________________
‘દ્વાત્રિંશદ્વાત્રિંશિકા’ ગ્રંથની ‘અપુનર્બંધકદ્વાત્રિંશિકા'ના શબ્દશઃ વિવેચન સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક
વિશ્વકલ્યાણકર શ્રી જિનશાસનના ગગનને જ્ઞાનાલોકથી પ્રકાશિત અને પ્રભાવિત કરનારા અનેક મહાપુરુષોમાં સ્વપરદર્શનનિષ્ણાત, પ્રકાંડ વિદ્વાન, વિસ્તૃત-સચોટ-સ્પષ્ટ-સંદેહમુક્ત સાહિત્યના સમર્થ સર્જક, સર્વનયમય વાણી વહાવનાર, ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાનું આગવું સ્થાન છે. જુદા જુદા બત્રીશ વિષયો ઉપર, વિષયવાર ૩૨-૩૨ અર્થગંભી૨ શ્લોકોથી કરેલ વિશદ છણાવટવાળો, તથા ૫૦૫૦ શ્લોક પ્રમાણ, અદ્ભુત, અધ્યયનીય, ‘તત્ત્વાર્થદીપિકા’ નામની સ્વોપજ્ઞવૃત્તિથી સમલંકૃત આ ‘દ્વાત્રિંશદ્ઘાત્રિંશિકા' ગ્રંથ, પૂ. ઉપાધ્યાયજી મહારાજાની એક Master Piece - ઉત્તમ નમૂનારૂપ અમર કૃતિ છે.
અપુનર્બંધકદ્વાત્રિંશિકા આ ગ્રંથનું ૧૪મું પ્રકરણ છે. પૂર્વની ‘મુક્તિઅદ્વેષદ્વાત્રિંશિકા'માં કહ્યું કે પૂર્વસેવાના ચાર ભેદોમાં મુક્તિઅદ્વેષનું પ્રાધાન્ય છે; કેમ કે મુક્તિઅદ્વેષના ક્રમથી યોગના અધિકારીપણાની પ્રાપ્તિ થાય છે, તેથી ‘અપુનર્બંધકદ્વાત્રિંશિકા'માં યોગમાર્ગના આદ્ય અધિકારી અપુનર્બંધકનું વર્ણન કરેલ છે.
અનાદિકાળથી સંસારસુખના રસિયા, સંસારના પૌદ્ગલિક સુખોમાં મજા માણનારા, સંસારના પૌદ્ગલિક સુખથી ભિન્ન એવા આત્મિક સુખની કલ્પના પણ નહીં કરનારા, ધર્મક્રિયા પણ અર્થ-કામના એટલે કે સંસારના રસથી જ કરનારા ભવાભિનંદી જીવોને, દર્શનમોહનીયકર્મ મંદ થવાથી અને સંસારનો negative approach-નકારાત્મક અભિગમ થવાથી જ્યારે પૌદ્ગલિક સુખમાં સ્વરૂપથી દુઃખરૂપતાનું ભાન થાય, અને એ સુખ, સુખ નથી પણ સુખાભાસ છે, દુઃખનો પ્રતિકારમાત્ર છે એવી સમજણ આવે, અને તેમાં દુઃખરૂપતાની અનુભૂતિ થવા માંડે ત્યારે તેમને તાત્ત્વિક વૈરાગ્યની પ્રાપ્તિ થઈ, એમ કહેવામાં આવે છે; અને જીવની આ અવસ્થાને ‘અપુનર્બંધક અવસ્થા' કહેવામાં આવે છે. અહીંથી જ ધર્મની, યોગની અને મોક્ષમાર્ગની શરૂઆત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org