________________
૩૭૯
સન્મતિપ્રકરણ
કાર્ડ-૩ – ગાથા-૬૩ જતી હોય છે. તથા દ્રવ્ય-ક્ષેત્ર-કાલ ભાવાદિ ભાવોના જે વિશિષ્ટ અનુભવી બન્યા નથી. તેવા આત્માઓ જ્ઞાની હોવા છતાં અન્યશ્રોતાઓની સામે પ્રરૂપણા કરવાના અધિકારી બની શકતા નથી.
પોતે શાસ્ત્રો જાણવાં એ એક જુદી વસ્તુ છે અને બીજાની સામે શાસ્ત્રોની પ્રરૂપણા કરવી એ અત્યન્ત જુદી વસ્તુ છે. આ બન્ને બાબતો લખીને ગ્રંથકારશ્રીએ આપણને ઘણી ઘણી ટકોર કરી છે. મિથ્યાભાવમાંથી બચવા ગંભીર ઈશારો કર્યો છે. ઘણા ઘણા જીવો કુળપરંપરાથી, સગુરૂઓના સમાગમથી અથવા કલ્યાણમિત્રોના પરિચયથી જિનેશ્વર પરમાત્માના શાસનના પરમરાગી પરમભક્તિભાવવાળા થઈ શકે છે. પરંતુ ભક્તિભાવ આવ્યો, કે શાસન ઉપર પરમ પ્રેમ પ્રગટ્યો એટલે જૈનસિદ્ધાન્તનાં રહસ્યો આવડી ગયાં છે. આપણે શાસ્ત્રોમાં કુશળ થઈ ગયા છીએ આમ માનવાની કંઈ જરૂર નથી. કારણ કે શ્રદ્ધા માત્ર પ્રગટ થવાથી કંઈ શાસ્ત્રોના અર્થો અને ભાવાર્થો આવડી જતા નથી. આ સત્ય હકીકત છે. છતાં આ જીવ શાસન ઉપર રાગ પ્રગટ્યો, પ્રેમ થયો એટલે મને બધું આવડી જ ગયું છે. એમ માની ભક્ત-ભગત નામ ધરાવી જેને તેને પોતાને જેવો ઠીક લાગે તેવો ધર્મ સમજાવવા બેસી જાય છે. બધે ડહાપણ કરતો થઈ જાય છે. નામના અને યશકીર્તિ તરફ ખેંચાઈ જાય છે અને પરિપૂર્ણ જ્ઞાન નહી હોવાથી ઉસૂત્ર પ્રરૂપક પણ બની જાય છે અને અનંત સંસારી પણ થઈ જાય છે. તેથી ભક્તિ પ્રગટી એટલે બધો સિદ્ધાન્ત સમજાઈ ગયો છે એમ ન માનતાં શાસ્ત્રોનું વિશાળ જ્ઞાન મેળવવા અને અનુભવી બનવા સંવેગ-વૈરાગ્ય ભાવયુક્ત થઈને વધારે ને વધારે ગીતાર્થની નિશ્રામાં રહી પરમ વિનયભાવપૂર્વક શાસ્ત્રજ્ઞાન મેળવવા પ્રયત્નશીલ બનવું જોઈએ આ પ્રથમ ટકોર છે.
તથા ધારો કે ગીતાર્થોની નિશ્રામાં રહ્યા, શાસ્ત્રાભ્યાસ કર્યો, ભક્તિભાવ તો પ્રથમથી પ્રગટેલો હતો જ, આમ ભક્તિભાવ અને શાસ્ત્રજ્ઞાન બન્ને મળી ગયાં તો પણ અનેકાન્તદૃષ્ટિ ખીલી ન હોય, સાપેક્ષભાવ લગાડવાની કલા વિકસી ન હોય. નયવાદના ગંભીર અર્થો જોઈએ તેવા અનુભવ્યા ન હોય, જ્યાં જ્યાં જે ઉપકારક ભાવ હોય ત્યાં ત્યાં તે ભાવ પ્રધાન કરીને રજુ કરવાની કળા આવી ન હોય, કોઈ એક બાજુના વિચારો વધારે જામ થઈ ગયા હોય. શાસ્ત્રોના વાક્યોના ઘણીવાર અનેક અર્થો થતા હોય તેમાંથી પૂર્વાપર અનુસંધાનવાળા અને પૂર્વાચાર્યોથી વિહિત પરંપરાના અબાધક અર્થો કયા? તેની વિશાળદૃષ્ટિ ખીલી ન હોય, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવાદિ જોઈને સંઘના જીવોનો કેમ ઉપકાર થાય તે રીતે વિષય રજુ કરવાની આવડત આવી ન હોય તો જ્ઞાની હોવા છતાં પણ પ્રરૂપણા કરવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી તેથી કદાચ કંઈક થોડુ આવડ્યું એટલે બીજાને કહેવા બેસી જવું, તથા સમજાવવાની કલાની આવડત વિના સમજાવવા બેસી જવું. આ પણ ઉચિત નથી. આ બીજી ટકોર છે.
આ ગાથાનો ભાવાર્થ આપણને ઘણું ઘણું કહી જાય છે. ૬૩ //
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org