________________
‘દ્વાત્રિંશદ્વાત્રિંશિકા’ ગ્રંથની ૧૭મી ‘દેવપુરુષકારદ્વાત્રિંશિકા'ના શબ્દશઃ વિવેચનના સંકલન-સંપાદન વેળાએ પ્રાસ્તાવિક
વિશ્વકલ્યાણકર શ્રી જિનશાસનના ગગનને જ્ઞાનાલોકથી પ્રકાશિત અને પ્રભાવિત કરનારા અનેક મહાપુરુષોમાં સ્વપરદર્શનનિષ્ણાત, પ્રકાંડ વિદ્વાન, વિસ્તૃત-સચોટ-સ્પષ્ટ-સંદેહમુક્ત સાહિત્યના સમર્થ સર્જક, સર્વનયમય વાણી વહાવનાર, ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ યશોવિજયજી મહારાજાનું આગવું સ્થાન છે. જુદા જુદા બત્રીશ વિષયો ઉપર, વિષયવાર ૩૨-૩૨ અર્થગંભી૨ શ્લોકોથી કરેલ વિશદ છણાવટવાળો, તથા ૫૦૫૦ શ્લોક પ્રમાણ, અદ્ભુત, અધ્યયનીય, ‘તત્ત્વાર્થદીપિકા' નામની સ્વોપક્ષવૃત્તિથી સમલંકૃત, આ ‘દ્વાત્રિંશદ્ઘાત્રિંશિકા' ગ્રંથ, પૂ. ઉપાધ્યાયજીની એક Master Piece ઉત્તમ નમૂનારૂપ અમર કૃતિ છે.
આ ‘દેવપુરુષકારદ્વાત્રિંશિકા' દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા ગ્રંથનું ૧૭મું પ્રકરણ છે. કેટલાક દૈવથી જ યોગની સિદ્ધિ માને છે તો કેટલાક પુરુષકારથી જ યોગની સિદ્ધિ માને છે, તે મતનો નિરાસ કરીને દૈવ અને પુરુષકાર ઉભયથી યોગની સિદ્ધિ છે, તે પ્રસ્તુત દ્વાત્રિંશિકામાં ગ્રંથકારશ્રી સિદ્ધ કરે છે.
સંસારમાં જે કંઈ કાર્ય થાય છે, તે સર્વ કાર્ય પ્રત્યે જીવનું કર્મ=દૈવ અને જીવનો પ્રયત્ન=પુરુષકાર, કારણ છે; તેમ યોગમાર્ગની પ્રાપ્તિમાં પણ જીવનું કર્મ અને જીવનો પ્રયત્ન કારણ છે. તેથી પ્રમાણદૃષ્ટિથી વિચારીએ તો કાર્ય પ્રત્યે દૈવ અને પુરુષકાર કારણરૂપે સમાન છે, પરંતુ કોઈક સ્થાનમાં દૈવ બળવાન હોય તો કોઈક સ્થાનમાં પુરુષકાર બળવાન હોય એમ બને; તોપણ બંને કારણના સમુદાયથી જ કાર્ય થાય છે, માત્ર દેવથી કે માત્ર પુરુષકારથી કાર્ય થતું નથી. આ બંને કારણોની વિચારણા ગ્રંથકારશ્રીએ નિશ્ચયનય અને વ્યવહારનયની માન્યતાને સામે રાખીને પ્રસ્તુત દ્વાત્રિંશિકામાં કરેલ છે.
કાર્યનિષ્પત્તિને અનુકૂળ જીવે સ્વપ્રયત્નથી પૂર્વમાં બાંધેલું કર્મ દેવ છે. કાર્યનિષ્પત્તિને અનુકુળ સ્વઉદ્યમ પુરુષકાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org