________________
નિવેદન
પં. શ્રી બેચરદાસ જીવરાજ દોશી ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયના પ્રેરણાસ્રોત અને આપ્તજન હતા. અમારા પૂજ્ય પિતાશ્રી સ્વ. શંભુલાલભાઈ તથા સ્વ. શ્રી ગોવિંદલાલભાઈના અનન્ય મિત્ર હતા. અમને (કાંતિભાઈ, સ્વ. ઠાકોરભાઈ, મનુભાઈ, પ્રકાશભાઈ) પુત્રવત્ ગણી અપાર વાત્સલ્ય ભાવ વરસાવતા આથી અમારો તેમની સાથે પારિવારિક સ્નેહ સંબંધ બંધાયો હતો તેમના પરિવારના સ્વ. શ્રી પ્રબોધભાઈ, સ્વ. શ્રી લલિતાબેન, સ્વ. શ્રી શિરીષભાઈ તથા લાવણ્યબેન સાથે ભાઈભાંડુ જેવો સ્નેહ સંબંધ અકબંધ છે. આજે પણ તેમના પૌત્રો સાથે ઘરેલુ સંબંધ છે. પંડિતજીના જીવનકાળ દરમિયાન અમને સતત પ્રેરણા અને માર્ગદર્શન મળતાં હતાં. તેમના હૂંફાળા અને પ્રેમાળ સ્વભાવે અમારા વિકાસમાં અમૃતસિંચન કરી મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વર્ષો પૂર્વે અમને તેમણે તૈયાર કરેલી મહાવીરવાણી અને પ્રાકૃત માર્ગોપદેશિકા નામના બે ગ્રંથો છાપવાનો સુઅવસર પ્રાપ્ત થયો હતો. આજે ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય ૭૫માં વર્ષમાં પ્રવેશી રહ્યું છે અને અમૃતપર્વની ઉજવણી કરી રહ્યું છે ત્યારે અમારા આપ્તજનોની સ્મૃતિ વધુ સતેજ બને તે સહજ જ ગણાય. તેમની પુણ્યસ્મૃતિને સ્મરણાંજલિ અર્પવા સ્વરૂપે તેમના પસંદગીના લેખો પ્રગટ કરવાનો વિચાર ઉદ્ભવ્યો હતો. આ વિચાર અને પંડિતજીના એક સમયના વિદ્યાર્થી અને વર્તમાનમાં લા.દ. વિદ્યામંદિરના નિયામક શ્રી જિતેન્દ્ર બી. શાહ સમક્ષ વ્યક્ત કર્યો. તેમણે અમારા વિચારને સહર્ષ વધાવી લીધો. લેખોની પસંદગીથી માંડીને તમામ કાર્યો તેઓએ સહર્ષ સ્વીકારી સુંદર સંપાદનકાર્ય સંપન્ન કર્યું અને અમારી મૂંઝવણ ટાળી. આ માટે અમે તેમના અત્યંત આભારી છીએ.
ધર્મ અને દર્શન વિશેનું પંડિતજીનું આગવું ચિંતન હતું. તેમાં મૌલિકતા અને ક્રાંતિબીજ પણ જોવા મળે છે. આ દૃષ્ટિએ પ્રસ્તુત લેખસંગ્રહ જિજ્ઞાસુને માર્ગદર્શક બનશે તેવી અમને આશા છે.
આ ગ્રંથ તૈયાર કરવામાં શારદાબેન ચિમનભાઈ ઍજ્યુકેશનલ રિસર્ચ સેન્ટરના સ્ટાફનો સક્રિય સહયોગ પ્રાપ્ત થયો છે તે બદલ અમે તેમના પણ આભારી છીએ.
– પ્રકાશક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org