________________
એ રસ્તો દેખાયો છે માટે ત્યાં જવાની પ્રેરણા પામવી, નજર ક્યાં અને કેવી રીતે ઠેરવવી એ આપણે નક્કી કરવાનું છે.
ધર્મના અને સદ્દભાવના ક્ષેત્રમાં ઊંચી ભૂમિકાવાળા જીવોને નજર સમક્ષ રાખવા અને સંસારના ક્ષેત્રમાં નિમ્ન સ્તરે રહેલાં જીવોને જોવા.
ધર્મમાં ઊંચે જોવાથી પ્રેરણા મળે છે. જ્યારે સંસા૨માં નીચેનાને જોવાથી દીનતા ન આવે તથા તૃષ્ણા કાબુમાં રહે. આવો અભિગમ કેળવવાથી જીવનમાં તટસ્થતા આવે છે.
આ અભિગમ કેળવવા, સંતુષ્ટ મનોવૃત્તિ જરૂરી છે. થોડું આગળ વિચારીએ. આપણને જે કાંઈ મળ્યું છે તે આપણી લાયકાતથી વધારે છે અને સારું પણ છે. આ માટે પ્રભુનો અનહદ ઉપકાર છે. આટલા વિચાર દૃઢ કરવા માટે સમજણના સીમાડા વિસ્તારવા જોઈએ. પંચતંત્રની એક સરળ વાર્તાનો આધાર લઈએ. દાદા દાદીએ નાનપણમાં આ વાતો કહી આ સમજણ આપણામાં રોપેલી છે જ.
અડાબીડ નિર્જન જંગલમાં ઘણાં બધાં પશુ પક્ષીઓ નિર્ભયતાથી રહેતા. તેમાં એક હૃષ્ટપુષ્ટ સાબર બપોરની શાંત વેળાએ નાના તળાવમાંથી નિરાંતે પાણી પીતું હતું. પાણી પીતાં તેની નજર, પાણીમાં દેખાતા પોતાના શીંગડા પર પડી. અહા ! કેવા મરોડદાર લાંબા અને અણિયાળા શીંગડા છે ! વળી કપાળ પર નજર ગઈ. કેવી મુલાયમ રુંવાટી ! સ્થિર અને નિર્મળ પાણીમાં સૂર્ય પ્રકાશથી ચળકતાં સ્વચ્છ પ્રતિબિંબ જોઈને તો મોહ થાય જ ને ! લાંબી અને અણીયાળી આંખો કામણગારી લાગી. સુડોળ અને ઘાટીલું પેટ જોઈ મોં મલકાયું.
છેવટે પગ તરફ નજર ગઈ. મોં મચકોડ્યું. અરરર.. ભગવાને આટલી સુંદરતા આપી પણ પગ આપવામાં કેવી કંજૂસાઈ કરી ? વાંકાચૂકા અને ખડબચડાં પગ. કેવા કદરૂપા ! અરે ભગવાન ! આ તે શું કર્યું ? આવા વિચારોમાં અટવાયું હતું એવામાં સનનન
Jain Education International
કરતું એક તીર એના ચાર પગ વચ્ચેથી પસાર થયું. સાબર ચોંકી ગયું. તત્ક્ષણ ખ્યાલ આવી ગયો કે કોઈ શિકારી તેને મારવા પાછળ પડ્યો છે. પળવારમાં જીવ બચાવવા દોડ્યું. મોટી મોટી છલાંગો ભરતું ઘડીભરમાં
જંગલમાં ઊંડે દોડી ગયું. હવે શિકારી કે એનું બાણ અહીં નહીં પહોંચે. થોડીવાર પડી રહ્યું. ડરની સાથે થાક, ભૂખ, તરસ ભેગાં થયા હતા. નજીક એક નાની તલાવડી હતી. ત્યાં જઈ પાણી પીતાં વળી પોતાનું પ્રતિબિંબ જોયું. આ સુંદરતા થોડીવાર પહેલાં જ જોઈ હતી. પગ તરફ નજર જતાં જ, ધિક્કારની લાગણી હવે ધન્યતામાં ફેરવાઈ ગઈ. મારા આ ખડબચડા લાગતા પગે જ મને આજે બચાવ્યો ! મારી સુંદરતા જોઈને જ શિકારીએ મારો પીછો કર્યો હતો. હાશ ! હું બચી ગયો. મારા આ પગ કેવા સુંદર છે ! અરે ! બધાથી સુંદર છે. આપણે આ જ સા૨વવાનું છે. કુદરતે જે કાંઈ આપ્યું છે તે ગણતરીપૂર્વક જ આપ્યું છે, પૂરતું આપ્યું છે. ઉપયોગમાં લઈ શકીએ એથી તો વધું જ આપ્યું છે.
આપણને સામેનો કિનારો રળિયામણો દેખાય; બાજુના ભાણામાંનો લાડવો મોટો દેખાય એ આપણી સમજદારીની કચાશ છે. ખામીઓ જોતાં રહીએ તો ખૂબી ક્યાંથી દેખાય ? માટે આપણી અંદર રહેલી ખૂબીઓ સમજવી અને વિકસાવવી એમાંજ આપણી ભલાઈ છે. બીજાને જે મળ્યું છે તે બીજાને મુબારક. મને મળ્યું છે એ જ મારે માટે પ્રમાણ.
અમર મરતો પેખીયો, ભીખતો ધનપાલ ! લખમી છાણાં વીણતી, ભલો મારો ઠંઠણપાળ ! --સુખી થવાની આ ચાવી છે અને તે આપણી પાસે છે.
For Private & Personal Use Only
કથા-પરિમલ : ૨૫૭
www.jainelibrary.org