________________
ગિરનારની ગૌરવયાત્રા
ગિરનાર મહાતીર્થની તળેટીમાં શ્રી આદિનાથ ભગવાનના જિનાલયમાં દર્શન કરી ગિરનાર ગિરિવરના પ્રવેશદ્વારથી અંદર ડાબા હાથ ઉપર ચડાવ હનુમાનનું મંદિર આવે છે. જ્યારે જમણી બાજુ પોલીસચોકીની બાજુમાં બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવાનનાં પગલાંની દેરી આવે છે. તે વિશાશ્રીમાળી શ્રાવક લખમીચંદ પ્રાગજીએ બંધાવી હતી. જેમાં શ્રી નેમિપ્રભુના પૂર્વાભિમુખ પગલાં અને શાસન તથા તીર્થના અધિષ્ઠાયિકા શ્રી અંબિકાદેવીની પ્રતિમા પબાસણની દિવાલમાં પધરાવવામાં આવેલી છે.
ગિરનાર મહાતીર્થની યાત્રાએ પધારેલાં સૌ ભાવિકજનોએ યાત્રાનો પ્રારંભ કરતાં પહેલાં આ દેરીના દર્શન અવશ્ય કરી પોતાની યાત્રા નિર્વિઘ્ને પાર પડે તે માટે શાસન/તીર્થના અધિષ્ઠાયિકાને અવશ્ય પ્રાર્થના કરવી જોઇએ.
ગિરનારની યાત્રામાં સુગમતા । માટે વિ.સં.૧૨૧૨માં આંબડ શ્રાવકે સુવ્યવસ્થિત પગથિયા બંધાવ્યા હતા. ત્યારબાદ અવસરે અવસરે તેનો ઉદ્ધાર કરાવ્યા હોવાના લેખો જોવા મળે છે.
આ દેરીના દર્શન કરી આગળ ચાલતાં ૧૫ પગથિયાએ ડોળીવાળાનું સ્થાન આવે છે, ત્યાંથી આગળ વધતાં લગભગ ૮૫ પગથિયાં પાસે પાંચ પાંડવોની દેરી આવે છે. જેમાંની ચાર દેરીઓ ડાબી બાજુએ અને જમણી તરફ એક દેરી હતી, હાલ તેના જુના સ્થાપત્ય જોવા મળે છે. આગળ ૨૦૦ પગથિયાં પાસે ચુનાદેરી અથવા તપસી પરબનું સ્થાન આવે છે. આગળ ૫૦૦ પગથિયાં પાસે જમણી તરફ છોડીયા પરબનું સ્થાન આવે છે. જ્યાં હાલ વિશ્રામ માટેનું નવું સ્થાન બનાવવામાં આવેલ છે. ત્યાંથી આગળ જતાં ડાબી બાજુ એક રાયણનું વૃક્ષ આવે છે. જ્યાં પાણીની પરબ છે, ૮૦૦ પગથીયે ખોડિયારમાની જગ્યા આવે છે, આગળ જતાં લગભગ ૧૧૫૦ પગથિયાં પાસે ડાબી બાજુ જટાશંકર મહાદેવની દેરી આવે છે. ત્યાંથી જટાશંકર મહાદેવની જગ્યાએ જવાનો રસ્તો છે. ૧૨૦૦ પગથિયે ડાબીબાજુ એક નવું વિશ્રામસ્થાન બનાવવામાં આવેલ છે. આગળ જતાં ૧૫૦૦ પગથિયાનું સ્થાન ધોળીદેરીથી ઓળખાય છે, ત્યાં પણ વિશ્રામ માટેનું નવું સ્થાન બનાવવામાં આવ્યું છે. આગળ વધતાં લગભગ ૧૯૫૦ પગથિયાંના સ્થાનને કાળીદેરીના નામથી ઓળખવામાં આવે છે, ત્યાં પણ વિશ્રામ માટેનું એક નવું સ્થાન બનાવવામાં આવ્યું છે. અહીં જે જુનું મકાન છે તેના ઉપર ધનીપરબની તક્તિ હજુ પણ જોવા મળે છે. આગળ ૨૦૦૦ પગથિયાં પાસે ડાબી તરફ કેડી માર્ગે આગળ જતાં વેલનાથ બાપુની સમાધિનું સ્થાન આવે છે, કોઇક સાહસવીર હોય તો તે સ્થાનથી પહાડના માર્ગે સહસાવન તરફ જવાનો ટૂંકો રસ્તો મળી શકે છે. ૨૦૦૦
૮૮
Jain Educatio
trary.org