________________
પતિની બર્થ-ડે પાર્ટીમાં પતિનો પ્રિય કોફીનો કપ પત્નીએ તેના હોઠે લગાડ્યો, અને તેની સાથે જ પતિનું પ્રાણપંખેરું ઉડી ગયું. આખી રાત ડ્રાઈવિંગ કર્યા બાદ જ્યારે માત્ર ૨૦ મિનિટનું અંતર બાકી રહ્યું, ત્યારે કારનો અકસ્માત થયો. ઘટનાસ્થળ પર જ ચાર મોત થઇ ગયા. વોટર રિસોર્ટમાં ખૂબ રમ્યા બાદ જવાનો સમય થયો. ‘છેલ્લી ડુબકી’ માટે મમ્મીને મનાવીને છોકરાએ ડુબકી લગાવી, જે ખરેખર છેલ્લી બની ગઇ.
અહીં મૃત્યુને તોપચીની ઉપમા આપી છે. તીરથી તો બચી પણ શકાય, અરે, તીર વાગ્યા પછી ય કદાચ ઉપચાર થઇ શકે, પણ તોપ? મૃત્યુ જાણે તોપના ગોળાથી જ પ્રહાર કરે છે. આ પ્રહાર અસ્તિત્વ પર પૂર્ણવિરામ મુક્યા વિના રહેતું નથી.
सम्मीलने नयनयोर्न हि किञ्चिदस्ति
એક વાર આંખો મીંચાય, એટલે માત્ર અસ્તિત્વ જ નહીં, પણ અસ્તિત્વ પર આધારિત સર્વ સંયોગો પણ શૂન્યતામાં પરિણમે છે. ઈચ્છો કે ન ઇચ્છો... એ પળ આવવાની, અવશ્ય આવવાની, મૃત્યુ ત્રાટકવાનું, વ્યક્તિ અસહાય બની જવાની, મૃત્યુ એના પરિવારની સમક્ષ એને નિર્દયતાથી ઘસડી જવાનું... गहेगो ज्युं नाहर बकरीरी
નાહર નામનું ખૂંખાર જંગલી પ્રાણી. લપાઇને લાગ શોધતું હોય. એકાએક એ તરાપ મારે, બકરીઓની વચ્ચે ઝંપલાવે, બકરીઓ જીવ લઇને ભાગે. પણ જે બકરી પર તરાપ મારી હોય, એ તો ટસની મસ ન થઇ શકે. નાહરે એને પોતાના પંજામાં સજ્જડ પકડી હોય. દૂર દૂર ઝાડીઓમાં છુપાઇને બીજી બકરીઓ ટગમગ આંખે જોઈ રહી છે. નાહર એક સરમુખત્યારની અદાથી પોતાની ગુફા તરફ ચાલી રહ્યો છે.
એ પ્રેક્ષક બકરીઓ અસહાયપણે પકડાયેલી બકરીને જોયા કરે છે, એમાંથી કોઇ એની માતા છે, કોઇ બહેન છે, કોઇ દીકરી છે, કોઇ સખી છે... રડતી આંખે જોયા કરે છે, પણ કોઇની તાકાત નથી કે તેને બચાવી શકે. વૈરાગ્યશતકમાં કહ્યું છે जह सीहो व मियं गहाय, मच्चू णरं णेइ उ अंतकाले । ण तस्स माया ण पिया ण भाया, कालम्मि तम्मि सहरा भवंति ।। ४३ ।।
-
જેમ સિંહ હરણને પકડી જાય છે, તેમ અંતસમયે મૃત્યુ મનુષ્યને લઈ જાય છે, માતા... પિતા... ભાઈ... કોઈ એ સમયે એને બચાવી શકતા નથી.
ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ. તેમના અંતસમયે તેમના બંગલાની આસપાસ પાંચ લાખ માણસો ભેગા થઇ ગયા હતાં. આખા દેશની પ્રજા તેમના સ્વાસ્થ્યની કામના કરતી હતી. બધાની એક જ ભાવના હતી... “હમારે પ્યારે નેતા બચ જાયે.’’ વિદેશોમાં ય અનેક સ્થળે નહેરુના જીવન માટે પ્રાર્થના થતી હતી. ડોક્ટરો પોતાની બધી શક્તિ લગાડીને પ્રયત્ન કરી રહ્યા હતા. નહેરુ તો કોમામાં હતાં. છેલ્લા ડચકા ખાઈ રહ્યા હતાં. એ લાખો માનવોના મહેરામણની વચ્ચેથી મૃત્યુએ નહેરુને ઉચક્યાં... કોઈ નહેરુને બચાવી ન શક્યું.
એક રે દિવસ એવો આવશે...
આત્માનુભૂતિનો બહુ સરળ અને સચોટ ઉપાય છે મૃત્યુનું ચિંતન. કારણ કે મૃત્યુનું ચિંતન આત્મહિતની ચિંતા કરાવે છે. મૃત્યુનું ચિંતન શરીર પરના મમત્વભાવને દૂર કરે છે. એક વાર આત્મહિતટષ્ટિનો ઉઘાડ થાય, એટલે આત્માનુભૂતિની દિશામાં પ્રગતિ થયા વિના રહે નહીં. માટે જ જ્ઞાનીઓએ કહ્યું છે –