SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ અહોભાવના ઉદ્ગારો જ નીકળતા હોય છે, પરંતુ પોતપોતાના અંગત વર્તુળોમાં તેની ઘણી ટીકા થતી હોય છે. જે કેટલાક ધનપતિઓ લગ્નપ્રસંગે એકસાથે ઘણા બધા ઉત્સવો ઊજવે છે તેઓ કેટલીક વાર એક પ્રકારની માનસિક તાણમાંથી પસાર થાય છે. પોતાના ઘરે લગ્નોત્સવ છે એટલે અપાર આનંદ તો હોય જ, પરંતુ નાની નાની વ્યવસ્થાઓની ચિંતાનો ભાર ઘણો મોટો હોય છે. તે તરત જણાતો નથી. થોડીક ગેરવ્યવસ્થા ઊભી થતાં માનસિક તાણ ચાલુ થાય છે. સગાંસંબંધીઓના ઉતારા અને ભોજનની વ્યવસ્થા, કેટલાકનાં રિસામણાં, ડેકેટર - ડેકોરેટરની લુચ્ચાઈ, કે અપ્રામાણિકતા, ઇન્કમટેક્ષના માણસોની તપાસ, ખૂટી જતી ખાદ્ય વાનગીઓ કે એવી બીજી સમસ્યાઓને લીધે કોઈક વાર તો એવા પણ કિસ્સા બન્યા છે કે લગ્નોત્સવની તાણને લીધે વર કે કન્યાના પિતાને હૃદયરોગનો હુમલો થયો હોય અથવા મૃત્યુ પણ થયું હોય. આવા ઉત્સવો યોજવાનું વિચારતી વખતે ઉમંગ ઘણો હોય છે, પરંતુ જેમ જેમ દિવસ નજીક આવતા જાય છે તેમ તેમ ચિંતા, વ્યગ્રતા, ઉજાગરા વધતાં જાય છે અને તેની માઠી અસર શરીર ઉપર થાય છે. વર-કન્યાનાં મા-બાપ સામાન્ય રીતે એવી પ્રૌઢ ઉમરે પહોંચેલાં હોય છે કે જ્યારે તેમનું શરીર અને મન આ માનસિક બોજો સહેલાઈથી ઉઠાવી શક્યું નથી. એનાં માઠાં પરિણામ પછીના વખતમાં ચાલુ થવા લાગે છે. એટલે કેટલીક વાર કેટલીક વ્યક્તિઓની બાબતમાં લગ્નોત્સવ આશીર્વાદરૂપ નહિ, પરંતુ શાપરૂપ નીવડે છે. આજ કાલ કેટલીક વ્યક્તિઓના દેશ-વિદેશના અનેક લોકો સાથે વેપાર-ઉદ્યોગના સંબંધો વધ્યા છે. વિદેશની અવરજવર પણ વધી છે. ભારતીય લોકો આખી દુનિયામાં પથરાયેલા છે એટલે સગાંસંબંધીને હિસાબે પણ વ્યાવહારિક પ્રસંગે વિદેશમાં જવાનું સામાન્ય બની ગયું છે. કેટલાક ધનાઢય લોકો માત્ર લગ્નપ્રસંગે હાજરી આપવા કે કોઈકની ખબર કાઢવા કે અન્ય પ્રકારના સારા-માઠા પ્રસંગે એકાદ દિવસ માટે પણ વિદેશમાં આંટો મારી આવતા હોય છે. તેમને તે પરવડે છે. આવા કેટલાય લોકોને પોતાને ત્યાં જ્યારે લગ્નપ્રસંગ આવે છે ત્યારે વિદેશથી ભારતીય ઉપરાંત વિદેશી મહેમાનો પણ નોતરવામાં આવ્યા હોય છે. આવા માંસાહારી વિદેશી મહેમાનોને લગ્નપ્રસંગે જે હોટલમાં ઉતારવામાં આવ્યા હોય છે તે હોટલમાં તેઓ માંસાહાર કરતા હોય છે. વિદેશના મહેમાનોને નિમંત્રણ આપતી વખતે ધર્મપ્રેમી ગૃહસ્થોએ આ બાબતનો ગંભીરપણે વિચાર કરવો ઘટે. ૧૩૪ * સાંપ્રત સમાજ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002034
Book TitleSamprat Samaj Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Culture, & Social
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy