________________
૨૯. સાધ્વી દેવાનંદા સાધ્વી દેવાનંદાના ચરિત્રમાં એક બાજુ દુષ્કર્મનું ફળ અને કર્મની ગતિ જોવા મળે છે, તો બીજી બાજુ માતાનું અનુપમ વાત્સલ્ય અને વૈરાગ્યની ઉદાત્ત ભાવના માર્મિક રીતે પ્રગટ થાય છે. ભગવાન મહાવીરનો ચૌદમો ચાતુર્માસ બ્રાહ્મણકુંડની નજીક આવેલા બહુસાલ ઉદ્યાનમાં હતો. ભગવાન મહાવીરના આગમનના સમાચાર સાંભળીને બ્રાહ્મણકુંડ ગામનો પ્રતિષ્ઠિત નાગરિક કોડાલગોત્રીય બ્રાહ્મણ ઋષભદત્ત અને એમની પત્ની દેવાનંદા રથમાં બેસીને બહુસાલ ઉદ્યાનમાં આવ્યાં હતાં. એમણે વિધિપૂર્વક વંદન કરીને ભગવાનની દેશનાનું શ્રવણ કર્યું. આ સમયે દેવાનંદા ભગવાન મહાવીર સામે એકીટશે નીરખી રહ્યાં હતાં. એમનો અસીમ આનંદ એમની કાયાના કચોળામાં સમાતો નહોતો. એમના દેહની રોમરાજિ પુલકિત બની ઊઠી હતી. ચાતક ચંદ્રને નીરખી રહે એમ ભગવાન મહાવીરને નિહાળતા દેવાનંદાનું માતૃવાત્સલ્ય ઊભરાતાં એમના ઉરમાંથી દૂધની ધારા વહી નીકળી.
આ દશ્ય નિહાળી રહેલા જ્ઞાની ગૌતમને અપાર આશ્ચર્ય થયું. એમણે ઉત્સુકતાથી ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો, ભગવાન ! આ બ્રાહ્મણ નારી દેવાનંદાનું શરીર આપના દર્શનને કારણે આટલું બધું પુલકિત કેમ થઈ ગયું ? એની આંખોમાંથી હર્ષનાં આંસુ અને ઉરમાંથી દૂધની ધારા કેમ વહી નીકળ્યાં ?”
ભગવાન મહાવીરે ઉત્તર આપ્યો, “ગૌતમ ! દેવાનંદા મારી માતા છે. હું એનો પુત્ર છું. દેવાનંદાના શરીરમાં જે ભાવ પ્રગટ થયો તેનું કારણ મારા તરફનો પુત્રસ્નેહ છે.”
શા માટે પ્રભુ મહાવીર દેવાનંદાના પુત્ર બનવાને બદલે ત્રિશલાનંદન બન્યા ? પૂર્વજન્મમાં દેવાનંદા અને ત્રિશલા દેરાણીજેઠાણી હતાં. એક વાર જેઠાણીએ દેરાણીના રત્નજડિત અલંકારોની પેટી છુપાવી દીધી હતી. આને પરિણામે ત્રિશલાના પૂર્વજન્મમાં રહેલો દેરાણીનો આત્મા અપાર સંતાપ પામ્યો હતો. જેઠાણીએ જ આભૂષણોની પેટી સંતાડી દીધી છે એવી ખાતરી હોવા છતાં દેરાણીની વિનંતીને એણે ઠુકરાવી દીધી. આ દુષ્કર્મને કારણે ઉગ્ર લાભાંતરાય કર્મનું ઉપાર્જન થયું. પૂર્વે જેઠાણી તરીકે કરેલા અશુભ કર્મનો બદલો વાળવો પડ્યો. જગતના ઉદ્ધારક એવા પરમાત્મા મહાવીરના ગર્ભને ૮૨ દિવસ બાદ ગુમાવવાની ઘટના બની.
હકીકતમાં પ્રાણતકલ્પ દેવલોકમાંથી ભગવાન મહાવીરનો જીવ ચ્યવીને દેવાનંદાની કુક્ષિમાં અષાઢ સુદ ૬ના દિવસે ગર્ભરૂપે ઉત્પન્ન થયો. દેવાનંદાએ ચૌદ સ્વપ્નો જોયાં. એના પતિ ઋષભદત્ત બ્રાહ્મણે કહ્યું કે આ સ્વપ્નનો મર્મ એ છે કે એની કૂખે સર્વગુણસંપન્ન મહાપ્રભાવશાળી પુત્રરત્નનો જન્મ થશે. આનંદવિભોર બનેલી દેવાનંદાના શરીરની કાંતિ અને લાવણ્ય વધુ ને વધુ તેજ ધારણ કરતાં ગયાં. ૮૨ દિવસ બાદ દેવાનંદાએ પૂર્વે જોયેલા સ્વપ્નને કોઈ ચોરી જતું હોય તેવો અનુભવ કર્યો.
વાસ્તવમાં ભગવાન મહાવીરનો ગર્ભ દેવાનંદાની કુક્ષિમાં આવ્યો હતો. મરી ચિના ત્રીજા ભવમાં કરેલા કુળાભિમાનને કારણે આવું બન્યું હતું. દેવરાજ ઇન્દ્ર આ ઘટના જોઈ. એમણે હરિભેગમપી દેવને બોલાવ્યા અને કહ્યું કે તમારે તમારી શક્તિથી અસાધ્ય એવું કાર્ય કરવાનું છે. દેવાનંદાની કુક્ષિનો ગર્ભ ત્રિશલાની કૂખમાં મૂકવાનો છે અને ત્રિશલાનો ગર્ભ દેવાનંદાના ઉદરમાં મૂકવાનો છે. આ ગર્ભપરિવર્તન એવી રીતે થવું જોઈએ કે બંને માતાઓને લેશમાત્ર પીડા કે વેદના ન થાય. દેવરાજ ઇન્દ્રની આજ્ઞા પ્રમાણે હરિપ્લેગમપી દેવે ગર્ભપરિવર્તન કર્યું.
પોતાના પૂર્વજન્મની આ કરુણ ઘટનાઓ જાણતાં દેવાનંદાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. ઋષભદત્ત અને દેવાનંદા બ્રાહ્મણ હોવા છતાં જીવ-અજીવ, પુણ્ય-પાપ આદિ તત્ત્વોના જાણકાર અને પાર્શ્વનાથ પરંપરામાં શ્રદ્ધા ધરાવનારા શ્રમણોપાસક હતા. ભગવાન મહાવીરે એમની માતા દેવાનંદા અને પિતા ઋષભદત્તને ઉપદેશ આપ્યો અને બન્નેની દીક્ષાની ભાવના જોઈ એમને સાધુતાના પંથે વાળ્યા. દેવાનંદાએ સાધ્વી ચંદનબાળાની નિશ્રામાં રહીને સંયમધર્મની આરાધના કરી. અગિયાર અંગોનું અધ્યયન કર્યું. વર્ષો સુધી તપ કરીને અને વ્રતપાલન કરીને એણે કર્મક્ષય કર્યો અને મોક્ષની પ્રાપ્તિ કરી. જૈન આગમ ‘ભગવતી સૂત્ર'માં આલેખાયેલી ઋષભદત્ત અને દેવાનંદાની જીવનકથામાં માનવજીવનના સ્થળથી માંડીને સૂક્ષ્મ આધ્યાત્મિક ભાવો સુધીની ઘટના જોવા મળે છે.
- ધર્મસ્નેહસૌજન્ય પ. પૂ. આચાર્ય શ્રી વિજય જયચંદ્રસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી સ્વ. પૂ. પિતાશ્રી છોટાલાલ કલ્યાણજી શાહ, પાલ - મુંબઈ
in Edocation inte
For Private & Personal use only
www.airtelibrary.org