SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. મરુક્ષેત્રમાં અમૃતવર્ષા સાધુચરિત કવિ-સ્મરણ તમારાં શાં કરું ? વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જો, અહર્નિશ છે અંતરમાં યાદી આપની, સદી ઉદિત ઉપર ઉજ્વલ પુણ્ય પ્રકાશ જો. પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીની આવી સ્મરણ-વંદના કર્યા પછી વિચાર કરીએ એ સમયનો, ઈ. ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામની વિફળતા પછી ભારતની ભૂમિ પર આશાનાં કિરણો પ્રસરી રહ્યાં હતાં. દેશની ક્ષિતિજ પર કેળવણી, સમાજ-સુધારણા અને નવજાગૃતિનું પરોઢ ઊગી રહ્યું હતું. રાજા રામમોહન રાયે સતીની પ્રથા જેવી કુરૂઢિઓ સામે પ્રચંડ વિરોધ જગાવ્યો હતો. બ્રહ્મોસમાજ, પ્રાર્થનાસમાજ, થિયોસૉફિકલ સોસાયટી જેવી સંસ્થાઓ દ્વારા નવીન ધર્મવિચારણાનો પ્રારંભ થઈ રહ્યો હતો. બીજી બાજુ જડ ક્રિયાકાંડ, દાંભિક ધર્માચરણો, ધનની આછકલાઈથી ભરેલા ઉત્સવો અને રૂઢે માન્યતાઓએ સમાજને ચારે બાજુથી ઘેરો ઘાલ્યો હતો. ધર્મનાં આચરણ થતાં હતાં, પણ ધર્મની મૂળ ભાવના અને એનું અંતિમ ધ્યેય વીસરાઈ ગયું હતું. ધર્મવિચાર અને ધર્મને નામે થતા આચરણ વચ્ચે મોટી ખાઈ ઊભી થઈ હતી. આ સમયે વિધિનો સંકેત હોય તેમ ભારતની ભૂમિ પર બે મહાન વિભૂતિઓનું પ્રાગટ્ય થયું. એક અધ્યાત્મના શિખર સમા જૈન ધર્મના મુળમાર્ગપ્રબોધક શ્રીમદ્ રાજચંદ્રજીનું અને બીજા દેશને સર્વાગી આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજીનું . મહાત્મા ગાંધીજીના જન્મ પૂર્વે પોણા બે વર્ષ અગાઉ સૌરાષ્ટ્રના મોરબી નજીકના વવાણિયા બંદર નામના નાના ગામમાં શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ થયો. મહાત્મા ગાંધીજીનો એ જ સૌરાષ્ટ્રની ભૂમિના પોરબંદર ગામમાં જન્મ થયો. શ્રીમદ્ રાજચંદ્રજી મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક બન્યા અને મોહનદાસમાંથી મહાત્મા બનેલા ગાંધીજીએ સહુથી વધુ કોઈના જીવનમાંથી ધર્મવિચાર ગ્રહણ કર્યા હોય તો તે શ્રીમદ્ રાજચંદ્રજીના. આ બંને દવજવંતી ભૂમિ પર અમૃતવર્ષા બનીને આવ્યા. એમણે મા વસુંધરાને યથાયોગ્ય ધર્મ અને કર્મથી શોભાવી. આત્મજ્યોતિના અજવાળે ધર્મનો પ્રકાશ પાથરનાર શ્રીમદ્ રાજચંદ્રજીનો વવાણિયા બંદર ગામના વણિક કુટુંબમાં વિ. સં. ૧૯૨૪ની કાર્તકી પુનમ, રવિવાર(તા. ૯-૧૧-૧૮૬૭)ના રોજ રાત્રે બે વાગ્યે જન્મ થયો. એ જન્મભૂમિ તીર્થભૂમિ બની ગઈ. કેવો ધન્ય દિવસ એ કાર્તકી પૂર્ણિમાનો, જે દિવસે શીખ સંપ્રદાયના સ્થાપક ગુરુ નાનક, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય જેવા મહાપુરુષોનો જન્મ થયો છે. આકાશમાંથી અમૃત સમી ચાંદની વરસાવતી દેવદિવાળીની અજવાળી રાતે અવનિ પર જામેલા અંધકારને દૂર કરવા માટે પૂર્વજન્મના સંસ્કારો લઈને ઝળહળતા જ્યોતિર્ધરનું આગમન થયું. જાણે આ વિષમકાળમાં સંસારના ત્રિવિધ તાપથી બળીજળી રહેલા જગત પર ઉચ્ચ આધ્યાત્મિક જ્ઞાનની અમૃતવર્ષા કરવા આવ્યા ન હોય ! સૌરાષ્ટ્રના મોરબી પાસે આવેલા માણેકવાડા ગામના રહીશ શ્રી પંચાણભાઈ વવાણિયા રહેવા આવ્યા. એમના પુત્ર રવજીભાઈના માળિયાના ખાનદાન ગણાતા કુટુંબના રાઘવજીભાઈની પુત્રી દેવબાઈ સાથે લગ્ન થયાં. “યથા નામ, તથા ગુણ’ ધરાવતા દેવબાઈની કૂખે શ્રીમદુનો જન્મ થયો. પિતા રવજીભાઈએ પોતાના પિતા પંચાણભાઈનો વહાણવટા અને વ્યાજનો ધંધો સંભાળ્યો હતો. રવજીભાઈનું નીતિપરાયણ જીવન અને દેવબાઈની સાસુ-સસરાની એકનિષ્ઠ સેવાભક્તિને કારણે દિવ્ય પુત્રરત્ન સાંપડ્યું એમ ગ્રામજનો કહેતા હતા. પ્રકૃતિએ સરળ, વ્યવહારમાં સૌજન્યશીલ અને હૃદયમાં વાત્સલ્યના વારિધિ સમાં દેવબાઈના અંતરમાં અપાર વહાલ ઊભરાઈ રહ્યું. E n intentos TE & Pants Use on www alibur
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy