________________
૨૩૪
તો આંસુ સૂકાતા નથી. કેવું બની ગયું! રાજ્ય રાજા વિહોણું બનશે. આ તે શું થયું ! રોગ હોય તો તેના કારણ પણ હોય. તેના નિવારણ પણ હોય. શું આ રોગનું કોઈ નિવારણ જ નહીં! મંત્ર-તંત્ર-ટૂચકા કશું જ કામ નહીં આવે? લાખ મરજો પણ લાખોના પાલણહાર જીવજો એવું લોકજીભે બોલાતું હતું. પાટણ નગરીની સરળ અને પવિત્ર હૃદયી પ્રજાએ બધી બાધા આખડી રાખી. દુવા ગુજારી. પણ એ કાંઈ કામયાબ નીવડે તેમ ન જણાતા, સિદ્ધપુરના રસ્તે પ્રયાણ શરુ થયું.
માર્ગમાં એક ચોંકાવનારી ઘટના બની.
હાથીના ઊંચા હોદ્દે બેસી રાજસવારી જે ચીલેથી પસાર થઈ રહી હતી ત્યાં તેમની આગળ એક ગાડું જઈ રહ્યું હતું. એમાં શેરડીના સાંઠા ભર્યા હતા. રાજાની નજર એ શેરડીના ભારા પર પડી તેમાં જે ભારો બધાથી ઉપર હતો તે શેરડી ખાવાની પ્રબળ ઇચ્છા થઈ. રસાલો ત્યાં અટક્યો. ગાડું પણ થંભાવ્યું. રાજાએ સૌથી ઉપર હતો તે ભારો બતાવ્યો.
ગાડાવાળો તો રાજી રાજી થઈ ગયો. એ ભારામાંથી શેરડી લઈ એને છોલી, ગડેરીના નાના નાના ટૂકડાઓ રાજાને આપવામાં આવ્યા. રાજા તેને ચૂસે છે. પણ અહા ! આ છે? કોઈ ચમત્કાર થઈ રહ્યો છે? શું આ અમૃત હશે ! અમૃત આવું જ હશે? એક પછી એક એમ સાત-આઠ ટૂકડા ચૂસી લીધા. શેરડી ખૂબ ભાવી. હાશ થઈ!
પડાવ પર જઈને રાજા તો ઘસઘસાટ ઊંઘી ગયા. કેટલાયે મહિનાઓ વિત્યા હશે, આવી નિંદર આવી નથી! આંખ જ મીંચાતી ન હતી. તેના બદલે ગાઢ નિંદર આવી હતી. જાગ્યા ત્યારે તન-મનમાં અજબની હળવાશ અને ફૂર્તિ અનુભવ્યા, જાણે કે રોગ ક્યાંય ગાયબ થઈ ગયો! રોગમુક્ત થયાની ખુશાલીમાં રાજાએ મન મુકીને દાન દીધા. રાજધાનીમાં પણ આ ખુશ ખબર પળવારમાં પહોંચ્યા.
પ્રજાએ થનગનતા હૈયે રાજાના પ્રવેશના ઉત્સવની ભારે તૈયારીઓ કરી. દીર્ધાયુ રાજા સાહેબ પધાર્યા! હૈયામાં આનંદનો પાર નથી. રાજા સાજા થયા એનો આનંદ અપાર છે. કેમ થયું? કઈ દવાથી રાજા નીરોગી થયા તે જાણવામાં કોઈને રસ નથી. મોલ તો તલવારનો જ થાય ને! મ્યાન તો ભલે પડી રહે. ઉલ્લાસની ઉછળતી છોળ વચ્ચે રાજાનો નગર પ્રવેશ થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org