________________
૩. શ્રી ચંદ્રાચાર્ય
સાંજના સમયે મોજ-મસ્તી કરવા નીકળેલા જુવાનિયાઓ મુનિ ચંડરુદ્રાચાર્યના ઉપાશ્રયે આવી પહોંચ્યા. આ ઉપાશ્રયમાં વૃદ્ધ અને ક્રોધી શ્રી ચંડરુદ્રાચાર્ય બિરાજમાન હતા. તોફાને ચડેલા જુવાનિયાઓને આ વયોવૃદ્ધ સાધુની ટીખળ કરવાનું સૂઝ્યું. આ મસ્તીખોર જુવાનિયાઓમાં એક જુવાન મીંઢળબંધો હતો. એનાં લગ્ન લેવાઈ ચૂક્યાં હતાં. બીજા યુવાનો આ મીંઢળબંધા યુવાનને આગળ કરીને વૃદ્ધ મહારાજની મજાક કરતાં બોલ્યા, “મહારાજ, આને ઉગારો. બિચારાને પરણવાની લેશમાત્ર ઇચ્છા નથી છતાં પરાણે લગ્ન કરાવવામાં આવે છે. આપ તો દયાવાન છો. જો આપ એના પર કરુણા કરીને એને દીક્ષા આપો, તો એનાં સઘળાં દુઃખોનો અંત આવશે. આપનો મોટો ઉપકાર થશે.”
वृद्ध
પહેલાં તો મહારાજે આ યુવાનોની ટીખળ તરફ લક્ષ્ય ન આપ્યું, પણ તેથી યુવાનોને વધુ જોશ ચડ્યું. એમણે ફરી પેલા મીંઢળબંધા જુવાનને સંસારથી છુટકારો આપવા વિનંતી કરી. શ્રી ચંડરુદ્રાચાર્ય પ્રકૃતિએ અત્યંત ક્રોધી હોવાથી એ ચંડરુદ્રાચાર્યને નામે જાણીતા હતા. યુવાનોની અતિશય ટીખળને કારણે વૃદ્ધ મુનિરાજે ક્રોધિત થઈને પેલા મીંઢળબંધા યુવાનને કહ્યું, “ખેર, તારે દીક્ષા લેવી છે ને ? તો તને દીક્ષા આપું છું, પછી કેટલી વીસે સો થાય એની તનેય ખબર પડશે.” મીંઢળબંધો યુવાન તો હજી ટીખળી મિજાજમાં હતો. એણે વૃદ્ધ મુનિરાજને કહ્યું, “હા મહારાજ, મને દીક્ષા આપો. મારે કોઈ પણ ભોગે આ સંસારનો માર્ગ ત્યજીને સંયમનો માર્ગ ગ્રહણ કરવો છે.”
શ્રી ચંડારુદ્રાચાર્યનો ગુસ્સો બહાર ઊછળી આવ્યો. એમણે તો પેલા યુવાનને પકડીને એના વાળ ઝાલી બરાબર લોચ કરવા માંડ્યો. આ દૃશ્ય જોઈને બીજા ટીખળી યુવાનો તો ભાગ્યા; જ્યારે પેલો મીંઢળબંધો યુવાન એક તસુ પાછો હઠઠ્યો નહીં. એણે શ્રી ચંડરુદ્રાચાર્યને વિનંતી કરી, “મહારાજ, મારાં સગાંઓ હમણાં આવી પહોંચશે. તેઓ આવે તે પહેલાં આપણે વિહાર કરીને અહીંથી નીકળી જઈએ.”
ચંડરુદ્રાચાર્યએ તો વૃદ્ધાવસ્થાને કારણે ગચ્છની સઘળી જવાબદારી ક્યારનીય શિષ્યને સોંપી દીધી હતી. તેઓએ માત્ર આત્મસાધના કરવાની સ્થિતિ સ્વીકારી હતી. આવા મુનિરાજને વિહાર કરાવવો કઈ રીતે?
વૃદ્ધ મુનિરાજને ખભે બેસાડીને યુવાન શિષ્ય ચાલવા લાગ્યો. રસ્તો અતિ દુર્ગમ અને ખાડા-ટેકરા તથા કાંટાથી ભરેલો હતો. શિષ્યનો પગ સહેજ લથડે અને ધક્કો વાગે એટલે તરત ગુરુનો ગુસ્સો ફાટી પડે. શિષ્યના પગ લોહીલુહાણ થઈ ગયા. ગુરુ એના ખભા પર બેઠા બેઠા સતત ઠપકો આપતા હતા. એવામાં ખાડો આવતાં શિષ્યનો પગ લથડ્યો અને ખભા પર બેઠેલા ગુરુ ડગમગી ગયા. બસ ! આવી બન્યું. ગુરુના ક્રોધનો જ્વાળામુખી ફાટતાં એમણે શિષ્યના માથા પર જોરથી દંડ ફટકાર્યો. આવી કપરી દશા થઈ હતી, છતાં શિષ્ય તો વિચારે કે પોતાના કારણે ગુરુને કેટલો બધો શ્રમ અને પરેશાની ભોગવવાં પડે છે ! આવા પશ્ચાત્તાપથી શિષ્યની પરિણતિ વિશુદ્ધ બની જતાં એને કેવળજ્ઞાન થયું. ગુરુએ કહ્યું કે, “પહેલાં બરાબર ચાલતો ન હતો અને હવે કેમ બરાબર ચાલવા લાગ્યો ? આટલા અંધારામાં તને કઈ રીતે બધું બરાબર દેખાય છે ?”
શિષ્યએ કહ્યું, “જ્ઞાનબળે પ્રભુ.” આ સાંભળતાં જ ગુરુ શિષ્યના ખભા પરથી નીચે ઊતરી ગયા. કેવળજ્ઞાન પામેલા શિષ્યને પગે પડી ક્ષમાયાચના કરી. પશ્ચાત્તાપમાં ડૂબી ગયેલા ગુરુને એ પળે કેવળજ્ઞાન લાધી ગયું.
ગુરુસેવાની અનોખી ભાવના પ્રગટ થાય છે શ્રી ચંડરુદ્રાચાર્યના ચરિત્રમાં. અપાર કષ્ટો આવે, અનેક યાતના સહેવી પડે, પરંતુ ગુરુભક્તિ કેવી હોય તેનું માર્મિક દર્શન ચંડરુદ્રાચાર્યના શિષ્યની અગ્નિપરીક્ષામાં જોવા મળે છે. બીજી બાજુ પોતાની ક્ષતિનો ખ્યાલ આવતાં જ ગુરુ ચંડરુદ્રાચાર્યનો વિનય પ્રગટ થાય છે. પશ્ચાત્તાપની પાવન ગંગાથી તેઓ પવિત્ર બને છે અને ખુદ પોતાના શિષ્ય પાસે વિનીતભાવે ક્ષમાયાચના કરે છે.
ધર્મસ્નેહસૌજન્ય
આ. શ્રી વિજય અશોકચંદ્રસૂરિ, પં. સોમચંદ્ર વિ., મુનિ શ્રમણચંદ્ર વિ. તથા સા. યશસ્વિનીશ્રી આદિ સહિત સૂરતમાં થયેલ ૪૦૦ સિદ્ધિતપની સ્મૃતિમાં; અ. સૌ. શાંતાગૌરી જયંતીલાલ ત્રિભોવનદાસ વધાણી પરિવાર, (લાઠીવાળા). હાલ મુંબઈ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainellbrary.org