SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨. વનરાજ ચાવડા ગુજરાતના સમર્થ રાજવી અને ચાવડા વંશના સ્થાપક વીર વનરાજનો સમય એ પ્રતિભાશાળી જૈન સાધુ, સેનાપતિ અને શ્રેષ્ઠીઓથી ઝળહળતો યુગ હતો. વનરાજના પિતા જયશિખરી ચાલુક્યવંશી રાજા ભૂવડ સામેના યુદ્ધમાં હારી જતાં એની ગર્ભવતી રાણી રૂપસુંદરીને એના ભાઈ સુરપાળની મદદથી વનમાં છુપાઈ જવું પડ્યું. આ વનમાં વનરાજનો જન્મ અને ઉછેર થયો. એક વાર બાળક વનરાજ ઝાડ સાથે બાંધેલી ઝોળીમાં સૂતો હતો ત્યારે ઘોર જંગલમાંથી પસાર થતાં જૈનાચાર્ય શીલગુણસૂરિ નામના સાધુએ એને જોયો. એનાં લક્ષણો જોઈને એમણે કહ્યું કે આ બાળક મોટો થતાં મહાપ્રતાપી થશે. પરોપકારી જૈન સાધુએ રાણી અને રાજકુમારને આશરો આપીને ગુજરાતનું આ ધન જતનથી જાળવવા માંડ્યું. જૈન સાધુ પાસે વનરાજનો ઉછેર થવા લાગ્યો. આને કારણે બાળ વનરાજમાં ઘણા સંસ્કારોનું સિંચન થયું, પણ એની વીરતા પ્રગટ થયા વિના રહી નહીં. એ વનનો રાજા બની ગયો. જેમ જેમ વનરાજ મોટો થતો ગયો તેમ તેમ તેનું હીર, તેજ અને બળ ખીલવા લાગ્યાં. એ કોઈથી ડરતો નહીં. ક્યાંય સહેજે પાછો પડતો નહીં. પોતાનો સંકલ્પ પૂરો કરીને જ જંપતો. એ પછી મામા શૂરપાળ પાસેથી યુદ્ધકલામાં નિપુણ બનેલા વનરાજે પિતાનું રાજ્ય પાછું મેળવવાનો નિર્ધાર કર્યો. આને માટે વિપુલ ધન જોઈએ. સૈનિકો અને શસ્ત્રો જોઈએ. આથી વનરાજે રાજખજાનો લૂંટીને ધન એકઠું કરવા માંડ્યું. પોતાના સાથીઓ અને સૈનિકો વધા૨વા માંડ્યા. એકાએક ધાડ પાડીને એ પરદેશી રાજાને હેરાન-પરેશાન કરી નાખતો હતો. એક વાર કાકર ગામના વણિકને ત્યાં ખાતર પાડી ધન ચોરતાં વનરાજનો હાથ દહીંના વાસણમાં પડ્યો. આથી વનરાજે વિચાર્યું કે આનો અર્થ તો આ ઘરમાં ભોજન લીધું છે એવો થાય. ત્યાંથી ધન કઈ રીતે ચોરી જવાય ? વનરાજ બધું ધન ત્યાં મૂકીને ચાલ્યો ગયો. બીજે દિવસે એ વણિકની બહેન શ્રીદેવીએ એની તપાસ કરી. રાત્રે એણે વનરાજને બોલાવીને જમાડ્યો. આ સમયે વનરાજે એને વચન આપ્યું કે મારો રાજ્યાભિષેક થશે ત્યારે તારી પાસે તિલક કરાવીશ. વનરાજે સૌરાષ્ટ્રના એક ઘાટમાં રાજા ભૂવડના રૂપાના ૨૪ લાખ દામ અને એક હજાર અશ્વ આંતરીને લૂંટી લીધા. એ પછી કનોજના રાજા તરફથી કંઈ વળતાં પગલાં નહીં લેવાતાં વનરાજે રાજસત્તા હાંસલ કરવાનો સમય પાક્યો છે તેમ માન્યું. એણે પંચાસરમાં રાજ્ય ન સ્થાપતાં જંગલમાં અણહિલ્લ નામના ગોવાળે બનાવેલી શૌર્યભૂમિ પર રાજધાની વસાવી. એમ કહેવાતું કે એ ભૂમિ પરનું સસલું શિકારી કૂતરા સામે ધસી આવતું હતું. વનરાજે વિ. સં. ૮૦૨માં આ નવી રાજધાનીને અણહિલ્લપાટણ નામ આપ્યું. અગાઉ આપેલા વચન પ્રમાણે દુઃખના દિવસોમાં મદદ કરનારી ધર્મની બહેન શ્રીદેવીને બોલાવી એની પાસે રાજ્યાભિષેકનું તિલક કરાવ્યું અને પૂર્વે વનમાં વીરતા બતાવનાર વણિક જાંબને મહામાત્ય નીમ્યો. પચાસ વર્ષે વનરાજ ગાદી પર આવ્યો. વનરાજે પંચાસરથી શીલગુણસૂરિને અણહિલવાડ તેડાવીને પોતાનું રાજ્ય અર્પણ કર્યું હતું એવી અનુશ્રુતિ મળે છે. જોકે વૈરાગ્યસાધક સૂરિએ આનો સ્વીકાર કર્યો નહીં, પરંતુ એની પ્રેરણાથી વનરાજે વનરાજવિહાર નામે ચૈત્ય બંધાવી, પંચાસરથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા મંગાવીને એની પ્રતિષ્ઠા કરાવી. આજે પાટણમાં શ્રી પંચાસરા પાર્શ્વનાથનું જિનમંદિર મળે છે, જેમાં વનરાજ અને શીલગુણસૂરિની પ્રતિમા પણ છે. વનરાજે ગુજરાતના રાજા બન્યા પછી પ્રજાને સુખી કરી, પરંતુ અન્ય રાજાનાં નામ લેવાતાં ત્યારે વનરાજને સહુ લૂંટારો કહીને ઓળખતા. એ કલંકને દૂર કરવા માટે વનરાજે પ્રયત્ન કર્યો. વનરાજના પુત્ર યોગરાજના મનમાં પણ ‘ચાવડાઓના રાજ્ય’ને કોઈ ‘ચોરટાઓનું રાજ્ય' કહેતા ત્યારે પારાવાર વેદના થતી. યોગરાજના ત્રણ પુત્રોએ સોમનાથ પાટણના દરિયામાં લાંગરેલાં વહાણો લૂંટી લીધાં, જેને પરિણામે યોગરાજે મૃત્યુપર્યંત અન્નજળનો ત્યાગ કર્યો અને ચિતામાં પ્રવેશ ક૨ી બલિદાન આપી પુત્રનાં અધમ કાર્યોનું પ્રાયશ્ચિત્ત કર્યું. Jain Education Inter ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી બલભદ્રવિજયજી મ. ના ઉપદેશથી સ્વ. ચંદ્રાવતી ભીખાભાઈ પરસોત્તમદાસ ચોકસીના આત્મશ્રેયાર્થે શ્રી મયંકભાઈ ભીખાભાઈ ચોક્સી પરિવાર, અમદાવાદ www.jalhellbrary:org
SR No.004560
Book TitleJinshasanni Kirtigatha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year1998
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy