________________
વૈશ્વિક દર્શનનો અનુભવ ડૉ. નરેન્દ્ર જૈન એટલે જૈન સમાજની જ નહીં, બલકે સમગ્ર રાષ્ટ્રની એક આગવી પ્રતિભા. ભારતના રાજદૂત તરીકે સંયુક્ત રાષ્ટ્ર સંઘ, યૂરોપિયન યુનિયન અને અન્ય કેટલાય દેશોમાં યશસ્વી કામગીરી બજાવનાર ડૉ. નરેન્દ્ર જૈનનું કાર્યક્ષેત્ર રાજકીય બાબતો ઉપરાંત સાંસ્કૃતિક અને આધ્યાત્મિક બાબતો સાથે પણ સંકળાયેલું છે. આથી એમણે જે જે દેશોમાં કામગીરી કરી તે દેશોમાં ભારતીય સંસ્કૃતિની અને જૈન ધર્મની ભાવનાઓ પ્રસરાવી છે, જેનો અનુભવ આંતરરાષ્ટ્રીય સંમેલનો સમયે એમને મળતાં વ્યાપક આદર અને સન્માનમાં સતત દૃષ્ટિગોચર થતો રહ્યો છે. એમની પ્રતિભાનાં અનેક પાસાં છે જેમાં વ્યાપક સંદર્ભો ધરાવતા લેખક, શ્રોતાઓને પોતાની વાત બરાબર ઠસાવી શકતા પ્રભાવક વક્તા તેમજ અર્થકારણ અને પર્યાવરણ જેવા વિષયોના તજ્જ્ઞ છે.
જૈન ધર્મ : વારસો અને વૈભવમાં જૈન ધર્મની પ્રાચીનતાથી આરંભીને અર્વાચીન સમયમાં જૈન સિદ્ધાંતોની પ્રસ્તુતતા સુધીના વિષયોને એમણે આવરી લીધા છે. આમાં દેશવિદેશના પ્રત્યક્ષ અનુભવોની સુવાસ, અનુભવોની મહેક અનુભવવા મળે છે. આ ગ્રંથમાં એમણે જૈન ધર્મની વિરાટ સંસ્કૃતિના સ્તંભરૂપે અહિંસા, અપરિગ્રહ, અનેકાંત, પર્યાવરણ અને શાકાહાર જેવી બાબતોનું મહત્ત્વ દર્શાવ્યું છે. વિશેષે તો અહિંસા દ્વારા વર્તમાન વિશ્વમાં કઈ રીતે પરિવર્તન સાધી શકાય એનાં પ્રત્યક્ષ ઉદાહરણો મળે છે. એમના શાકાહારના અનુભવો અત્યંત હૃદયસ્પર્શી છે અને તે દર્શાવે છે કે પશ્ચિમી દેશોમાં પણ શાકાહાર તરફ ઊંડી નિષ્ઠા ધરાવનારા માનવીઓ મળે છે. અહિંસાને વ્યવહારિક રીતે વર્તમાન સમયમાં પ્રયોજી શકાય એની વાત એમણે “અહિંસા યાત્રામાં કરી છે. આ રીતે આ લેખોમાં જૈન તીર્થકરો, જૈન ધર્મના સિદ્ધાંતો અને આજના યુગમાં એની પ્રસ્તુતતા એમ ત્રણેય બાબતો પર લેખકે પ્રકાશ પાડ્યો છે.
આ લેખોનો ગુજરાતી અનુવાદ આપવા માટે જૈનદર્શનના અભ્યાસી અને ધર્મનાં અનેક પાસાંઓના જાણકાર શ્રી જવાહર શાહ અને શ્રીમતી હંસા શાહે અપાર જહેમત ઉઠાવી છે અને તેને પરિણામે આવું એક મૂલ્યવાન પુસ્તક ગુજરાતી વાચકોને પ્રાપ્ત થાય છે. તા. ૧-૯-૨૦૦૮
- કુમારપાળ દેસાઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org