SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭. કરુણા કરી અપાર શ્રીમા બનેવી ટોકરશીભાઈના શરીરમાં પ્લેગની ગાંઠ થઈ. દર્દની અપાર વેદના તો હતી જ, પણ એમાં વળી સન્નિપાત થઈ ગયો. એ સતત અર્થહીન રીતે બોલતા હતા. વારંવાર બહાર ભાગી જવાનો પ્રયત્ન કરતા. ચાર મજબૂત વ્યક્તિઓ એમને પકડીને રાખતી હતી. શ્રીમદ્ એમની ખબર જોવા માટે આવ્યા ત્યારે સહુએ કહ્યું કે ટોકરશીભાઈ નાસભાગ કરે છે, માટે તમે દૂરથી જ એમનાં ખબરઅંતર જાણી લેજો. નજીક જશો નહીં. શ્રીમદે કહ્યું, “ટોકરશીભાઈ ભાગશે નહીં. તમે બધા દૂર ઊભા રહો.” શ્રીમદ્ સ્નેહપૂર્વક ટોકરશીભાઈની પાસે જઈને બેઠા. પાંચેક મિનિટમાં ટોકરશીભાઈ સાવધાન થઈ ગયા. એમણે વિનમ્રતાથી શ્રીમદ્ન પૂછ્યું, “આપ ક્યારે આવ્યા ?” શ્રીમદે પૂછ્યું, “તમારી તબિયત કેમ છે ?” ટોકરશીભાઈએ કહ્યું, “ઠીક છે, પણ ગાંઠની પીડા અસહ્ય છે.” આમ કહીને ટોકરશીભાઈ અડધો કલાક સુધી શાંત રહ્યા. શ્રીમદ્ અડધો કલાક બાદ પાછા ફર્યા. દુકાને ગયા. એ સમયે ટોકરશીભાઈને એકાએક સન્નિપાત ઊપડતાં શ્રીમને દુકાનેથી બોલાવવા માણસ દોડતો દોડતો આવ્યો. શ્રીમદે એને વિદાય આપતાં કહ્યું કે જેમ બનવાનું હોય તેમ બને છે. શ્રીમદ્ એ સમયે ત્યાં ગયા નહીં. સાંજના સાતેક વાગ્યે વળી ટોકરશીભાઈની ખબર જોવા ગયા. ટોકરશીભાઈ પાસે બેઠા. તેઓ હાથ, આંખ અને હોઠના ઇશારા કરતા હતા. થોડી વારે ટોકરશીભાઈ ભાનમાં આવતાં શ્રીમદે પૂછ્યું, “કેમ છે ?” ટોકરશીભાઈએ કહ્યું, “હવે સારું છે. ગાંઠની પીડા થતી નથી.' ટોકરશીભાઈ એક શ્લોક બોલ્યા ત્યારે શ્રીમદે એમને આ શ્લોક ક્યાં સાભળ્યો હતો એમ પૂછ્યું. ટોકરશીભાઈએ કહ્યું કે, “ઇડરના જંગલમાં,” વળી થોડી વાર પછી શ્રીમદે એમને “કેમ છે ?” એમ પૂછ્યું ત્યારે ટોકરશીભાઈ બોલ્યા, “આનંદ, આનંદ ! આવી સ્થિતિ મેં કોઈ દિવસ અનુભવી નથી.” એટલામાં શ્રીમદે એક વખત હાથનો ઇશારો ટોકરશીભાઈના મુખ તરફ કર્યો અને બોલ્યા કે, “મહેતાનો દેહ છૂટી ગયો છે. પોણા કલાક સુધી એમની પાસે જશો નહિ.” પદમશીભાઈએ શ્રીમદ્ને પૂછ્યું, “મહેતાની બાબતમાં આશ્ચર્યજનક શું ગણાય ?” શ્રીમદે કહ્યું, “શ્વાસનો વાયુ સાથેનો સંબંધ છૂટો પડેથી પ્રાણ ચાલ્યો જાય એમ કહેવાય છે. એ વખતે જીવને જેવી લેશ્યા હોય તેવી ગતિ થાય છે. યોગબળે જીવોની લેશ્યા ફેરવી શકાય છે.” શ્રીમદ્ યોગશક્તિના ચમત્કાર કદી પ્રગટ કરતા નહીં. પરંતુ અનાયાસે એમના બનેવી શ્રી ટોકરશીભાઈ મહેતાની બીમારીમાં એની ઝલક જોવા મળી. શ્રીમદ્ મુંબઈમાં હતા ત્યારે એમને ત્યાં લલ્લુ નામનો નોકર ઘણાં વર્ષો સુધી કામ કરતો હતો. એક વાર લલ્લુને ગંભીર માંદગી આવી. એને ગાંઠ નીકળી. આ સમયે શ્રીમદ્ સ્વયં એની સેવા-ચાકરી કરવા લાગ્યા. એની તમામ સંભાળ લેતા હતા. શ્રીમદ્દ્ની આવી સેવા-શુશ્રુષા જોઈને સહુ કોઈને આશ્ચર્ય થતું. શ્રીમદે તો એનું માથું પોતાના ખોળામાં રાખીને છેક અંત સુધી એની સંભાળ લીધી. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુની વેદના જાણી શકનાર શ્રીમદ્ પોતાની સેવા-ચાકરી કરનાર નોકરની ઉપેક્ષા કઈ રીતે કરે ? પરદુઃખભંજન શ્રીમદે નોકરના આત્માને પોતાના જેવો જ આત્મા જાણ્યો. નોકર લલ્લુ પણ સદ્ગુરુના ચરણ સમીપ રહી દેહનો ત્યાગ કરતાં પોતાની ગતિ સુધારી ગયો. આમ નિગ્રંથ મહાત્માઓનાં દર્શન અને સમાગમ મુક્તિની સમ્યક્ પ્રતીતિ કરાવે છે.
SR No.005468
Book TitleMul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2000
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy