SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રી ભગવતીજી સૂત્ર વિવેચન E અહિતમાં છે, વિલાસી વૃત્તિના પોષક ને ઇન્દ્રિયોને મહેકાવનારા તથા આત્મદ્રષ્ટિ પરલોકદ્રષ્ટિ વગેરેથી દૂર પાડનારા છે. માટે જગતના બચાવ અર્થે એ બધું જાણતાં છતાં બતાવ્યું નહિ. પરંતુ મિથ્યાત્વનો કેફ હોય ત્યાં આ વાત નથી સમજાતી કે જ્ઞાનીઓએ કહ્યું નહિ બતાવ્યું નહિ માટે એ નહોતા જાણતા એમ નહિ. જાણતા તો હતા જ, પરંતુ જીવોનું અહિત ન થઈ જાય એટલા માટે બતાવ્યું નહિ; જીવોનું અહિત એટલા માટે કે જીવો અનાદિરૂઢ મોહની વાસનાઓથી ભરેલા છે, પાછા મૂઢ છે તેથી જડની આસક્તિને લીધે જડની વધારે સગવડ કરવા જતાં અહિત થાય એ સમજતા નથી. આજે દેખો છો ને કે યંત્ર, રેલગાડી, મોટર, વિમાન, ટેલીફોન, રેડિયો વગેરે વગેરેની સગવડો થવાથી, માણસની જરૂરિયાતો એટલે કે લોભ કેટલો વધ્યો છે? એ મેળવવા પાપ પ્રવૃત્તિ કેટલી બધી વધી પડી? સારા ગણાતા શ્રાવકો પણ રાત્રિભોજન કરતા થઈ ગયા છે ને ? ટેક્ષચોરી ધૂમ ચાલી પડી છે ને ? બજાર ધંધા અને બીજાને મળવા કરવાની બહુ લપમાં શ્રાવકનાં અનુષ્ઠાન પ્રતિક્રમણ-પૌષધ વગેરેની બેપરવાઈ કરી રહ્યા છે ને? આમ પાપપ્રવૃતિ કેટલી બધી વધી પડી? ત્યારે લક્ષ્મી અને જડસરંજામ વધાર્યા પછી એને સાચવવા પાછળ કેટકેટલા આર્તરૌદ્રધ્યાન, પાપવિકલ્પો, મમત્વના આવેશ, માયા પ્રપંચ વગેરે વધી પડયા છે? તો ભોગવવામાં લંપટતા મદ-અહંકાર વગેરે કેટલા? આજે તો સામાન્ય સ્થિતિના માણસોને ય ઉદ્ભટ ભોગ સુલભ થઈ ગયા! ત્યાં આત્માની કેટલી બધી દુર્દશા? પૂર્વના કાળે લક્ષ્મી તો હતી, પરંતુ વિજ્ઞાને શોધેલ સગવડો નહોતી એ વખતે જીવનમાં જડના વિચારવાણી-વર્તાવ કેટલા ઓછા ને આજે કેટલા ફાલ્યા-ફૂલ્યા? એ તફાવત લક્ષમાં લઈએ તો સમજાઈ જાય કે જ્ઞાની ભગવંતોએ જાણવા છતાં આ ચીજો ન બતાવી એમાં જીવોનું હિત હતું. બાકી વિજ્ઞાને શોધી કાઢેલ વાતોનાં મૂળ જ્ઞાની ભગવંતે બતાવ્યા છે. ઉપરાંત પણ એવું એવું પદાર્થ સ્વરૂપ બતાવ્યું છે કે જેમાં એમને પ્રયોગ-અખતરા કરવા પડયા નથી, અને આજના વૈજ્ઞાનિકો હજી જેને સ્પર્શી શક્યા નથી, એવું એવું બતાવીને પણ એના પર મોહના ઉન્માદ નહિ કિન્તુ તત્ત્વદ્રષ્ટિ-જ્ઞાનદ્રષ્ટિ વધે એ રીતનાં નિરૂપણ કર્યા છે. શ્રી ભગવતી સૂત્રમાં એવી કેટલીક વાતો ભરી પડી છે કે જે જીવની તત્વદ્રષ્ટિને ખીલવે છે. એમાં વળી જીવનની કેટલીક સમસ્યાઓના ઉકેલ પડ્યા છે. આજના વિજ્ઞાનની એ તાકાત નથી. કેમકે દ્રષ્ટિ જ ખોટી છે. નહિતર જુઓને આજે કેટલીક દુઃખદ સમસ્યાઓ, સગવડો વધ્યા પછી ઊકલી જવાને બદલે કેમ અધિક વધી પડી ? અને તેથી અશાંતિ, અજંપો, ભય વગેરે શાથી ઉભરાઈ પડયા છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004955
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Vivechan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy