________________
આમ કેમ કરે, ક્યારે કરે તેવા પ્રશ્નો જે-તે ધર્મોમાં અસ્થાને ગણાય છે અને તેમણે તે માટે જે સમાધાનો આગળ કર્યા છે તે તર્કબદ્ધ લાગે તેવાં નથી. એ બધાં સમાધાનોમાંથી કેવળ એક જ સૂર નીકળે કે ભગવાન સર્વસત્તાધીશ છે અને તેને ઠીક લાગે તે એ કરે તેમાં આપણે વચ્ચે પડવાનું વિચારાય પણ નહિ. બહુ બહુ તો આપણે તેની કૃપા મેળવી શકીએ કે તેને પ્રાપ્ત કરી શકીએ, તેની નજીકમાં વાસ કરીને આનંદી શકીએ. આ રીતના ભગવાનની ઉપસ્થિતિમાં આત્માનાં સ્વતંત્ર અસ્તિત્વનો એક રીતે ઇનકાર થઈ જાય છે અને જો તે લેખવામાં આવે તો આત્માની ગરિમા સચવાતી નથી. આત્માનું જો કોઈ સ્થાન હોય તો તે પરમાત્માની નીચેનું છે.
જૈન મત પ્રમાણે આવા કોઈ વ્યક્તિવિશેષ પરમાત્માનું અસ્તિત્વ જ નથી. આ સૃષ્ટિનો કોઈ રચનાર નથી. સંસાર અનાદિ-અનંત છે. સૃષ્ટિનો કોઈ કર્તા નથી, કોઈ ભર્તા નથી કે કોઈ હર્તા એટલે કે વિસર્જન કરનાર પણ નથી. જ્યાં વ્યક્તિવિશેષ પરમાત્માની ધારણા જ ન રહી ત્યાં કોઈને તેની નીચેના સ્થાને રહેવાની વાત જ ન રહી કે ન તો તેને પ્રાપ્ત કરવાની વાત રહી. જે આત્માએ વ્યાબાધ વિનાના સુખનો-આનંદનો માર્ગ બતાવ્યો તે ભગવાન. આમ જૈન ધર્મનો ભગવાન પથદર્શક છે. તે કોઈના ઉપર કૃપા કરી કોઈને આગળ મૂકતો નથી કે રોષે ભરાઈને કોઈનો દંડ પણ કરતો નથી. ભગવાન પણ એક કાળે આપણા જેવા જ હતા પણ તે પોતાના આત્માનો પૂર્ણ વિકાસ સાધી સંસારથી મુક્ત થઈ ગયા. આપણે પણ તે માર્ગે ચાલીએ તો મુક્ત થઈને તેમના જેવા જ થઈ શકીએ.
જ્ઞાન-વિજ્ઞાન
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org