________________
પરમાત્મા ક્યારે મળે ?
જ્ઞાનમાંથી અહંકાર નીકળી જાય છે ત્યારે પરમાત્માની ઉપર અથાગ પ્રીતિ ઉત્પન્ન થાય છે. પહેલા ગુણસ્થાનક સુધી જ પરમાત્માને ચર્ચાનો વિષય બનાવી જીવનનો અમૂલ્ય સમય વેડફવાનું બને છે. પરમાત્મા સાધનાથી મેળવવાનો વિષય છે. જ્ઞાન મેળવ્યા પછી પણ જો સાધના ન કરો, આત્મામાં ઊંડા ઊતરો નહીં, ઉપયોગને અંદરમાં વાળો નહીં તો પરમાત્મા નહીં મળે. અહંકારની સાથે મમત્વ પણ છોડવું જરૂરી છે. અહં અને મમ એ મોહરાજાનો મંત્ર છે અહંકારી અને મમકારીને પ્રભુ મળતા નથી. અહંકાર અને મમકારને દૂર કરવા માટે સંસારના પદાર્થનો સંગ છોડવો જરૂરી છે. સંસારીનો સંગ એ ઝેરી કીટાણુઓનો સંગ છે. તમે સંસારીનો બહુ મેળ રાખો છો બહુ સંગ રાખો છો, તે પ્રદૂષણથી ચેતના ઝેરી બને છે. ઝેરી ચેતનાથી પરમાત્મા ન મળે. પરમાત્માને મેળવવા સંગ વિના ન રહેવાય તો અસંગ બનવાના લક્ષ્ય સત્સંગ કરો. તમે ઝેરી કીટાણુઓથી, સંસારની વાસનાથી ગ્રસ્ત છો. અમે તમારા સંગમાં સાવધાન ન રહીએ તો નુકસાન થાય જ. આંબાની ડાળ ને લીમડાની કલમ બે ભેગી કરીને ધરતીમાં વાવો તો વૃક્ષ લીમડાનું જ થાય છે. અમારે પણ તમારો સંગ છોડવાનો છે. અમે તમારો સંગ કરીએ તો શું મળે ? સાધના કરવી છે એને સંસારીનો સંગ ફાવે જ નહીં. સંસારમાં સાધના કરવી હોય તો મૌન કેળવી લ્યો. આમ છુટાતું નથી. મૌન લેવાતું નથી તો તીર્થસ્થાનમાં એકલા ચાલ્યા જાવ. સંસારની લપથી જેટલું છુટાય તેટલું છૂટો. ન છૂટો તો પરલોક ભયંકર છે. જે નિમિત્તોને આંખોથી જોયા કરો છો, જીભેથી જેની જોડે વાતો કરો છો એની આકૃતિ અંદરમાં રમ્યા જ કરે છે. ગૃહસ્થાવાસ એ કતલખાનું છે, રાગ-દ્વેષ રૂપી શસ્ત્રોથી આત્માના ગુણોની સતત કતલ થઈ રહી છે. તે ચોરખાનું છે. પર એવા પુગલ જોડે સંબંધ બાંધ્યો છે જે પુદ્ગલદ્રવ્ય ત્રિકાળમાં ક્યારે પણ આપણું થતું નથી તેની જોડે હકૂમત સ્થાપિત કરેલી હોવાથી ચોરખાનું છે. અને પરમાં સ્વની બુદ્ધિ કરનાર પાગલ જ હોય છે એ સંસારનો ગૃહસ્થાવાસ પાગલખાનું છે. એને દેહ મળ્યો છે તેમાં અહં અને મમત્વની સાધના કરી રહ્યો છે. અશુચિ અનિત્ય અને અનાત્મા સ્વરૂપ એવા દેહ-પાયખાના જોડે ચેડા કરી રહ્યો હોવાથી આ સંસાર કારા વાસ છે. આ બધામાંથી નીકળવા પ્રયત્ન કરો. વૃત્તિ અને પ્રવૃત્તિનું મૌન કરો.
सुलभं वागनुचारं मौनमेकेन्द्रियेष्वपि । पुद्गलेष्वप्रवृत्तिस्तु योगीनां मौनमुत्तमम् ॥
For Private & Personal Use Only
Jain Education International 2010_05
www.jainelibrary.org