________________
૧૬
સારું કરવા માટે નહીં પણ સારા દેખાવા માટે જ બધું કરતા હોય છે. જે અરે ! સાધર્મિકવાત્સલ્ય કરશે તોય સારું દેખાડવા માટે. આપણે વ્યવહારમાં બોલીએ છીએ ને કે ભાઈ ભલે ગમે તેટલો ખર્ચો થાય પણ સારું દેખાય તેમ કરજો. સાધર્મિક ભક્તિનું કયાંય નામનિશાને ન હોય. કયારેક માણસો ચડાવા લાખો રૂપિયામાં બોલતા હોય છે પણ એની પાછળ લક્ષ્મીનો સદ્વ્યય થાય એના કરતાં સમાજમાં નામના મળે... છોકરા-છોકરીઓના વેવિશાળ જલ્દી થાય.. જો લગભગ આવી જ ગણતરી હોય તો આવા માણસોના જીવનમાં ધર્મ કેવી રીતે પરિણામ પામે ? મા-બાપની પ્રતિષ્ઠા વિના પ્રભુ પ્રતિષ્ઠા કેવી ?
એક શેઠ હતા. ખૂબ ધનાઢય હતા. તેથી ઘરમાં જ સુંદર દહેરાસર બંધાવ્યું. ભગવાન લાવ્યા. પ્રતિષ્ઠા માટે કોઈ આચાર્ય મહારાજની શોધ કરવા માંડ્યા. આમ તો કોઈ દિવસ ઉપાશ્રયનું પગથિયું એ ન ચઢતા હોય પણ પોતાના પ્રસંગને શોભાવવા માટે સારામાં સારા આચાર્ય મહારાજને શોધશે. આ શેઠને પણ શોધતાં શોધતાં સારા આચાર્ય મહારાજ મળી આવ્યા. સમાજમાં સારું દેખાય માટે આચાર્ય મહારાજનો બેન્ડ-વાજા સહિત ભવ્યાતિભવ્ય પ્રવેશ કરાવ્યો. આચાર્ય મહારાજ લાંબો વિહાર કરીને આવેલા હોવાથી બપોરના સમયે જરાક આડે-પડખે થયા છે ત્યાં એક ડોશીમા લાકડીના ટેકે ધીમે ધીમે ઉપાશ્રયમાં પ્રવેશ્યાં. મેલાં ઘેલાં કપડાં છે. મહારાજ સાહેબની આંખ જરા મળી ગઈ છે. ત્યાં લાકડીના ટકટક અવાજથી આચાર્ય મહારાજ જાગી જાય છે. ડોસીમાને જોઈને પૂછે છે કે કેમ માજી મજામાં છો? કેમ આવ્યા છો? ત્યારે ડોશીમા કહે છે કે બાપજી તમે કેમ આવ્યા છો? બાપજી કહે કે અમે તો પ્રતિષ્ઠા કરાવવા આવ્યા છીએ. ડોશીમા કહે છે કે બાપજી પ્રતિષ્ઠા નહીં થાય. કેમ? ઘરના દેવ એવા મા-બાપ જ્યાં ઠેબે ચડતા હોય ત્યાં ભગવાન પધારે કેવી રીતે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org