________________
ક્ષયોપશમ રોજરોજ ખીલતો જ રહ્યો અને ઉચ્ચારણશુદ્ધિના વિષયમાં મને જાતજાતની સ્ફુરણાઓ પણ થવા લાગી. તે બધી સ્ફુરણાઓ આજે આ પુસ્તકરૂપે પ્રગટ થઈ રહી છે.
પાઠશાળામાં ભણવા આવતાં બાળકો સારી રીતે ભણી-ગણીને તૈયાર થાય, જિનશાસનનું ઊંડું તત્ત્વજ્ઞાન મેળવે, એના દ્વારા સ્વપર કલ્યાણ કરે અને જિનશાસનને દીપાવે એવું આપણે સૌ ઇચ્છીએ છીએ.
અહો ! પણ ઇચ્છાદેવી એકલી શું કરે ? પ્રયત્ન વિના તો એ પાંગળી છે. એટલે આપણી જે જાતની ઇચ્છા હોય એને અનુરૂપ આપણો પ્રયત્ન પણ હોવો જોઈએ. તો જ ઇષ્ટ ફળની સિદ્ધિ થાય ને અંતિમ મંજિલ સુધી પહોંચી શકાય. ઇચ્છા અને પ્રયત્ન એ બે સિદ્ધિનાં સોપાન છે.
આપણી ઇચ્છા તો ભવ્ય છે, પણ આપણો પ્રયત્ન પાંગળો છે. બાળકો જ્ઞાની બની જિનશાસનને દીપાવનારાં બને તે માટે તન-મન-ધનનો જે ભોગ આપવો જોઈએ, તે ભોગ આપવા માટેનું લક્ષ નહિવત જ હોય છે.
આપણી માતૃભાષા આપણને જન્મથી જ આત્મસાત્ થયેલી હોય છે. એટલે એ શીખવા માટે બાળકોને બહુ મહેનત કરવી પડતી નથી, પણ આપણાં પંચ પ્રતિક્રમણનાં મોટા ભાગનાં સૂત્રો પ્રાકૃત ભાષામાં છે, બહુ થોડાં સૂત્રો સંસ્કૃત ભાષામાં છે. આ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના ઘણા જોડાક્ષરોવાળા કેટલાક શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરવાનું કામ ક્યારેક પંડિતોને માટે પણ કઠણ થઈ પડતું હોય છે, તો પછી અવિકસિત બુદ્ધિવાળાં બાળકોની શી વાત કરવી ?
આ એક મુશ્કેલી છે. જગતમાં જેમ મુશ્કેલીઓ હોય છે, તેમ એને દૂર કરવાના ઉપાયો પણ હોય છે જ. કઠિન શબ્દોના ઉચ્ચારણની આપણી મુશ્કેલીને દૂર કરવાનો સીધો, સાદો ને સુંદર ઉપાય એ છે કે આપણાં પંચ પ્રતિક્રમણનાં સૂત્રોમાં આવતા ‘પાંચ્છિત્ત', ‘કાઉસ્સગ્ગ’, ‘પચ્ચક્ખામિ’, ‘જવણિજ્જ ચ ભે', ‘સમ્મિિટ્ટ', ‘પ્રોદ્યવંતાંશુ' જેવા કઠણ ઉચ્ચારણવાળા શબ્દોની એક અલગ યાદી તૈયાર કરવી જોઈએ અને તે બે પ્રતિક્રમણનાં અને પંચ પ્રતિક્રમણનાં સૂત્રોનાં સર્વ પુસ્તકોની પાછળ મોટા અક્ષરે છપાય તે જરૂરી છે. સૂત્રો કંઠસ્થ કરવા સાથે બાળકોની પાસે તે યાદીવાળા શબ્દો પણ શુદ્ધ ઉચ્ચારણ કરવાના માર્ગદર્શન મુજબ અલગ જ ગોખાવવા જોઈએ, જેથી સૂત્રો ગોખવાનું કાર્ય પણ સરળ બની જાય.
+
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org