________________
મહાત્મા ગાંધીજીએ આશ્રમવાસીઓ માટે કરેલી આચારસંહિતામાં વ્રતો અને નિયમો કર્યા હતા. એ પૈકીનું આ એક અપરિગ્રહવ્રત હતું. આ વૃત્તિ માટે મન ઘડાય તો આ વ્રત લેવાય અને પળાય. આમ આ નિયમ બાહ્ય ઉપધિના પરિગ્રહથી બચવા માટે કરેલો છે. સ્થૂળ છે. આપણે તો, આપણામાં વિચારનો, વૃત્તિનો, પૂર્વગ્રહોનો જે જોરદાર પરિગ્રહ છે એના અનુસંધાનમાં વિચારવું છે. બહારના પરિગ્રહની તો આની સામે કાંઈ જ વિસાત નથી. આપણી અંદર વિચારોની કેવી ભીડ જામે છે! કાંઈક જોયું, કાંઈક સાંભળ્યું. વિચારતાં વિચારતાં કેટલાંયે વિચારો ઊભા થાય છે. જે કાંઈ અંદર ઊભું થાય છે તે બધું કામનું નથી હોતું બલ્ક ઘણું નકામું હોય છે. સમગ્ર વિચાર રાશિને બે ભાગમાં વહેંચીએ તો શુભવિચાર અને અશુભવિચાર એમ બે ભાગ થાય. આ બેમાંથી, શુભ તો ઉપયોગી છે તે વિચારોને સંઘરવા જોઈએ પરંતુ જે જરૂરી નથી, માત્ર મનને સંકલેશ પહોંચાડે છે, પ્રસન્નતાને હણે છે તે વિચારોને ક્યારે પણ ન સંઘરવા. એવા વિચાર આવે અને ક્યારેક એવા વિચારો વધુ આવે ત્યારે તેને વિદાય કરી દેવા, વળાવી દેવા. જાઓ પધારો! તમારું અમારે કામ નથી. આમ હાંકી કાઢવાથી ચિત્ત હળવું થશે. આમેય આવા વિચારો ભારે હોય છે. નાહકની જગ્યા રોકતા હોય છે. તે જાય અને ઓછા થાય તે આમેય સારું છે. આ કામ અઘરું જરૂર છે પણ તે વિચારોને પ્રેમપૂર્વક પાછી વાળવા તે જ ઉપાય અસરકારક છે. આવા વણજોતાં વિચારોને વળગવાનું નહીં. એ તો વળગણ જ છે, કહો કે વળગાડ છે. એ જો સંઘરાયા તો જુદાં જુદાં સ્વરૂપે તે હાજર રહીને પજવ્યા કરશે. જો એની પકડમાંથી છૂટી ગયા તો પછી પ્રસન્નતા જ પ્રસન્નતા છે. હા, ભાઈ, એ તો પહેલાં જ નક્કી કરી લો કે તમારે એવા વિચારો જોઈએ છે! જો ન જોઈતા હોય તો તેને સંઘરવાને બદલે વહેતા જ કરી મૂકવા. વહી ગયાપછી શાન્તિ-આનંદ અને પ્રસન્નતાનો પમરાટ ચારેકોર ફેલાશે જ. જેમ ઘરમાંથી કૂડો-કચરો કે જેને અલક્ષમી કહેવાય છે તે તો દૂર ઉકરડે જ મૂકી આવીએ છીએ, એ જ રીતે વણજોતાં વિચારોને અળગાં કરીને હળવા થઈ જઈએ..
–
૨૫
* Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org