________________
(૧૦) આગમિકપરંપરાને વધારે અનુસરનારા હતા. છતાં સન્મતિપ્રકરણ આદિ ગ્રન્થોના અભ્યાસથી શ્રી સિદ્ધસેનસૂરિજી આદિ ગ્રન્થકર્તાઓ ઉપર પણ ઘણા જ બહુમાન અને અહોભાવવાળા હતા. તે વાત તેઓના લખેલા પાઠોમાંથી જણાય છે. શ્રી સિદ્ધસેનસૂરિજીનો જીવનકાલ
પ્રભાવકચરિત્ર, પ્રબંધચિંતામણિ, અને ચતુર્વિશતિપ્રબંધ ઈત્યાદિ ગ્રન્થોનો આધાર જોતાં જણાય છે કે “વિદ્યાધર” નામની આમ્નાયમાં અનુયોગધર શ્રી સ્કંદિલાચાર્ય વીરનિર્વાણથી ૮૪૦ મા વર્ષે (વિ.સં. ૩૭૦ મા વર્ષે) થયા. કે જેઓ માથુરીવાચનાના પ્રણેતા હતા. તથા તેઓશ્રી પાદલિપ્તસૂરિજીની કુલ પરંપરામાં થયા. તે શ્રી સ્કંદિલાચાર્યજીના શિષ્ય શ્રી વૃદ્ધવાદિસૂરિજી હતા. જેઓ વિચરતા વિચરતા ઉજજૈયિણી નગરીમાં પધાર્યા. તે કાલે તે નગરીમાં વિક્રમરાજા રાજ્ય કરતા હતા. તથા તે જ ગામમાં “સિદ્ધસેન” નામના એક વિદ્વાન બ્રાહ્મણ પણ રહેતા હતા. કે જેમના પિતા દેવર્ષિ અને માતા દેવશ્રી હતાં અને તેઓનું કાસ્યાયનગોત્ર હતું. આ સિદ્ધસેનબ્રાહ્મણે શ્રી વૃદ્ધવાદિસૂરિજીનું “આ આચાર્ય મહાવિદ્વાન છે. તર્કવાદી પુરૂષ છે” આવું નામ સાંભળેલું. તેથી ગામમાં આવેલા આ આચાર્યશ્રી કોઈ પ્રયોજન વશથી ગામની બહાર જતા-આવતા હતા ત્યારે તેઓને નહીં ઓળખીને શ્રી સિદ્ધસેન બ્રાહ્મણે આચાર્યશ્રીને પુછ્યું કે જૈનોના આચાર્ય શ્રી વૃદ્ધવાદિજી કોણ છે ? અને હાલ તે ક્યાં છે ? આચાર્યશ્રીએ કહ્યું કે કેમ ભાઈ ! તારે તેઓનું શું કામ છે ? સિદ્ધસેન બ્રાહ્મણે કહ્યું કે “મારે તેઓની સાથે વાદવિવાદ કરવાનો ઘણા સમયથી મનોરથ છે” વૃદ્ધવાદિજીએ કહ્યું કે તે હું જ છું. બ્રાહ્મણે કહ્યું કે બહુ જ સારું, ચાલો આપણે વાદ કરીએ, તેઓને જીતવાની ઘણા સમયથી મારી ભાવના છે. તે આજે સફળ થશે. સૂરિજીએ કહ્યું કે “રાજ્યસભામાં વાદ કરીએ” ત્યાં રાજા અને વાદ સાંભળનારા સભ્યો હોવાથી ન્યાય મળે. બ્રાહ્મણે કહ્યું કે ના, અહીં જ વાદ કરીએ અને અત્યારે જ વાદ કરીએ. તેથી સૂરિજીએ ત્યાં હાજર રહેલા ગોવાળીઆઓને જ “સભ્ય” તરીકે થાપીને વાદ ચાલુ કરવા બ્રાહ્મણને કહ્યું.
સિદ્ધસેનબ્રાહ્મણે “સર્વજ્ઞ નથી” આ પ્રકારનો પૂર્વપક્ષ સંસ્કૃત ભાષામાં અનેક યુક્તિ-પ્રયુક્તિથી સિદ્ધ કર્યો. સંસ્કૃત ભાષા હોવાથી ગોવાળીઆઓ કંઈ સમજ્યા નહીં. તેની સામે પ્રતિવાદ સ્વરૂપે ગોવાળીઆઓ સમજે તેવી ભાષામાં શ્રી વૃદ્ધવાદીજીએ રાસ લેતાં લેતાં યુક્તિ-પ્રયુક્તિપૂર્વક “સર્વજ્ઞની સિદ્ધિ કરી” તેઓની વાણીથી સિદ્ધસેન બ્રાહ્મણ તથા ગોવાળીઆઓ બહુ જ ખુશ ખુશ થયા. ગોવાળીઆઓએ આચાર્ય તરફ ન્યાય આપ્યો. એટલે સિદ્ધસેન બ્રાહ્મણે પોતાની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org