________________
द्वात्रिंशिका
• પ્રસ્તાવના :
ऐं नमः
પક્ષાંતિકાન્ત
ઘણા ઘણા વર્ષોની તપ, જપની સાધના અને અનેક પ્રકારની મુશ્કેલીઓમાંથી પસાર થયા પછીથી એક આત્માને પોતાના જીવનમાં સત્ય લાગ્યું કે “વેદના જે શીખવે છે કે તે વેદો શીખવી શકતા નથી. મેં મારા જીવનમાં વેદો અને ઉપનિષદોનું બહોળું જ્ઞાન મેળવ્યું. મારી શક્તિ પ્રમાણે લોકોને તે આપ્યું પણ ખરું. છતાં જ્યારે હું માંદગીમાં પટકાયો ત્યારે મારી સમજને ટકવી શક્યો નહિ. સમાધિ જાળવવામાં હું પ્રાયઃ સફળ થયો નહિ.” બસ, આજ વાત અધ્યાત્મની ચરમસીમાએ પહોંચેલા ઋષિમહર્ષિઓએ અનંતકાળ પહેલાં પણ કીધી હતી. આજે પણ એ જ કહી રહ્યા છે અને ભવિષ્યમાં થનારાઓ પણ તે જ વાત કહેવાના છે કે સઘળા જીવનનો સાર શાંતિમય જીવન અને સમાધિમય મરણમાં છે. શાસ્ત્રો પણ જે સત્યનો આગ્રહ રાખી જીવવાનું કહે છે તે સત્ય પણ સમાધિરૂપ ભાવસત્ય છે, નહિ કે સમાધિ નિરપેક્ષ દ્રવ્યસત્ય. જીવનમાં શાંતિ અને મૃત્યુ સમયની સમાધિની ઉપેક્ષા કરીને કરાયેલા દ્રવ્ય સત્યનો આગ્રહ એ તો મહા કદાગ્રહ છે, મહા અજ્ઞાનદશા છે, મહા ભયંકર દષ્ટિરાગ છે. એના પ્રભાવે જ જીવ અનંત અનંતકાળથી સંસારની ગર્તામાં પડીને કારમા નરકાદિના દુઃખો વેઢી રહ્યો છે. કદાગ્રહનો ત્યાગ, ભાવસત્યનો ખપ, ગુણગ્રાહી દૃષ્ટિ, સર્વત્ર સમાધાનવૃત્તિ, સહિષ્ણુતા અને નિરીહતા એ ભાવધર્મ પરિણામ પામ્યાનું અને સ્યાદ્વાદ સમજ્યાનું બેરોમીટર છે તે માટે જીવનમાં જ્ઞાન અને ધ્યાનની પોઝીટીવ સાધના અને ત્યાગ, તપ, સંયમની નેગેટીવ સાધના કરવાની છે.
પ્રસ્તુત પુસ્તકમાં સ્વપરસમયવિદ્ મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજાએ રચેલ બત્રીસ બત્રીસી ગ્રંથ સંબંધી ૧૪ થી ૧૮ બત્રીસી, તેમની જ પોતાની બનાવેલી ટીકા, તેમજ તેના ઉપર મુનિપ્રવરશ્રી યશોવિજયજી મહારાજે રચેલ સંસ્કૃત ટીકા અને ગુજરાતી વિવેચન સમાવિષ્ટ છે. મુનિશ્રી પોતે વર્તમાનકાળના જબરજસ્ત વિદ્વાન, મહાસંયમી, મહાતાર્કિક અને સાથે સાથે મહાન સાધક પણ છે. નાની ઉંમરમાં ચારિત્ર લઈ બહુ જ થોડા વર્ષોમાં ઘણો ઊંડો સ્વ-પરદર્શનનો અભ્યાસ કરી એમાંથી પ્રાપ્ત થયેલ નિચોડ-રહસ્ય જગતને આપી રહ્યા છે. ઘણા વર્ષોની જાલિમ મહેનત પછીથી તેઓશ્રી આ બત્રીસી ગ્રંથ ઉપર ટીકા તેમજ વિવેચન તૈયાર કરી પુસ્તકરૂપે તેને આઠ ભાગમાં જગત સમક્ષ મૂકી રહ્યા છે. આ પહેલાં પણ મુનિશ્રીએ ઘણા સંસ્કૃતગ્રંથો ઉપર ટીકાઓ તેમજ વિવેચન લખી જૈન સમાજને વિપુલ સાહિત્યનું નજરાણું આપ્યું છે. ગુજરાતી પુસ્તકો પણ તેઓશ્રી દ્વારા ઘણા સારા બહાર પડ્યા છે. હમણાં જ થોડા વર્ષો ઉપર “સંવેદનની સરગમ' બહાર પાડીને, તેમાં જબરજસ્ત કોટિનો સાધના માર્ગ બતાવ્યો છે. શ્વેતાંબર સંપ્રદાયમાં જે ચીજની ઘણા વર્ષોથી ઉણપ હતી તેની ખોટ મુનિશ્રીએ આ પુસ્તક દ્વારા પુરી પાડી છે.
પ્રસ્તુત પુસ્તક અંતર્ગત ૧૪ થી ૧૮ એમ પાંચ બત્રીસીમાં પણ મુનિશ્રીએ ક્યાંક ને કયાંક પોતાનો આગવો કસબ વાપરીને ગ્રંથને સર્વાગ સુંદર બનાવવાનો પ્રયત્ન કર્યો છે. મારા ક્ષયોપશમ મુજબ તેના થોડા નમુના આ પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org