________________
પરમોપકારી ગચ્છાધિપતિ પૂજ્ય ગુરુદેવશ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજાનો શુભાશિષ પત્ર
વિ.સં. ૨૦૬૫ના ફાગણ સુદ ૧૧ શનિવાર તા. ૭.૩.૨૦૦૯ના શુભમુહૂર્તે થનારી આચાર્યપદવી પ્રસંગે ગુરુદેવશ્રીના હૃદયનાં આશીર્વાદ વિજય જયઘોષસૂરિ તરફથી
વિનયાદિગુણોપેત પંન્યાસ શ્રી હરિકાંત વિજયજી ગણિજોગ અનુવંદના,
તારી દીક્ષાથી માંડીને આજ સુધી ૩૨ વર્ષના પર્યાયમાં તારી મારા પ્રત્યેની લાગણી, ભક્તિ, આદર, મને અનેક રીતે સહાયક થવાની તત્પરતા, સમર્પિતતા વગેરે ગુણો સાથે આરાધનાનું લક્ષ, સમુદાયના કાર્યોમાં પણ અનેકરીતે સદા સહાયક બન્યો છે. વિનય, વિવેક, સરળતા, ઔચિત્ય વગેરે ગુણો પણ તારામાં વિકસીત થયા છે. તારો આગમ વગેરેનો જ્ઞાનાભ્યાસ પણ ઘણો થયો છે અને તું અનેકોને અભ્યાસ કરાવે પણ છે. તારી પાત્રતા જોઇને તને આચાર્યપદ અર્પણ કરવાનો મેં અને સહુએ નિર્ણય કર્યો છે તેથી હવે તારી જવાબદારી ઘણી વધે છે. હવે તારે વિશેષ ગંભીર બનવાનું છે. સરળતાની જેમ વાણીમાં શાંતતા, મધુરતા, મૃદુતા વિશેષ પ્રમાણમાં કેળવવાની છે. સામાને વિશેષ આદરણીય બનાય તે પણ લક્ષમાં રાખજે જેથી શાસન, સંઘના અને સમુદાયના મારા કાર્યો પણ પ્રેમ, વાત્સલ્ય, આદરપૂર્વક સારી રીતે તું કરી શકે અને તારામાં આદ્યાત્મિક ગુણો સહિત બાહ્ય આરાધના કરવા કરાવવાની શક્તિ વધુ વિકસીત થશે. આ રીતે ખૂબ આગળ વધતો રહેજે એવા મારા અંતરના ખૂબ ખૂબ આશીર્વાદ છે.
-
વિજય જયઘોષસૂરિની અનુવંદના વિ.સં. ૨૦૬૫, મહા વદ-૨, ઇર્લા-મુંબઇ
તા. ૧૧-૨-૨૦૦૯