________________
સમાધિનું મહત્ત્વ
શું સંસ્કારોને ક્ષીણ કરી શકાય ખરા ? શું વૃત્તિઓને ક્ષીણ કરી શકાય ખરી ? શું મૌલિક મનોવૃત્તિઓનો પરિષ્કાર કરી શકાય ખરો ? આવા કેટલાક પ્રશ્નો છે કે જેમનો ઉત્તર મનોવિજ્ઞાન પાસે નથી. મનોવિજ્ઞાને મનનું અધ્યયન કર્યું, પરંતુ મનથી પર જે આત્મા છે તે ક્યારેય તેના અધ્યયનનો વિષય ન બન્યો તેથી કેટલાક પ્રશ્નો તેના માટે વણઉકલ્યા રહી ગયા છે. પ્રાચીન કાળના દાર્શનિકોએ મન અને બુદ્ધિથી પર જઈને આત્માની શોધ કરી, આત્માનું અધ્યયન કર્યું. અરસ્તુ, સુકરાત, પ્લેટો વગેરે યૂનાની દાર્શનિકોએ આત્મા વિશે ગહન અનુશીલન કર્યું. હિન્દુસ્તાનમાં મહાવીર, સાંખ્ય તથા વેદાંતના આચાર્યોએ આત્મા ઉપર ખૂબ કામ કર્યું.
મંજિલ છે આત્મા
આપણી અંતિમ મંજિલ આત્મા છે. જે ધાર્મિક છે, આત્મવાદી છે તેનું ગંતવ્ય છે આત્માને જાણવો, આત્માને પ્રાપ્ત કરવો. પરંતુ ત્યાં સુધી પહોંચવાની યાત્રા ખૂબ લાંબી છે. પ્રથમ આપણે શરીરને પાર કરીએ, ત્યાર પછી મન અને બુદ્ધિને પાર કરીશું. આટલું થયા પછી ક્યાંક આત્માની વાત સમજાશે. આત્માને સમજ્યા પછી જીવનનું દર્શન બદલાય છે, દૃષ્ટિકોણ બદલાય છે. એ વાત સમજાય છે કે જે જૂના સંસ્કારો છે, વૃત્તિઓ છે તેમનું ઉન્મૂલન કરી શકાય છે. મહાવીરે કહ્યું કે અગ્નિ લાકડાને બાળે છે. લાકડું લીલું (ભીનાશવાળું) હોય તો બળવામાં તેને થોડોક સમય લાગે છે અને લાકડું સુકું હોય તો તે તરત બળી જાય છે. જે વ્યક્તિ આત્મસમાધિ પ્રાપ્ત કરી લે છે તે અનાસક્ત છે, તેને ક્યાંય પણ સ્નેહનો લેપ અવશેષ નથી હોતો. એવી વ્યક્તિ કર્મને બાળી નાંખે છે, સંસ્કારોને સમાપ્ત કરી દે છે. સંસ્કારોને એ જ વ્યક્તિ સમાપ્ત કરી શકે છે કે જે આત્મસમાધિમાં ચાલી જાય છે.
અસ્તિત્વ અને અહિંસા - ૧૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org