________________
અભિવાદન ગ્રંથ ]
[ ૨૭૫
આચાર્યશ્રીએ પોતાના પટ્ટધર શ્રી સેનસૂરિને ગુજરાતમાં રહેવા આદેશ આપ્યો અને તેઓ પોતાના ૬૭ મુનિવરો સાથે વિહાર કરી ફતેહપુર સિક્રી પહોંચ્યા.
સંઘે ગુરુદેવનું બાદશાહી સ્વાગત કર્યું. આચાર્યશ્રી અબુલફજલ સાથે અકબર બાદશાહ પાસે આવ્યા. બાદશાહ શ્રી હીરવિજયસૂરિને જોતાં જ ઘણો આનંદિત થયો. ત્યાં સ્વાગત માટે ગાલીચો પાથરેલ હતો તે ઉપાડી લેવા આચાર્યશ્રીએ કહ્યું. અકબર આશ્ચર્ય પામ્યો. પણ ગુરૂદેવે હિંસાથી બચવા ગાલીચો ઉપાડવા કહેલ. ગાલીચો ઉપાડતાં તેની નીચે ઘણી કીડીઓ દેખાઈ. અકબર આંખો ફાડી જોઈ રહ્યો. તેને આચાર્યશ્રી ઉપર શ્રદ્ધા વધી. કેટલીક ધાર્મિક ચર્ચા બાદ ગુરૂજી ઉપાશ્રય પધાર્યા. અકબર બાદશાહ વારંવાર ગુરૂજીને મળતો રહ્યો અને ધર્મચર્ચા કરતાં શાંતિનો અનુભવ તેને થયો.
એક દિવસ અકબરે પોતાને શનિની ગ્રહદશા ચાલે છે તે અંગે આચાર્યશ્રીને તેનું નિવારણ પૂછ્યું. આચાર્યશ્રીએ પોતાનો વિષય ધર્મ છે, જ્યોતીષ નહીં, એમ સમજાવી વાતને ટાળી. અકબર બાદશાહે પોતાની પાસે કેટલાંક ધાર્મિક પુસ્તકો હતાં તે બધા આચાર્યશ્રીને આપી દેવા કહ્યું. જેની આચાર્યશ્રીએ વિનયપૂર્વક ના કહી. અમારે વધુ પરિગૃહ ન જોઈએ. જે પુસ્તકની જરૂર હોય તે ભંડારમાંથી લઈ ઉપયોગ કરી પાછું આપી દઈએ. આવા કેટલાક નાના-મોટા બનાવો જોઈ-સાંભળી બાદશાહને આચાર્યશ્રી ઉપર ઘણું જ માન વધ્યું. એમની નિસ્પૃહા જોઈ અકબર વધુ પ્રભાવિત થયો.
ચોમાસું કરવા ગુરુદેવ આગ્રા પધાર્યા. ત્યાં પણ અકબરે વ્યાખ્યાનમાં આવી ધાર્મિક પ્રવચનો સાંભળવા માંડ્યાં. ગુરુજીની આજ્ઞાથી તેને પર્યુષણના આઠ દિવસ તથા આગળના બે તથા પાછળના બે એમ બાર દિવસોએ જીવહિંસા કોઈ ન કરે, એવું ફરમાન બહાર પાડ્યું. અહિંસા અંગે આચાર્યશ્રી અકબરને બોધ આપતા રહ્યા. આચાર્યશ્રી સાથે અકબર એક દિવસ ડાબર સરોવર ગયો. ત્યાં હજારો પંખીઓ પાંજરામાં પૂરેલ હતા, તે ગુરુજીની સામે જ બધાને છોડી મૂક્યાં. તીર્થસ્થાનો પર મુંડકાવેર લેવાતો હતો તે પણ અકબરે બંધ કર્યો. ઉપરાંત વર્ષમાં છ મહિના પોતે માંસાહાર નહીં કરે તેવી ખાત્રી આપી. ભવ્ય દરબાર ભરી અકબરે શ્રી હીરવિજયસૂરિને જગદ્ગુરુની પદવી આપી.
( ચપક શ્રેષ્ઠિ )
ધન્યપુર નગરમાં એક ધાર્મિક શ્રાવક ચંપકશ્રેષ્ઠિ રહેતો હતો. તે વ્રતધારી શ્રાવક હતો. સામાયિક, પ્રતિક્રમણ અને પર્વના દિવસે પોષધ કરતો. પૌષધ પાર્યા બાદ ગુરૂ મહારાજને વિનયથી પ્રાર્થના કરી કહેતો, “ગુરૂદેવ! મારા ઘરે પધારી ભાત પાણીનો લાભ આપવા કૃપા કરજો.” એમ વિનંતી કરી વખતોવખત ગુરુભક્તિનો લાભ લેતો.
એક દિવસ એક જ્ઞાની ગુરુ ભગવંત ઘરે પધારેલ. તેમને ઉમળકા અને ઉલ્લાસથી ગોચરી વહોરાવી રહ્યો હતો. તેના હૈયે ભાવનાનો ઓઘ ઊછળી રહ્યો હતો. પાત્રામાં તે ઘી હોરાવી રહ્યો હતો. ઘીની ધાર પાત્રામાં પડતી હતી અને તેની ભાવનાની ધાર ઊંચે ચડી રહી હતી. શ્રેષ્ઠિની ભાવનાની તન્મયતા જોઈ સાધુ મહારાજે ઘીની ધાર પાત્રામાં પડવા દીધી. વચમાં બસ કે ના ન કહી. તેઓ જ્ઞાની હતા અને સમજતા હતા કે શ્રેષ્ઠિની ભાવધારા અત્યારે એટલી ઊંચી છે, તે અનુસાર વિમાનની ગતિ જેમ ઉત્તરોત્તર વધુ પુણ્ય બાંધી રહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org