________________
બીજા એક-બે મિત્રોને મળ્યો. તેઓએ સ્પષ્ટ કહ્યું, “અમારે તમારા સાધુઓની અને સમાજની ગાળો નથી ખાવી.”
મેં કહ્યું, “એ ગાળો હું ખાઈશ. અહિંસાના પૂજારીઓની ગાળોથી ડરવાનું શું ?”
પણ તેઓએ હિંમત ન કરી. મહેનત અને એનું મૂલ-એ બેના છાબડામાં પણ એ શ્રમ અધિક સફળ નહોતો.
જૈન લેખકમિત્રોને મળ્યો, તેમણે કહ્યું, “અમે ધરાઈ ગયા, અમારી ભૂલ સ્વીકારવા અમે હંમેશાં તૈયાર હતા, છતાં અમારી સામે ખૂનના ખટલા જેવું વર્તન દાખવવામાં આવ્યું છે !”
કેટલાક વિચક્ષણ પુરુષોને મળ્યો. તેઓ ખૂબ ઊંચા ખ્યાલમાં રાચતા હતા. તેઓના મત મુજબ મહાવીરચરિત્રનો લેખક કોઈ અદ્ભુત શીલ અને વ્યક્તિત્વવાળો પ્રેમમૂર્તિ હોવો જોઈએ. બાકી બીજી રીતે એ લખાવું અશક્ય છે. લખાય તો વંચાવું અશક્ય છે. વંચાય તો મહાવીરને હૂબહૂ ચીતરી શકે, તે અશક્ય છે. તેઓ કોઈ મહાન વ્યાસ કે જ્ઞાની ગૌતમની રાહ જોતા હતા.
ત્યાંથી હું પાછો ફર્યો. પછી મેં મારી રીતે આનો પ્રારંભ કર્યો. માત્ર મુદ્દાની વાત કહી દેવી, ટૂંકાં વાક્યોથી કહી દેવી. બહુ અલંકાર ન આપવા, બહુ ઝીણી વિગતોની ચર્ચામાં ન ઊતરવું. સાથે રસહીન પણ ન થવા દેવું. અને આટલું જ જો પચી જાય તો મોટું ચરિત્ર આપવું. એ દૃષ્ટિથી ચાલ્યો. મારે માટે આ કાર્ય આનંદજનક બન્યું છે. બીજા માટે બનશે એવી આશા રાખું છું.
જૈનત્વ અંગે મારું દૃષ્ટિબિંદુ સ્પષ્ટ કરું.
જૈન કોણ ? જે આચારમાં અહિંસા ને વિચારમાં અનેકાંત પાળતો હોય તે જૈન. જૈન સિદ્ધાંતોને સંપ્રદાય સાથે ભલે સંબંધ ન હોય, સંપ્રદાય ધર્મનો ગમે તેટલો કબજો લઈ બેઠો હોય, પણ આજની તમામ પરિસ્થિતિ જોતાં એવું જ લાગે છે, કે ધર્મ ટૂંકાં ક્ષેત્રો છોડી પુનઃ વિશાળ વસ્તુ બની બેઠો છે. આજનો જૈન કેવો છે એ જ જુઓ ને ?
આમ એક સંપ્રદાયનાં કુમાર-કુમારિકાઓ બીજાને ત્યાં જાય છે, પણ ખૂબી એ છે કે એમનો જૂનો ધર્મ ત્યાં સાથે જતો નથી ! વળી ધર્મ ચોક્કસ વર્તુળોમાંથી બહાર નીકળી રહ્યો છે, ને જન્મગત ધર્મને સ્થાને ધીરે ધીરે પસંદગીનો ધર્મ આવી રહ્યો છે.
એક દિવસ ધર્મ વિશ્વ-આરાધનાની મુક્ત વસ્તુ બનશે, કાં તો માણસ વિશ્વધર્મી બનશે, કાં ધર્મ વિશ્વમુખી બનશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org