________________
દાનહાગિંશિકા/પ્રસ્તાવના ગ્રંથકાર મહોપાધ્યાયજી મહારાજ અને તેમની કૃતિનો યત્કિંચિત્ પરિચય :
આજથી લગભગ ૩૫૦ વર્ષો પૂર્વે યશોદે થયેલા, ઈતર ધર્મના પંડિતો પાસે જૈનશાસનની વિજયપતાકા સ્થાપિત કરવાના કારણે કાશીના ધુરંધર વિદ્વાનો દ્વારા “ન્યાયવિશારદ' અને “ન્યાયાચાર્યનું માનવંતું બિરુદ પામેલા, ગંગાને કિનારે છે કારના જાપથી સરસ્વતીને પ્રસન્ન કરીને “સરસ્વતીપુત્ર' તરીકે સુપ્રસિદ્ધ થયેલા, ગૌરવવંતા જૈન ઈતિહાસમાં લઘુહરિભદ્ર'ના ઉપનામથી બિરદાવાયેલા, સ્વપરદર્શનનિષ્ણાત, પ્રકાંડ વિદ્વાન, સમર્થ સાહિત્યસર્જક, મહાજ્ઞાનનિધાન મહાપુરુષ એટલે મહામહોપાધ્યાય ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા. જેમણે પોતાની નાનકડી જિંદગીની પળેપળ સાર્થક કરીને સચોટ, સ્પષ્ટ અને સંદેહમુક્ત, વિસ્તૃત, વિપુલ જૈન સાહિત્યનું સર્જન કર્યું છે અને આપણને આગમોને ઓળખાવ્યાં છે, જે આખી જિંદગી આપણે અભ્યાસ કરીએ તો પણ વાંચી ન શકીએ. એટલું જ નહીં, પોતાના ઘણા ગ્રંથો ઉપર ગ્રંથમાં નિહિત પદાર્થ અને પરમાર્થને પ્રગટ કરતી સ્વપજ્ઞ ટીકાઓ પણ તેમણે રચી છે. તેમના ગ્રંથોના મુખ્ય વિષયો – (૧) ન્યાય, (૨) આગમ, (૩) યોગ, (૪) ભક્તિ અને (૫) આચાર છે : જેને અનુલક્ષીને તેમણે અનેક નાના-મોટા ગ્રંથોનું સર્જન કર્યું. આટલું અદ્ભુત શાસ્ત્રજ્ઞાન ધરાવનાર તેમના પછી કોઈ થયા નથી, એવા તેઓ અપ્રતિમ બુદ્ધિશાળી હોવાથી તેમનું વચન ટંકશાળી અને સર્વમાન્ય ગણાય છે.
પૂર્વધરોનું જ્ઞાન કેવું હોય તેની ઝાંખી કરાવનાર આ કાળમાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ છે. આગમનું એટલું પાન કરી, વાગોળીને આગમોને ઉથલાવી ગયા ને પરિશીલન કરી, દોહન કરી, સાહિત્યનું સર્જન કર્યું. હજારો શાસ્ત્રો તેઓ ક્યારે ભણ્યા, જ્યારે પરિશીલન કર્યું અને ક્યારે સર્જન કર્યું, તેની કલ્પના પણ આપણને ન થાય; અને વિશ્વાસપૂર્વક તેઓ પોતે જ કહી શક્યા કે “વાણી વાચક જસ તણી, કોઈ નયે ન અધૂરી રે.' વળી સરળ ગુજરાતીમાં પણ સીધાં શાસ્ત્રોનાં ક્વોટેશનો બનાવી પ્રદાન કર્યું તે પણ આપણાં અહોભાગ્ય છે.
પરંતુ આપણું કમભાગ્ય છે કે પૂજ્યશ્રીના ઘણા ગ્રંથો માત્ર ૩૫૦ વર્ષના ટૂંકા ગાળામાં લુપ્તપ્રાય: થઈ ગયા; આમ છતાં જે પણ સાહિત્ય ઉપલબ્ધ છે તે પણ સત્ય રાહ બતાવવામાં મહાન ઉપકારક છે. જીવન ટૂંકું અને કાર્ય ઘણું કરવાનું હોવાથી જાણે પૂજ્યશ્રીએ સંક્ષિપ્ત વાક્યોમાં ઘણું રહસ્ય ઠાંસી ઠાંસીને ભરી દીધું છે. નવ્ય ન્યાયની શૈલી તેમના ગ્રંથોમાં ગૂંથાયેલી છે. તેથી લગભગ શ્રાવક-શ્રાવિકાઓમાં કે સાધુ-સાધ્વીજી ભગવંતોમાં આ ગ્રંથોનું વાંચન ઓછું થાય છે, તોપણ આનંદની વાત છે કે યોગમાર્ગના અર્થી જ્ઞાનરુચિ જીવો આવા ઉચ્ચ કોટીના ગ્રંથોનું ઘણા પરિશ્રમથી પરિશીલન કરી સ્પષ્ટ સચોટ માર્ગને પામી સાધના કરે છે અને કરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org