________________
જ્યાં દેવાંગનાઓના ગીતોમાં આસક્ત થયેલા મયૂરો પવને પૂરેલા વેણુથી અને નદીના ઝરણાઓનાં ધ્વનિથી ખુશ થઈને નૃત્ય કરતા હતા. જેની ગુફાઓમાં મુનિજનો સ્થિર આસન ઉપર બેસીને અને નવરંધ્રોમાં પ્રાણનો નિરોધ કરીને મહાતેજનું ધ્યાન ધરતા હતા. પોતપોતાના અર્થની સિદ્ધિને માટે દેવતાઓ, ગુહ્યકો, યક્ષો, અપ્સરાઓ, વિદ્યાધરો અને ગંધર્વો સદા જેની સેવા કરતા હતા. જ્યાં સૂર્ય અને ચંદ્ર પોતાનાં વાહનને કાંઈક વિસામો આપી, આનંદ પામી તેની સ્તુતિ કરતા કરતા જાણે ચાલ્યા જતા હોય તેમ જણાતા હતા. અને લવિંગ, ચારોલી, નાગરવેલ, મલ્લિકા, તમાલ, કદંબ, જાંબુ, આંબા, લીંબડા, અંબક, બિંબ, તાડ, તાલીસ, તિલક, રોહડા, વડ, ચંપક, બોરસલ્લી, અશોક, પીંપળા, પલાશ, પીપર, માધવ, કદલી, ચંદન, કલ્પવૃક્ષ, કણવીર, બીજોરાં, દેવદારુ, ગુલાબ, તિલ, અંકુશ, સુગંધી મહેંદી અને કંકોલ ઈત્યાદિ વિવિધ વૃક્ષો, પોતાનાં છાયા, ફલ, પત્ર અને પુષ્પોવડે જ્યાં જનસમૂહને પ્રસન્ન કરી રહ્યા હતા. તેમ જ રોહણ, વૈતાઢ્ય અને મેરુગિરિની સંપત્તિથી પણ વિશેષ સમૃદ્ધ એવા શ્રી રૈવતાચલ ગિરિવરને દૂરથી જોઈ ભરત ચક્રવર્તીએ ઉપવાસ કરીને ત્યાં જ આવાસ કર્યો, પછી ગુરુની આજ્ઞાથી શત્રુંજય તીર્થની જેમ ભરતેશ્વરે સંઘ સાથે હર્ષથી તીર્થપૂજા કરી. ત્યાં તે અવસરે શકિતસિહે મનોહર આહારના રસવડે અમૃતનો પણ પરાભવ કરે એવા ઉત્તમ ભોજનથી ભરત ચક્રવર્તી સહિત સર્વ સંઘની ભક્તિ કરી. તે રૈવતાચલગિરિને મહોદયમોક્ષની જેમ દુર્ગમ જાણી તે સમયે હજાર યક્ષોને આદેશ કરીને કેવલજ્ઞાની ભગવતે જેમ સિદ્ધાંત દ્વારા મોક્ષમાર્ગને સરળ બનાવ્યો, તેમ સુખે આરોહ કરવાને શિલાઓના સમૂહથી દાન, શીલ, તપ અને ભાવના જેવી ઉજજવલ ચાર પાજનો ભરતનરેશે ત્યાં માર્ગ કરાવ્યો. તે માર્ગની નજીકમાં વાવ, વન, નદી અને ચૈત્યોથી રમણીય, તેમ જ યાત્રિક લોકોને વિશ્રાંતિનું સ્થાનરૂપ શ્રેષ્ઠ નગર ભરતનરેશ્વરે કરાવ્યું. તે પાજના માર્ગે સંઘના લોકો સુખપૂર્વક પોતાના મનોરથ જેવા ઉન્નત શ્રી રૈવતાચલ પર આરૂઢ થયા. ત્યાં ભવિષ્યમાં શ્રી નેમિનાથ પ્રભુનાં ત્રણ કલ્યાણકો થશે. એમ જાણીને ભરતેશ્વરે તે સ્થાને શિલ્પી પાસે એક રમણીય, વિશાલ અને ગગનચુંબી જિનપ્રાસાદ કરાવ્યો, તે જિનાલય ઉપર વિવિધવર્ણવાળા રેવતાચલ પર રહેલા મણિરત્નનાં કિરણસમૂહથી યત્ન વગર ચિત્રરચના થતી હતી. તે મંદિર પોતાના શિખર ઉપર રહેલ ધજાની શોભાથી દેવોના સમૂહરૂપ વ્યાપારી વર્ગને ભરતનરેશ્વરના કીર્તિભંડારનો નમૂનો જાણે બતાવતું હોય તેમ જણાતું હતું. તે સુરસુંદર નામે ઊંચો, ચાર
'ગિરનાર ગ્રંથોની ગોદમાં છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org