________________
૨૦૦ ૦ સંગીતિ
કે ઝાડુ દેનારનું કામ કરતો હતો તે વખત જતાં અંગ્રેજી ઘણું ઓછું જાણતો હોવા છતાં તે જ મિલમાં મૅનેજર થયેલ હતો. જે લોકો ધનોપાસના માટે બીજા શહેરમાં કે બીજા પ્રાંતમાં વા દેશમાં જાય છે તેઓના મનમાં ધનોપાસનાના બાહ્ય અને આંતરિક ઉપાયો બરાબર ઠસેલા હોય છે, અને કેટલાક ઉપાયો તો તેમને નવા નવા સૂઝતા પણ જાય છે. સાદાઈ, નમ્રતા, મિલનસારપણું, વાણીનું માધુર્ય, સહકારની ભાવના, પરગજુપણું—આ બધા ગુણો ધનોપાસનામાં મુખ્ય છે. આ ઉપરાંત ખડતલપણું, પરિશ્રમ-પરાયણતા, સાહસ, નિરાશ ન થવાની વૃત્તિ અને જાગ્રત વિચારશક્તિ તથા એકબીજા ધંધાઓનું પરસ્પર તુલનાત્મક નિરીક્ષણ કરવાની સાવધાનતા—આ બધું પણ ગુણની દૃષ્ટિએ જરૂરી છે. કારખાનાની કે દુકાનની યોજના, પોતાના ધંધાને ફેલાવવાનાં સાધનોની પૂરી માહિતી અને પ્રધાનશક્તિ ઉત્સાહ. મન ધનોપાસનાની યોજનાઓ જ બરાબર વિચારીને ઘડતું હોય અને એથી વિપરીત દશામાં એટલે વિલાસ, મોજશોખ કે નિરાશા તરફ જરા પણ ન જતું હોય એ રીતે મનોવ્યાપારનું નિયંત્રણ કરે, અને શરીર પણ એ નિયંત્રણને અનુસરતું હોય તો પછી દોરીલોટો લઈને બહાર ગયેલા લોકો કરોડપતિ શા માટે ન થાય ? જાગ્રત ધનોપાસક કદી કોઈનું આંધળું અનુકરણ નહીં કરે, તેમ ગજા ઉપરાંત પ્રવૃત્તિ પણ નહીં કરે તથા વાહવાહમાં પડી આંધળી રીતે ગજા ઉપરાંત કૃત્રિમપણે પરદુઃખભંજન પણ નહીં થાય; ભલે એ પરદુઃખભંજન થવાને વિશેષ ઇષ્ટ સમજતો હોય, છતાં પોતાની મર્યાદાને કદી ન વટાવે.
ઉપર કહી તેવી ત્રણે ઉપાસનાઓમાં મન અને શરીરની એકતા હોય તો જ સફળતા મળે છે તેમ આપણે જોયું. મનની એકાગ્રતા અને તદનુસાર શરીર દ્વારા આચરણ ન હોય તો સ્વામીની ઉપાસના, વિદ્યાની ઉપાસના અને ધનની ઉપાસના લગભગ નિષ્ફળ જાય છે એ સિદ્ધ વાત છે. એ જ રીતે ધર્મની ઉપાસના અથવા ઈશ્વરની ઉપાસના પણ મનની એકાગ્રતા અને શરીર દ્વારા આચરણ વિના થતી હોય તો તે ફળ શી રીતે આપે ?
આપણે ત્યાં અનેક ધર્મો છે અને દેવો પણ અનેક છે. કોઈ હનુમાનની, કોઈ ભદ્રકાળીની, કોઈ મહાદેવની (મહાદેવો વિવિધ નામે હોય છે), કોઈ રામની, કોઈ કૃષ્ણની, કોઈ અંબાજીની, કોઈ બુદ્ધની ઉપાસના કરનારા અનેક લોકો હયાત છે. ઘણાખરા તો આ ઉપાસના નિયમિત કરનાર હોય છે, અને કેટલાક તો ઉપાસના વિના ભોજન ન લેવું એવા નિયમવાળા પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org