધ્યાત્મની ખોજ ચાલી. જીવનનાં ગહન રહસ્યોનું શોધન થવા લાગ્યું. દેહ શું ? આત્મા શું ? મૃત્યુ શું ? દેહાતીત શું ? આવા પ્રશ્નોનું વિચારશીલ બાળક શ્રીમના ચિત્તમાં મંથન ચાલ્યું. મહાન વ્યક્તિને માટે જગતના વ્યવહારમાં જીવવું એક વાત છે, પણ એ રીતે જીવતી વખતે પણ એમની અંતરની દુનિયા અને હૃદયની ભાવના જુદી હોય છે. સમગ્ર ચિત્ત આત્મવિચારમાં લીન હોય ત્યારે બાહ્ય ઘટનાઓ કશી અસર કરતી નથી. અરે ! એનાથી મન ક્યાંય દૂર નીકળી ગયું હોય છે. દાદાની નનામીની આગળ ચાલતાં બાળ શ્રીમના પગમાં લાંબી શુળ ભોંકાઈ ગઈ. બાળ શ્રીમદે પગમાં ભોંકાયેલી શુળની લેશમાત્ર પરવા ન કરી. શુળ કાઢવા એ થોભ્યા નહીં. કોઈને એનો ખ્યાલ પણ આવવા દીધો નહીં. નાની વયમાં કેટલી પ્રબળ સહનશક્તિ ! તત્ત્વની વિચારક્ષેણીનાં સોપાનો ચડતાં ચડતાં આ બાળ અવધુતે સ્વદેહનું ભાન પણ વિસારી દીધું. બાહ્ય જગતમાં સ્થૂળ ઘટનાઓ તો બનતી રહે, પણ આંતરજગત તો સૂક્ષ્મ આધ્યાત્મિક યાત્રાએ અવિરત ચાલતું હોય. આવે સમયે બાહ્ય, સ્થળ ભૌતિક પરિસ્થિતિની કશી પરવા હોતી નથી. જીવનના સમરાંગણની માફક અધ્યાત્મના સમતાંગણમાં શૌર્ય અને સાહસ જરૂરી હોય છે. નાની વયના આ યોગીએ અપ્રતિમ પૈર્ય દાખવ્યું ! બાળ શ્રીમદે સ્વયં પોતાના પ્રિય દાદાને અગ્નિદાહ આપ્યો અને ઘેર પાછા ફર્યા. આ સમયે શ્રીમદ્દને લંગડાતા ચાલતા જોઈને માતાને આશ્ચર્ય થયું. જોયું તો પગમાં શુળ વાગી હતી. વહાલસોયી માતાએ કહ્યું કે, “કોઈને શુળ કાઢવાનું કહેવું તો હતું ?” પણ શૂળ તો પગમાં વાગી હતી. તત્ત્વવિચારમાં ડૂબેલા ચિત્તને એની જાણ કે પરવા ક્યાંથી હોય ? માતાને શું પ્રત્યુત્તર વાળે ! De Pere Piata Uber
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy