________________
૫૬ ૦ સંગીતિ
ગયેલી અને મનુષ્યો વિશે પણ એવી જ માન્યતા થઈ ગયેલ. આને લીધે બળવાન જાતિઓ નિર્બળોનો સંહાર કરી નાખતી અને લોકો નરમેધ સુધી પહોંચી ગયા હતા.
આ પરિસ્થિતિ ઘણા થોડા લોકોને માટે સુખદાયી હતી, અને જેમને માટે એ સુખદાયી લેખાતી તેઓ પણ ભારે સંતપ્ત અવસ્થાનો અનુભવ કરતા; કેમ કે જેમને મારવાના હતા તેઓ પોતાની શક્તિભર પ્રયત્ન કરીને સામે થવામાં કચાશ ન રાખતા અને જીવસટોસટની લડાઈઓ ચાલુ રહેતી. આમાં, જોકે જેઓ બળવાન હતા તેઓ જ ફાવી જતા, પણ ઘણી બધી શક્તિને વેડફી નાખ્યા પછી આમ બનતું. એથી જેઓ ફાવી જનારા હતા તેઓ પણ સુખેથી ઊંઘી શકતા ન હતા. આમ એકંદરે કોઈને સુખ-શાંતિ સાંપડતાં ન હતાં. આવી પરિસ્થિતિથી આદિકાળમાં જેટલો માનવસમાજ હતો તે બધો કોઈ ને કોઈ રીતે અશાંતિ અનુભવતો રહેતો.
તેમાં જે લોકો વિચારકો હતા, ચિંતનશીલ હતા અને શાંતિની શોધ માટે પ્રબળ પ્રયાસ કરનારા હતા તથા એક-બીજા માનવોની લાગણીઓને બરાબર ઓળખનારા હતા, તેઓએ ખેતીની શોધ કરીને લોકોને ખેતી કરતાં શીખવ્યું અને તે દ્વારા અનાજ, ફળો વગેરેને પકવીને આહારાદિ નૈસર્ગિક વૃત્તિઓને સંતોષી શકવાની યોજના શરૂ થઈ. આમ થવાથી જે એકબીજી જાતિઓ દ્વારા ઘોર માનવસંહાર થતો હતો, તે થોડોઘણો અટક્યો અને લોકોને ખેતીદ્વારા શાંતિ મળવા લાગી. આમ કૃષિપ્રવૃત્તિરૂપ ધર્મ ઉપરાંત બીજી બીજી પ્રવૃત્તિવાળા, શાંતિના હેતુરૂપ જુદા જુદા ધર્મોની શોધ થવાની શરૂઆત થઈ. ધર્મ એટલે અમુક પ્રકારની ક્રિયાત્મક પ્રવૃત્તિ અને અમુક પ્રકારની ભાવનાત્મક પ્રવૃત્તિ. આ બન્ને પ્રવૃત્તિઓ સમગ્ર સમાજને અને પશુપક્ષીના સમાજને પણ હિતરૂપ નીવડવા લાગી.
સમાજના હિતનો વિચાર કરનારા શોધક પંડિતોએ એ ક્રિયાત્મક ધર્મ અને ભાવનાત્મક ધર્મની શોધ કરતાં કરતાં અહિંસા, સત્ય, અચૌર્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય એ બધી આચારાત્મક પ્રવૃત્તિઓને શોધી કાઢી અને તેમને અમલમાં મૂકવાની જનસમાજને વિશેષ ભલામણ કરી. તેમાં ત્યાં સુધી જણાવવામાં આવ્યું કે જે સમાજ એ પાંચેય પ્રવૃત્તિઓને જેટલે અંશે વાસ્તવિક અર્થમાં અમલમાં મૂકશે, તે સમાજ તેટલે અંશે શાંતિ ભોગવવાનો અને બીજાની શાંતિમાં દખલ નહિ કરવાનો. અને જે સમાજ એ પાંચે પ્રવૃત્તિઓને અમલમાં નહિ મૂકે તે સમાજ અશાંતિને અનુભવવાનો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org