________________
કરનારા મુનિઓએ જે ક્રમથી આ વિષયનો અભ્યાસ કર્યો અને એ વિદ્યાર્થીઓની શંકાઓનું સમાધાન કરવા માટે જે કાંઈ નવી નવી દલીલો અને દાખલાઓ આપવાના આવ્યા એના ફલસ્વરૂપે કંઈક જુદી રીતે, પૂજ્યપાદશ્રીએ જ ભણાવેલા પદાર્થોનું આ ગ્રન્થમાં સંકલન કરવામાં આવ્યું છે. એટલે ન્યાયભૂમિકાનું જ આ એક નૂતન પરિષ્કૃત સંસ્કરણ છે તેમ સમજવામાં ઔચિત્ય છે.
ન્યાયશબ્દના ઘણા અર્થો થાય છે. લોકવ્યવહારમાં ન્યાય એટલે પ્રામાણિકતા. ન્યાયાધીશદ્વારા કરાયેલા નિષ્પક્ષ ફેંસલાને પણ ન્યાય કહે છે. વ્યાકરણશાસ્ત્રમાં કેટલાક સ્વીકૃત ધોરણો કે જેનો સૂત્રોમાં ઉલ્લેખ ન કર્યો હોય પણ આડકતરી રીતે સૂચિત કર્યા હોય, દા.ત. અપવાદસૂત્ર ઉત્સર્ગનું બાધક હોય છે—વગેરે, તેને ન્યાય કહેવાય છે. કેટલાક સુપ્રસિદ્ધ ઉદાહરણોનો પણ શાસ્ત્રોમાં ન્યાયશબ્દથી ઉલ્લેખ થાય છે. દા.ત. ‘તુષ્યતુ દુર્જનઃ' ન્યાય - અર્થાત્ અમુક પ્રવૃત્તિ જેમ સજ્જનને પ્રિય ન હોવા છતાં માત્ર દુર્જનને રાજી રાખવા માટે કરાય તેમ શાસ્ત્રકારો પોતાને માન્ય ન હોય તેવા સિદ્ધાન્તનો એક વાર ઉપરછલ્લો સ્વીકાર કરીને આગળ નિરૂપણ કરે ત્યારે આ હકીકત દર્શાવવા આ ન્યાય વપરાય છે.
દર્શનશાસ્ત્રોમાં જે ન્યાયશબ્દ વપરાય છે તેનો અર્થ આ બધાથી લગભગ જુદો હોય છે. અહીં ન્યાય એટલે અનુમાન. નૈયાયિકો અનુમાન પ્રમાણનો ઉપયોગ પ્રચુરતાથી કરતા આવ્યા છે એટલે એમના દર્શનનું તો નામ પણ ન્યાયદર્શન પાડ્યું છે.
ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે આ ગ્રન્થ માત્ર વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે જ સંકલિત કર્યો છે એટલે એમાં કેટલાય તત્ત્વોનો પરિચય ઘણી જ સ્થૂલદૃષ્ટિએ કરાવેલો છે. ઉપર ઉપરના પરિષ્કારો કે ઉપર ઉપરની કોટિઓ કે બહુ સૂક્ષ્મ નિરૂપણને અહીં સ્થાન આપ્યું નથી. જેમ જેમ વિદ્યાર્થીઓ આગળના ગ્રન્થો ભણશે તેમ તેમ સ્વયં સમજી જશે કે આ ગ્રન્થમાં કરાયેલ પદાર્થનિરૂપણ ઘણું ઉતરતી કક્ષાનું જ છે પરંતુ પ્રવેશ માટે જ કરાયેલું છે.
અસ્તુ. જૈન-જૈનેતર શાસ્ત્રગ્રન્થોનો સુંદર અભ્યાસ કરાવનાર પૂજ્યપાદ ગુરુભવંતોના ચરણોમાં કોટિ કોટિ વન્દના. (પહેલી આવૃત્તિમાંથી)
Jain Education International
જયસુંદર વિજય - મલાડ
(હાલ પ.પૂ.આ. જયસુંદરસૂરિ મ.સા.)
For Private & Personal Use Only
www.jainelibrary.org