________________
અભિવાદન ગ્રંથ |
[ ૧૮૧
( સંપતિ મહારાજા )
સમ્રાટ અશોકના પૌત્ર સમ્રાટ સંપ્રતિ જગતના સર્વકાલીન મહાન રાજવીઓમાં ગૌરવભર્યું સ્થાન ધરાવે છે. સમ્રાટ અશોક અને એમના પૌત્ર સંપતિએ ભારતીય સંસ્કૃતિને વિશ્વસંસ્કૃતિ બનાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો. ઈન્દ્રપાલિત, સંગત અને વિગતાશોક જેવાં અન્ય ઉપનામ ધરાવતા સમ્રાટ સંપ્રતિ મૌર્ય ઈ. સ. પૂર્વે ૨૩૦માં રાજસિંહાસન પર બિરાજમાન થયા, પરંતુ આ પૂર્વે એક દાયકાથી તેઓ રાજયનો કારોબાર સંભાળતા હતા.
એક વાર સંપ્રતિ રાજા પોતાના મહેલના ઝરૂખામાં બેઠા હતા. રાજમાર્ગ પરથી પસાર થતા આચાર્ય સુહસ્તિસૂરિને નિહાળતા સંપ્રતિ મહારાજાને એવો અનુભવ થયો કે જાણે તે આ સાધુપુરુષના વર્ષોથી પરિચિત છે. ધીરે ધીરે પૂર્વજન્મનાં સ્મરણો સંપ્રતિ મહારાજના ચિત્તમાં ઊભરાવા લાગ્યાં. તેમણે ગુરુ મહારાજને મહેલમાં પધારવા વિનંતી કરી. એ પછી મહારાજા સંપ્રતિએ પ્રશ્ન કર્યો કે આપને જોઈને મને એમ લાગે છે કે જાણે આપની સાથે મારો વર્ષોથી ગાઢ પરિચય ન હોય! આવું કેમ થતું હશે?
આચાર્ય સુહસ્તિસૂરિએ એનું રહસ્ય દર્શાવતાં કહ્યું કે તું પૂર્વજન્મમાં મારો શિષ્ય હતો. એક વાર કૌશાંબી નગરીમાં ભીષણ દુકાળ પડ્યો હતો, તેમ છતાં શ્રાવકો સાધુઓની ઉત્સાહભેર વૈયાવચ્ચ કરતા હતા. આ સમયે ગરીબ ભિખારીની દશા ધરાવતા સંપ્રતિને બટકું રોટલોય મળતો નહોતો. એણે સાધુઓ પાસે ભિક્ષા માગી ત્યારે ખ્યાલ આવ્યો કે જો એ દીક્ષા લે તો જ આ સાધુઓ એને એમનું ભોજન આપી શકે. સંપ્રતિએ દીક્ષા લીધી. ખૂબ ભોજન કર્યું. એ પછી અંતિમ સમયે સાધુ સંપ્રતિનું સમાધિમરણ થયું ત્યારે ગુરુદેવે એમને નવકાર સંભળાવ્યો હતો.
આ સાંભળીને મહારાજા સંપતિએ પોતાનું રાજય આચાર્ય સુહસ્તિસૂરિને ચરણે ધર્યું, પરંતુ અકિંચન વૈરાગી મુનિ વળી રાજને શું કરે? આચાર્યશ્રીએ એને જૈન ધર્મનો ઉપદેશ આપ્યો. રાજા સંપ્રતિ ધર્મના સાચા આરાધક અને મહાન પ્રભાવક બન્યા. ભારતની સરહદોને પાર ધર્મનો પ્રસાર કર્યો. ગુરુદેવના પૂર્વજન્મના અને આ જન્મના ઉપકારોને સંપ્રતિએ શિરે ચડાવ્યા. પોતાના જીવનકાળમાં એણે અનાર્ય દેશોમાં જૈન સાધુઓને ધર્મપ્રચાર માટે મોકલ્યા. ગરીબોને મફત ભોજન આપતી દાનશાળાઓ ખોલાવી. જૈન વિહારોનું નિર્માણ કર્યું.
એક વાર યુદ્ધમાં વિજયી બનીને મહારાજા સંપ્રતિ પાછા ફર્યા. ચોતરફ વિજયનો ઉલ્લાસ લહેરાતો હતો, પરંતુ મહારાજ સંપ્રતિની માતાના ચહેરા પર ઘોર વિષાદ અને નિરાશા છવાયેલાં હતાં. મહારાજ સંપ્રતિએ માતાને આવી વ્યથાનું કારણ પૂછ્યું ત્યારે માતાએ કહ્યું કે સામ્રાજયવિસ્તારના લોભમાં તે કેટલો બધો માનવસંહાર કર્યો! આવા ઘોર સંહારને બદલે ચિત્તને પાવન કરતાં જિનમંદિરો રચ્યાં હોત કે એના જીર્ણોદ્ધાર કરાવ્યા હોત તો મારું હૃદય અપાર પ્રસન્નતા અનુભવત. આથી સમ્રાટ સંપ્રતિએ પોતાના જીવનકાળમાં સવા લાખ જિનમંદિરો બનાવ્યાં અને સવા કરોડ જિનબિંબ ભરાવીને માતાની ભાવનાને યથાર્થ કરી.
મહારાજા સંપ્રતિ પોતાના દાદા સમ્રાટ અશોકની માફક પ્રજાવત્સલ, શાંતિપ્રિય, અહિંસાના અનુરાગી અને પ્રતાપી સમ્રાટ હતા. મહારાજા સંપ્રતિને પિતા કુણાલ અને માતા કંચનમાલા પાસેથી ઉમદા ધાર્મિક સંસ્કાર સાંપડ્યા હતા. પોતાના ધર્મગુર આચાર્યશ્રી સુહસ્તિસૂરિના ઉપદેશને કારણે આદર્શ જૈન રાજવીની માફક જીવન વ્યતીત કર્યું સમ્રાટ સંપ્રતિના ભવ્ય જીવનની ગાથા “સંપ્રતિકથા’, ‘પરિશિષ્ટપર્વ’ અને ‘પ્રભાવક ચરિત્ર' જેવા જૈન ગ્રંથોમાં વર્ણવાઈ છે. વિખ્યાત ઇતિહાસવિદ્દ વિન્સેન્ટ સ્મિથના કહેવા પ્રમાણે મહારાજા સંપ્રતિએ છેક ઇરાન અને અરબસ્તાન જેવા દેશોમાં જૈન સંસ્કૃતિનાં કેન્દ્રો સ્થાપિત કર્યા હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org