________________
આવકાર
ભારતીય ધર્મદર્શનમાં મુગુટમણિ સમાન જૈનદર્શનના એક પરમતત્ત્વને આધુનિક પરિપ્રેક્ષ્યમાં સમજવાની કોશિષ આ ગ્રંથમાં કરવામાં આવી છે. ધર્મત્ત્વને પામવાનો, સમજવાનો પ્રયાસ યુગે યુગે ચિંતકો વિદ્યાર્થીબુધ્ધિથી કરે છે અને તે પ્રયાસ હોય છે તો સ્વાન્તઃ સુખાય, પરંતુ તે એટલી ભક્તિથી થાય છે કે આ પ્રયાસ અંતે સર્વજન હિતાય બની રહે છે. આ પુસ્તક પણ તેવો જ સરસ પ્રયાસ છે.
ભગવાન મહાવીર ૨૬૦૦માં જનકલ્યાણક વર્ષના સ્મરણમાં કેટલાંક ઉત્તમ પુસ્તકો પ્રકટ કરવાનું ગુજરાત સરકારે ઠરાવેલું અને તે સમયે લેખક શ્રી ટી. યુ. મહેતા, એ લેખકશ્રેણીમાં, સૌથી વયોવૃધ્ધ હોવા છતાં તેમનો નિબંધ સૌથી પહેલો લખાઈને આવેલો. અલબત્ત, અનેક રાગદ્વેષની માયાજાળના કારણે ગુજરાત સરકાર તરફથી તે સકાર્ય થયું નહિ. પરંતુ આજે આ પુસ્તક રૂપે આપણને આમ ઉપલબ્ધ થાય છે તે પણ ઘણું પ્રશસ્ય છે.
અનેકાન્તને સમજવા માટે ઘણી આંતરિક સ્થિરતા જોઈએ. લેખક આ પુસ્તકમાં બિલકુલ સરળ અને તળપદી ભાષામાં એમનું ચિંતન પ્રસ્તુત કરે છે. વિદ્વાનોને આ વિચારો પ્રત્યે કંઈક કહેવાનું આવે તેમ બનશે. પરંતુ અહીં પ્રસ્તુત થયેલું ચિંતન ઉંડો વિચાર, આધુનિક ન્યાયતંત્રનો વ્યાપક અનુભવ અને ગહન વાંચનમાંથી પ્રકટે છે તે નિઃશંક છે. ધર્મની સાચી શ્રધ્ધા અને પરમતત્ત્વ પ્રત્યેની નિષ્ઠામાંથી પ્રગટતો અભિપ્રાય આદરણીય બની રહે છે. અનેકાન્તનો આ શુભ વિચાર સૌ વાચકોને મોક્ષદા બની રહો તેવી મંગલ કામના છે.
મુનિ વાત્સલ્યદીપ
-અનેકાન્ત દૃષ્ટિ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org