________________
૨૧૬]
મતિજ્ઞાનની પૂર્ણાહૂતિ.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
તેમજ સમ્યક્ત્વથી પડેલા જીવને ઉત્કૃષ્ટ અન્તર અર્ધપુદ્ગલ-પરાવર્તમાં કંઈક ન્યૂનકાળ પર્યંતનું છે. તેટલા કાળ પછી ફરી સમ્યક્ત્વ અને મતિજ્ઞાનની પ્રાપ્તિ થાય. ૪૩૭.
સર્વ જીવની અપેક્ષાએ અન્તર વિચારીએ તો નારકાદિ ચારગતિરૂપ આ ત્રણે ભુવન મતિજ્ઞાનવાળાઓથી શૂન્ય નથી, એટલે કે સર્વજીવની અપેક્ષાએ મતિજ્ઞાનનો અંતર કાળ નથી, કેમ કે દરેક સમયે કોઈને કોઈ જીવ તે જ્ઞાનવાળો હોય છે જ.
ભાગદ્વાર :- મતિજ્ઞાનવાળાઓ બાકીના જ્ઞાનવાળાઓના અનન્તમા ભાગે છે. કેમ કે બાકીના જ્ઞાનવાળાઓ કેવળી સહિત અનન્તા છે, અને મતિજ્ઞાનવાળાઓ તો સર્વ લોકમાં પણ અસંખ્યાતાજ છે. ૪૩૮.
ભાવદ્વાર :- મતિજ્ઞાન ક્ષાયોપશમિકભાવમાં થાય છે, કેમકે ઉદય પામેલું મતિજ્ઞાનાવરણ કર્મ ક્ષીણ થયું હોય અને નહિ ઉદય પામેલું ઉપશાન્ત હોય ત્યારે મતિજ્ઞાન થાય છે.
અલ્પ-બહુત્વદ્વાર -મતિજ્ઞાનવાળા થોડા છે, અને શેષ જ્ઞાનવાળા-સિદ્ધ-કેવળી વિગેરે તેનાથી અનન્તગુણા છે. ૪૩૯.
અહીં ભાગદ્વાર અને અલ્પ-બહુત્વદ્વા૨માં અર્થથી કંઈ ભેદ નથી, તેથી મતિજ્ઞાન પામેલા અને પામતાઓનું અલ્પ-બહુત્વ કહેવું જોઈએ. ૪૪૦.
આભિનિબોધિકને પ્રાપ્ત કરનારા જ્ઞાન ઓછામાં ઓછા એક-બે-અથવા ત્રણ હોય છે. અને વધારેમાં વધારે તેથી અસંખ્યાતગુણા હોય છે. એ પ્રમાણે મતિજ્ઞાન પામતા હોય તેવા જીવ સર્વથી થોડા છે, તે કરતાં પૂર્વે મતિજ્ઞાન પામેલા હોય એવા જીવ ઓછામાં ઓછા અસંખ્યાતગુણા છે. કેમકે તે તો ઘણા કાળના સંમિલિત હોય છે, અને પામનારાઓ તો અમુક એક સમયે જ હોય છે. તથા પૂર્વે મતિજ્ઞાન પામેલા હોય એવા જીવો જધન્યપદર્તિ કરતાં ઉત્કૃષ્ટપદમાં વિશેષાધિક હોય છે. ૪૪૧.
અથવા આ અલ્પ-બહુત્વ બીજી રીતે પણ થાય છે. મતિજ્ઞાનવાળાઓનું અલ્પ-બહુત્વ વિચારતાં બીજા જ્ઞાનવાળાઓના અનન્તમા ભાગે મતિજ્ઞાનવાળા જીવો છે. શેષ જ્ઞાનથી રહિત જીવોની સાથે વિચારતાં મતિજ્ઞાન પામતા થોડા છે, અને તે કરતાં પૂર્વે પામેલા અસંખ્યાતગુણા છે. બાકીના જ્ઞાનવાળાઓની સાથે અલ્પ-બહુત્વ વિચારતાં સર્વથી થોડા મન:પર્યવજ્ઞાનવાળા, તેથી અસંખ્યાતગુણા અવધિજ્ઞાનવાળા, તે કરતાં મતિ-શ્રુત-જ્ઞાનવાળા વિશેષાધિક અને તે બે મતિ-શ્રુતજ્ઞાનવાળા પરસ્પર તુલ્ય છે. તથા તેમના કરતાં કેવળજ્ઞાની અનન્તગુણા છે. એ જ પ્રમાણે પૂર્વે પામેલા અને પામતાઓની સાથે પણ પોતાની બુદ્ધિથી અલ્પ-બહુત્વ વિચારી લેવું.
અથવા ગતિઆદિના ભેદે અલ્પ-બહુત્વ વિચારવું. જેમકે સર્વથી થોડા મતિજ્ઞાનવાળા મનુષ્યો છે, તેથી નારકીઓ અસંખ્યાતગુણા છે. તેથી તિર્યંચો અસંખ્યાતગુણા છે. અને તેથી દેવો અસંખ્યાતગુણા છે. એ પ્રમાણે સર્વત્ર અલ્પ-બહુત્વ વિચારી લેવું. ૪૪૨.
આભિનિબોધિક (મતિ) શબ્દની વ્યુત્પત્તિ, વિધાન, બોધરૂપ લક્ષણ, અવગ્રહ વિગેરે ભેદ, દ્રવ્ય-ક્ષેત્રાદિ વિષય, અને સત્પદપ્રરૂપણાદિ અનુયોગદ્વારોથી આભિનિબોધિક જ્ઞાનરૂપ બુદ્ધિની વ્યાખ્યા કરી; હવે પછી અનુક્રમે આવતું શ્રુતજ્ઞાન વિસ્તારથી કહેવાશે. ૪૪૩.
इति श्री आभिनिबोधिकज्ञानं समाप्तम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org