________________
સંવાદ !
માણસ જાતને મળેલી મોંઘી મીરાત છે. વિશ્વના વ્યોમમાં વિસંવાદના વાદળાં સતત ઘેરાયેલા રહે છે... વાદ-વિવાદ હવે શબ્દકોશમાં નહીં પણ જીવનમાં ડગલેને પગલે અનુભવવા મળે છે.
વિષાદ અને વિખવાદ જિંદગીના પર્યાય બની ચુક્યા છે ! આ બધા વચ્ચે સંવાદિતાને શોધવી... સંવાદ રચવો, બહુ કપરું કામ છે.
સંવાદ જન્મે છે.... સમ અવસ્થામાંથી ! સંવાદ પેદા થાય છે સંતુલનમાંથી ! વિષમ હોય ત્યાં સંવાદ ના જાગે ! સંવાદને અનુભવવા “સમ' રહેવું પડે ! નાના છોકરાઓ વાત વાતમાં સમ ખાતા હોય છે. પણ આ “સમ' મોટાઓએ ખોઈ નાંખ્યો છે માટે સંવાદ સર્જાતો નથી અને જીવનમાં ડગલેને પગલે વિસંવાદ પથરાઈ જાય છે !
'समानशील व्यसनेषु सख्यम्' સખ્ય દોસ્તી... મૈત્રી સમાન સુખદુઃખ અને સ્વભાવવાળા વચ્ચે સર્જાય છે.
સંગીતના સૂરોમાં પણ “સમનું મહત્ત્વ છે. સમ ઉપર આવ્યા વગર ગીત-સંગીતનું સંવાદ પણ રચી શકાતું નથી. સાધનાના માર્ગમાં તો સમ.... સમતા.. અત્યધિક મહત્ત્વ ધરાવે છે જ.
“ગીતા” પણ “સ્વસ્થની પરિભાષા બાંધતા ‘સમધાતુ સમન્નિશ્વ' ની વાત કરે છે. વેદમાં પણ समानो मंत्र समितिः समानी समानं व्रतं सहचित्तमेषाम् समानि व आकृति समाना हृदयानि वः
અમારા મંત્રી સમાન હો... અમારી જીવનચર્યા સમાન હો... અમારા વ્રત.. અમારા મન સમાન હો... અમારા સંકલ્પો સમાન હો.. અમારા હૃદય સમાન હો...
સમ'ને સમખાવા પૂરતીયે જ્યા જગ્યા નથી એવી જીવન વ્યવસ્થાના આપણે શિકાર બની ગયા છે. માટે તો સાથે રહેનારાઓ વચ્ચે પણ સંવાદ સર્જાતો નથી ! સાથે જીવનારાઓ વચ્ચે પણ સંવાદ ખોરવાઈ જાય છે !
સમને સમજવો પડશે. સ્વીકારવો પડશે. પછી જ સંવાદ સધાશે, સંવાદ સર્જાશે.
સંવાદ માટે અંગ્રેજીમાં શબ્દ છે ડાયલોગ (Dialogue). અલબત્ત આપણે ડાયલોગને જરા છટાપટાળુ બનાવીને ચબરાકિયામાં ચાળી નાંખ્યું છે !
સંવાદ કે ડાયલોગ સર્જવા માટે સંવાદિતા સધાવી જરૂરી છે. “હાર્મની” (Harmony) વગર ડાયલોગ થઈ શકતો નથી.